100 વર્ષ પહેલાં માત્ર ૩ વિદ્યાર્થિની હતી, આજે 2 હજારથી વધુ શિક્ષણ મેળવી રહી છે

By GS Team
5 Sep 20192 mins read
This article was originally published on 5 Sep 2019
100 વર્ષ પહેલાં માત્ર ૩ વિદ્યાર્થિની હતી, આજે 2 હજારથી વધુ શિક્ષણ મેળવી રહી છે

કોલેજની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે અભ્યાસ કરતી બહેનો માટે સમગ્ર વર્ષ દરમિયાન મહિલા ડિફેન્સ, વુમન એમ્પાવરમેન્ટ, વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ, આનંદમેળો, એક્ઝિબિશન, એક્સપર્ટ લેક્ચર, કલ્ચરલ ફેસ્ટિવલ, કેરિયર પ્રોગ્રામ, વુમન ફિટનેસ અને સ્પોર્ટસ એક્ટિવિટીની સાથે વિવિધ વર્કશોપનું આયોજન કરાશે. કાર્યક્રમમાં કોલેજની સ્થાપના કરનાર ત્રણેય બહેનોની ચોથી પેઢીના વારસદારો ઉપસ્થિત રહ્યાં હતા.  

ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એસ.એલ.યુ. આર્ટ્સ કોલેજનો ૧૦૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે કોલેજ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૃપે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રેસિડેન્ટ વસુબેન ભટ્ટ, મેયર બિજલબેન પટેલ, નટવરલાલ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

આજથી સો વર્ષ પહેલાં  જ્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલી જૂજ બહેનો શિક્ષણ લેતી હતી તેમાં વધારો થાય અને સમાજની બહેનોમાં શિક્ષણ પ્રત્યેની જાગુ્રતતા વધે તે હેતુસર મહાત્મા ગાંધીજી અને અનેક સમાજસુધારકોની પ્રેરણાથી અમદાવાદ શહેરની પ્રથમ મહિલા કોલેજ શ્રી લાલશંકર ઉમિયાશંકર (એસ.એલ.યુ)ની સ્થાપના સો વર્ષ પહેલાં ૩૦ ઓગસ્ટ ૧૯૨૦માં થઇ હતી. કોલેજની શરૃઆતનો સમય વનિતા વિશ્રામમાં રહીને અભ્યાસ કરવાનું શરૃ કરવામાં આવ્યું હતું.

આ વિશે વાત કરતાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સિરાલી મહેતાએ કહ્યું કે, અમદાવાદના ઇતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે. સવિતા ત્રિવેદી, નંદગૌરી સેતલવાડ અને અરવિંદા ઠાકોર આ ત્રણેય બહેનો દ્વારા શરૃ કરાયેલી કોલેજમાં આજે બે હજારથી વધુ બહેનો ઉચ્ચશિક્ષણ લઇ રહી છે, જે આપણા માટે ગર્વની વાત છે. અમદાવાદની પ્રથમ મહિલા કોલેજ ભારતવર્ષની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સંલગ્ન પ્રથમ મહિલા કોલેજ હતી, ત્યારબાદ ૧૯૭૩માં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કરાઇ હતી.   જેમાં ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા શારદાગૌરી મહેતા અને એસ.એન.ડી.ટી.ના પ્રથમ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવનાર ધ્રુમનબેન  દીવાનજી આ કોલેજના વિદ્યાર્થીની હતા. કોલેજના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન કોલેજમાં મહિલા ડિફેન્સ, વુમન એમ્પાવરમેન્ટ, ટ્રેનિંગ પ્રોગ્રામ, આનંદમેળો, કલ્ચરલ ફેસ્ટિવલ અને વિવિધ વર્કશોપનું આયોજન કરાશે તેની ઝાંખી કરાવી હતી.

સંસ્થાના સો વર્ષના ઇતિહાસની હું સાક્ષી છું

પહેલાના સમયમા બહેનો ઘરની બહાર નિકળતા ન હતા તે સમયમા અમારી કોલેજની સ્થાપના કરવામાં આવી હતી અને તેમ છતાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને કોલેજે નામના મેળવી છે જે દરેક વ્યકિતના સહકારથી શક્ય બન્યું છે. આ કોલેજનું ઉદ્વાટન પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના હસ્તે કરાયું હતું. હું આ સંસ્થાની વિદ્યાર્થીની છું  જેનું મને ગૌરવ છે અને તેના સો વર્ષના ઇતિહાસની સાક્ષી પણ છું.-વસુબેન ભટ્ટ