વરસાદ-ભૂકંપમાં વધારે સ્થિરતા આપનારી ઓછી ખર્ચાળ ટેકનિક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમલી બનશે
આઇઆઇટી ગાંધીનગરમાં જિયોસિન્થેટિક્સ ટેકનોલોજી પર વેબિનારનું આયોજન
આઇઆઇટી ગાંધીનગરમાં ઇનિશિએટિવ ફોર જિયોટેકનિકલ રિસર્ચ એન્ડ ઇનોવેટિવ પ્રેક્ટિસ (આઇગ્રીપ) દ્વારા જાપાની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન શિંકાનસેન માટે જિયોસિન્થેટિક્સ રિઇનફોર્સ્ડ-સોઇલ સ્ટ્રક્ચરના વિકાસ પર વેબિનારનું આયોજન કરાયું હતું. જિયોસ્ટ્રક્ચર્સના ઇન્ટરનેશનલ એક્સપર્ટ સાથે આ પાંચમો વેબિનાર હતો, જેમાં ટોકિયો યુનિવસટીના સિવિલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર ડૉ.કેનજી વાતાનાબે એ વકતવ્યઆપ્યું.
ડૉ. કેનજી રેલવે અર્થ સ્ટ્રક્ચર્સ અને જિયોસિન્થેટિક રિઇનફોર્સ્ડ-સોઇલ સ્ટ્રક્ચરની ડિઝાઇન અને તેના નિર્માણના એક્સપર્ટ છે. તેઓએ કહ્યું કે, જીઆરએસ સ્ટ્રક્ચરના ત્રણ મુખ્ય તત્વો છે અને તે છે જમીન, રિજિડ ફેસિંગ અને જિયોસિન્થેટિક્સ છે. જાપાને મુખ્યત્વે રેલવે માટે ૧૧૦૦થી વધુ સ્થળોએ ૧૮૦ કિ.મી.થી વધુના અંતર માટે સંપૂર્ણ ઊંચાઇવાળી રિજિંડ ફેસિંગ સાથેની જિયોસિન્થેટિક- રિઇન્સફોર્સ્ડ સોઇલ રિટેનિંગ વૉલ બનાવી છે. આ ટેકનોલોજી ભારે વરસાદ અને ભયાનક ધરતીકંપો સામે વધારે સ્થિરતા આપનારી અને ઓછી ખર્ચાળ છે. જાપાનમાં છેલ્લાં ૩૦ વર્ષથી તે અસરકારક છે.
આ વેબિનાર હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ્સ માટે જીઆરએસ સ્ટ્ક્ચર્સના ઉપયોગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યસાયિકો માટે એક ઉત્તમ શિક્ષણ મંચ સાબિત થયો. દેશ- વિદેશના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો આ વેબિનારમાં જોડાયા હતા. નેશનલ હાઇ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) અને આઇઆઇટી ગાંધીનગરે ભારતમાં બુલેટ ટ્રેનના આગામી અને ભાવી પ્રોજેક્ટ્સમાં જિયોસિન્થેટિક રિઇનફોર્સ્ડ-સોઇલ સ્ટ્રક્ચર સંબંધિત ટેકનોલોજીકલ વિકાસ પર સંયુક્ત રીતે કામ કરવાનું નકકી કર્યું છે.