દરેક સમાજે 10 વર્ષ કુરિવાજોમાંથી મુક્ત થઇને યુવાશક્તિના વિકાસ પાછળ ખર્ચ કરવો જોઇએ
સરદારધામ દ્વારા સર્વે સમાજનો વિકાસ થાય તે હેતુથી સંમેલનનું આયોજન કરાયું હતું
'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'ના વિચાર સાથે કાર્ય કરતી સંસ્થા સરદારધામ દ્વારા સર્વે સમાજના કુરિવાજો દૂર કરવા માટે સંમેલન યોજાવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્યના ૨૦ સમાજના આગેવાનો જોડાયા હતા. જેમાં તેઓએ કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ દૂર કરીને યુવાશક્તિમાં યોગદાન આપવા માટેનો નિર્ણય કર્યો હતો. સંમેલનમાં જોડાયેલા ૨૦ સમાજ દ્વારા બિનજરૃરી પ્રસંગોમાં ખર્ચો ઘટાડીને સમાજના વિકાસ અને રાષ્ટ્ર વિકાસમાં ઉપયોગમાં લેવાની વાત કરાઇ હતી. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતારીયાએ કહ્યું કે, પાટીદાર સમાજ જ્યારે યુવાશક્તિને આગાળ વધારવાના પ્રયત્નો કરી રહ્યો છે, ત્યારે દરેક સમાજ આ બાબતે આગળ વધે તે જરૃરી છે. દરેક સમાજે માત્ર ૧૦ વર્ષ કુરિવાજોમાંથી મુક્ત થઇને યુવાશક્તિમાં વધારો કરવા પાછળ ખર્ચ કરવો જોઇએ. જેના દ્વારા સમાજના વિકાસ સાથે રાષ્ટ્રનો પણ વિકાસ થશે.
દરેક સમાજનો વ્યાપાર, રોજગાર, ઉદ્યોગ અને શિક્ષણ બાબતે વિકાસ થવો જરૂરી
આઝાદીના ૭૩ વર્ષો બાદ પણ આપણો દેશમાં જોઇએ તેટલો વિકાસ થયો નથી. જેના માટે માત્ર સરકરને જવાબદાર ન ગણી શકાય. રાષ્ટ્ર વિકાસ માટે સમાજે પણ આગળ આવવું પડે છે. વ્યાપાર, ઉદ્યોગ, રોજગાર અને શિક્ષણમાં સમાજના લોકો આગળ આવે તેવા હેતુસર સમાજના આગેવાનોએ કાર્ય કરવું જોઇએ. મંદિર આસ્થા અને શ્રદ્ધા માટે યોગ્ય છે, પરંતુ પહેલા સમાજના કલ્યાણ માટે ધ્યાન આપીને મંદિર તરફ નજર કરવી જોઇએ. - ગગજી સુતારીયા, પ્રમુખ સેવક સરદારધામ
સમાજે એક બીજાની સપોર્ટ સિસ્ટમ બનવાનીજરૂરી છે
સંમેલનમાં વિવિધ સમાજના આગેવાનોએ સમાજની સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી. સમસ્યાઓનું સમાધાન અને નિરાકણર બાબતે આ સંમેલનમાં દરેક સમાજે એક બીજાને સપોર્ટ કરવાની વાતને પ્રાધાન્ય આપ્યું છે. સોસાયટીના દરેક ઘરમાં ખુશી જળવાઇ રહે અને સમાજના વિકાસ દ્વારા રાષ્ટ્રનો વિકાસ શક્ય બને તેવા કાર્ય કરવા પર સંમેલનના ભાર મુકાયો હતો.
દરેક સમાજનો સરખો વિકાસ થાય તેજરૂરીછે
સમાજીક બેલેન્સ જળવાઇ રહે તે માટે દરેક સમાજનો સરખો વિકાસ થાય તે જરૃરી છે. ઉપરાંત દરેક સમાજ સાથે મળીને કોઇ કાર્ય કરશે તો તેમા સફળ થવાની તક વધી જશે. સમાજને આગળ લાવવા માટે બાળલગ્ન, વરઘોડા, મૃત્યુ ભોજન જેવા પ્રથાઓ દૂર કરવી જોઇએ. કારણ કે, સમાજની શરમે નબળા પરિવારોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. - પૂનમ પટેલ, દલીત સમાજ