દેશમાં પહેલી વખત જીયોથર્મલ પ્લાન્ટ દ્વારા રોજની 20 કિલો વોલ્ટ વીજળી પેદા કરાશે

By GS Team
5 Mar 20192 mins read
This article was originally published on 5 Mar 2019
દેશમાં પહેલી વખત જીયોથર્મલ પ્લાન્ટ દ્વારા રોજની 20 કિલો વોલ્ટ વીજળી પેદા કરાશે

પંડિત દિનદયાળ પેટ્રોલિય યુનિવર્સિટી દ્વારા આગામી એપ્રિલ મહિનાથી ધોલેરા ખાતે જીયોથર્મલ પાવર પ્લાન્ટની શરૃઆત કરવામાં આવશે. સ્ટેશનની શરૃઆત થવાથી જીયોથર્મલ ટેકનોલોજીથી એનર્જી પ્રોડયુશ કરવામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે, જીયોથર્મલ પાવર પ્લાન્ટ દ્વારા રોજની ૨૦ કિલોવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. જીયોથર્મલ ટેકનોલોજીથી એનર્જી પ્રોડક્શન વિશે પીડીપીયુમાં ૨૦૧૩થી રિસર્સ કરવામાં આવતું હતું. પાવર પ્લાન્ટની શરૃઆત ગવર્મેન્ટ ઓફ ગુજરાત, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર જીયોથર્મલ એનર્જી અને પીડીપીયુના સહયોગથી કરાઇ છે. જીયોથર્મલ એનર્જી કુદરતી રીતે મળતી હોવાથી પ્રદૂષણ રહીત છે. ૨૦૧૬થી ધોલેરા સ્વામીનારાયણ મંદિરમાં જીયોથર્મલ પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. જીયોથર્મલ પાવર પ્લાન્ટ માટે ભવિષ્યના સ્થળ તરીકે ગાંધાર અને ઉનઇની પસંદગી કરાઇ છે. જીયોથર્મલ પાવર એનર્જી વિશેનું રિસર્ચ ૧૯૭૦થી કરવામાં આવે છે, પરંતુ આજ સુધી પાવર પ્લાન્ટની શરૃઆત થઇ નથી.

જીયોથર્મલ ટેકનલોજી દ્વારા કેવી રીતે વીજળી પેદા થશે?

ગુજરાતમાં ગરમ પાણીના સ્ત્રોત સહેલાઇથી મળી રહે છે, જીયોથર્મલ દ્વારા વીજળી ઉત્પન કરવા માટે ૮૦ ડિગ્રી સેલ્સિયશ જેટલા ગરમ પાણીની જરૃર પડે છે. ધોલેરામાં પીડીપીયુ દ્વારા બનાવવામાં આવેલા પ્લાન્ટમાં મળતા પાણીનું તાપમાન ૮૦ ડિગ્રી જેટલું જ હોય છે. તેથી પ્લાન્ટ દ્વારા પાણીમાંથી વીજળી પેદા કરી શકાય છે. જીયોથર્મલ ટેકનોલોજી માત્ર પાણીની ગરમી જ ઉપયોગ કરતી હોવાથી પાણીનો ઉપયોગ બીજા ક્ષેત્રોમાં પણ કરી શકાય છે. અથવા તો પાણીને ફરીથી બોર કે વાવમાં નાખી શકાય છે.

દેશમાં જીયોથર્મલ ટેકનોલોજી વિશે વધારે કામ થયું નથી

દેશમાં જીયોથર્મલ પાવર પ્લાન્ટ વિશે વધારે કામ કે રિસર્ચ કરવામાં આવ્યું નથી, પરંતુ ગુજરાત રાજ્ય દ્વારા રિસર્ચ કરવા સાથે પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે, જેના દ્વારા જીયોથર્મલ એનર્જીનું પ્રોડક્શન કરવામાં આવશે. રિસર્ચ અને પ્લાન્ટનો ભાગ બનવાની તક મળી તે મારા માટે ગૌરવની વાત છે. - પ્રો. અનીર્બિડ સિરકાર, હેડ ઓફ સીઇજીસી