Get The App

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા અમદાવાદના 7 'મંચ'

- આજે વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે શહેરના કેટલાક જાણીતા થિયેટરોની વાત...

Updated: Mar 27th, 2018

GS TEAM

Google News
Google News

રણજિતરામ સુવર્ણ વિજેતા જયશંકર સુંદરીએ ગરવી ગુજરાતણના અનેક રૃપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કર્યા છે. રંગભૂમિના આ મહાન કલાકારથી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું બન્યું છે આજે નવી પેઢીએ આ પરંપરાને નવા વિષયો, નવા સ્વરૃપો સાથે કેડી કંડારી છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ... આજે વાત કરીએ અમદાવાદના રંગમંચ વિશે અને અમદાવાદની યુવા પેઢી વિશે જેઓ રંગમંચને નવા રંગરૃપથી મઢ્યું છે.....

પ્રેમાભાઈ હોલ એક સમયે અમદાવાદની ઓળખ હવે શોપિંગ સેન્ટર બનવાની રાહમાં?

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 1 - image

સૌથી જૂના હોલમાંનો એક પ્રેમાભાઈ હોલ એક સમયે અમદાવાદની ઓળખ ગણાતો. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનું નામ પરથી બનેલા આ હોલમાં મુંબઈના સુપ્રસિદ્ધ નાટકો ભજવાતા. અમદાવાદના સમાજજીવનની અનેક યાદો સંઘરીને બેઠેલો પ્રેમાભાઈ હોલ નાનો પડતા વિખ્યાત આર્કિટેક્ટ બી.વી. દોશીએ વર્તમાન હોલની ડિઝાઈન તૈયાર કરી હતી, જેમાં તો મૂવેબલ સ્ટેજની સુવિધા પણ હતી કે જેનાથી ગણતરીની સેકન્ડોમાં બીજા દ્રશ્ય માટેનો સેટ રજૂ કરી શકાય તેવી વ્યવસ્થા હતી. લાંબા સમય સુધી અમદાવાદની નાટય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલો પ્રેમાભાઈ હોલ ૧૯૮૫ના તોફાનો બાદ પોતાની મહત્તા ગુમાવવા માંડયો અને છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી આ હોલ પોતાની જગ્યાએ શોપિંગ સેન્ટર બનવાની રાહ જોઈ રહ્યો છે.

શેઠ મંગળદાસ ટાઉન હોલ  અમદાવાદનો હેરિટેજ હોલ

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 2 - image

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક આવતો શેઠ મંગળદાસ ટાઉનહોલ ૧૨૦૦ કરતા વધારે વ્યક્તિઓને સમાવવાની ક્ષમતા ધરાવે છે અને એ રીતે કદાચ અમદાવાદનો મોટામાં મોટો હોલ છે. ૧૯૩૮ના શહેરીજનો પાસે મળેલા ફંડમાંથી ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવ્યં હતું, જેની ડિઝાઈન વિખ્યાત આર્કિટેક્ટ ક્લાઉડ બેટલીએ તૈયાર કરી હતી. આજે અમદાવાદની મહત્વના હેરિટેજ મોન્યુમેન્ટ્સમાં આ હોલની ગણતરી થાય છે. આ હોલ આજે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમે છે.

ટાગોર મેમોરિયલ હોલ આધુનિક સુવિધાઓથી સજજ

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 3 - image

સાબરમતી નદીના કિનારે રવિન્દ્રનાથ ટાગોરની સ્મૃતિમાં બનાવવામાં આવેલો ટાગોર હોલ અત્યારે થિયેટર અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સૌથી લોકપ્રિય સ્થળની યાદીમાં મોખરે છે. ૧૯૭૧ની સાલમાં બાલકૃષ્ણ દોષીએ આ હોલની ડિઝાઈન તૈયાર કરી હતી. એ બાદ હમણાં કેટલાક વર્ષો પહેલાં જ ૧૧ કરોડથી વધુના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. જે બાદ આ હોલ લેટેસ્ટ સાઉન્ડ એન્ડ લાઈટ સિસ્ટમ,આકર્ષક ઈન્ટીરિયર,આઠ-આઠ મોનિટર જેવી સુવિધાઓથી સજજ છે.

જયશંકર સુંદરી હોલ  કરોડોના ખર્ચે રિનોવેટ થયેલા હોલને જાળવણી કરવાનું મોટિવેશન નથી

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 4 - image

સ્ટેજ પર સ્ત્રીપાત્રોના અભિનયથી ભલભલી સુંદરીઓને લઘુતાગ્રંથિઓનો અનુભવ કરાવતા પદ્મભૂષણ શ્રી જયશંકર ભોજક નાટયકલાના આજીવન સાધક રહ્યા હતા. તેેમની યાદમાં ગુજરાત સરકારના યુવક અને સાંસ્કૃતિક વિભાગે જયશંકર સુંદરી હોલનું નિર્માણ કરાવ્યું હતું.

એક સમયે આ હોલમાં વર્ષના 200થી 300 દિવસ નાટક, ભવાઈ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. નાટયક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઘણા કલાકારોએ આ હોલનો તખ્તો ગજાવ્યો હતો પણ હવે રાજ્ય સરકારની જ ઘોર લાપરવાહીને કારણે આ હોલ ખંડેર જેવી હાલતમાં છે. ૨૦૧૦માં રિનોવેશનના કરોડો રૃપિયા ખર્ચાયા બાદ પણ ક્યારેય આ હોલ માટે પહેલા જેવા દિવસો પાછા આવ્યા નહી..

ઠાકોરભાઈ દેસાઈ હોલ   ઓલ્ડ ઈઝ ગોલ્ડ

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 5 - image

૧૯૭૫ની આસપાસ શરૃ કરાયેલો ટાગોરભાઈ દેસાઈ હોલ શહેરની મધ્યમાં હોવાથી આજે પણ નાટકોના આયોજન માટે લોકપ્રિય છે અને નાટકોના સંવાદોથી સતત ગૂંજતો રહે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈની સ્મૃતિમાં તેમના પટશિષ્યોએ આ હોલનું નિર્માણ કરાવ્યું હતું અને રજનીભાઈ પુરોહિતે તેની ડિઝાઈન તૈયાર કરી હતી. આ હોલ ૭૨૧ લોકોને બેસવાની વ્યવસ્થા ધરાવે છે.

પંડિત દીનદયાળ ઓડિટોરીયમ   આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમથી સજ્જ

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 6 - image

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઊભા કરાયેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ લાઈટ, સ્ટેજ અને ઓડિયો ટેકનોલોજીની આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતો શહેરનો એક માત્ર હોલ છે. ૧૦૫૦ લોકોને બેેસવાની સુવિધા ધરાવતો આ હોલ મ્યુનિસિપાલિટી હસ્તક આવતા અન્ય હોલોની સરખામણીમાં વધારે આધુનિક છે.

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ   સૌથી વધુ બેઠક વ્યવસ્થા ધરાવતો હોલ

#worldtheatreday: નાટકનો 'રંગ' રાખતા  અમદાવાદના 7 'મંચ' 7 - image

ગુજરાત યુનિવર્સિટી હસ્તક આવતો આ હોલ અમદાવાદમાં સૌથી વધુ એટલે કે 2350 લોકો માટે સિટિંગ કેપેસિટી ધરાવતો હોલ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલમાં તેમાં શૈક્ષણિક કાર્યક્રમોની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું રહે છે.

અમદાવાદમાં પાકા થિયેટરોનો યુગ આનંદભુવનથી શરૃ થયેલો

પહેલાં જ્યારે અમદાવાદમાં એક પણ થિયેટરો નહોતા બન્યા ત્યારે મંદિરોના ચોકમાં કે વિવિધ જ્ઞાાતિઓની વાડીઓમાં નાટક-ભવાઈ જેવા કાર્યક્રમો ભજવાતા. મગનભાઈની વાડી, પનાભાઈની વાડી અને નાગોરી શાળા નાટકોના આયોજન માટે એ સમયે લોકપ્રિય હતા. નાટક જોવા માટે ટિકિટની વ્યવસ્થા પણ નહોતી તેથી નાટક આયોજકને લોકો પૈસાની જગ્યાએ અનાજ આપતા.

અમદાવાદનું સૌપ્રથમ થિયેટર એટલે કે આનંદભવન ૧૮૯૩-૯૪ની સાલમાં મગનભાઈની વાડીની પાસે ઘીકાંટા વિસ્તારમાં નિર્માણ પામ્યું હતું. ડાહ્યાભાઈ ધોળશાજીએ શેઠ ચીમનલાલ નગીનદાસને આ થિયેટરના નિર્માણ માટે ખાસ આગ્રહ કરેલો. આ જ થિયેટરમા ૧૮૯૫ની સાલમાં ભજવાયેલા અશ્રુમતિ નાટકમાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત સ્ટેજ પર ગરબાની રજૂઆત કરવામાં આવી હતી.

Tags :