Get The App

22મીએ એક નિર્ભયાને ન્યાય મળશે પણ બાકીની હજારો નિર્ભયાનું શું?

નિર્ભયાના ચારેય ગુનેગારોને ફાંસીની સજા ફરમાવવાઈ છે પણ દોષિતો પાસે હજુ ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી નામની છટકબારી બાકી છે.

Updated: Jan 8th, 2020

GS TEAM

Google News
Google News
22મીએ એક નિર્ભયાને ન્યાય મળશે પણ બાકીની હજારો નિર્ભયાનું શું? 1 - image

નિર્ભયાના આરોપીઓને ૨૨ જાન્યુઆરીએ ફાંસીએ ચડાવાશે તે વાતથી દેશના દરેક નાગરિકના મનમાં ન્યાયની જીત થઇ છે તેવો ભાવ છે પરંતુ ૧૮ ડિસેમ્બર ૨૦૧૨માં નિર્ભયા પર ગેંગરેપ કરાયો. નિર્ભયા છેલ્લી ઘડી સુધી જીવવા માટે સંઘર્ષ કરી રહી હતી પરંતુ ૨૯ ડિસેમ્બરે તેણીએ છેલ્લો શ્વાસ લીધો હતો. નિર્ભયા માત્ર ૧૦ દિવસ જીવી શકી જ્યારે તેની આ પરિસ્થિતિના જવાબદાર ચાર આરોપીને ૭ વર્ષ સુધી જેલ થઇ. આટલી મોટી ઘટનામાંથી દેશ એ કઇ શીખ ન લીધી. આજે સાત વર્ષમાં સમગ્ર ભારતમાં ચાર હજારથી વધુ સ્ત્રીઓ પર બળાત્કાર થઇ ચૂક્યા છે. આજે એક નિર્ભયાને ન્યાય મળ્યો પરંતુ હજારો નિર્ભયા હજુય ન્યાય માટે જજૂમી રહી છે. વર્તમાન ચુકાદા અને સ્ત્રીઓની સુરક્ષા અંગે શહેરની મહિલાઓ શું માને છે તે અંગે જાણીએ... 

16 DECEMBER 2012

નિર્ભયાના ચારેય ગુનેગારોને ફાંસીની સજા ફરમાવવાઈ છે પણ દોષિતો પાસે હજુ ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી નામની છટકબારી બાકી છે.  

22 JANUARY 2020 નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસીએ લટકાવાશે

બળાત્કારની ઘટનાઓ પર પૂર્ણવિરામ ક્યારે ?

ઉન્નાવની દુષ્કર્મ પીડિતા ન્યાય મેળવવા લડી રહી હતી. મહામહેનતે તેના પાંચ આરોપીઓને જેલ ભેગા કરવામાં તે સફળ રહી પરંતુ કંગાળ કાયદાઓને પરિણામે તેમાંથી બે આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા. જામીન પર છૂટવાની સાથે તેણે પીડિતાને સળગાવી દીધી. પોતાને ન્યાય મળે એ પહેલાં જ ૯૦ ટકા બળી ગઇ હોવાથી પીડિતા મૃત્યુ પામી. તેના આખરી શબ્દો હતાં..'હું બચી તો જઇશ ને? હું મરવા નથી માંગતી. ગુનેગારોને છોડશો નહીં.'

6000

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૬ હજારથી પણ વધારે બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે 

દીકરીની માતાઓ કહે છે...

કહેતા શરમ આવે પરંતુ આવા બનાવો ને કારણે આજે માતા-પિતા દિકરો અવતરે તે માટે પ્રાર્થના કરે છે

મારે બે દીકરી અને એક દિકરો છે. મારી મોટી દીકરી જોબ કરે છે જ્યારે નાની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. જે રીતે છોકરીઓ સાથે ઘટના બની રહી છે ત્યારે થાય કે દીકરીઓને ઘરની બહાર જ મોકલીયે પરંતુ તે શક્ય નથી. દીકરીઓને  ઘરે આવતા તેમને ૧૫ મિનિટ પણ મોડું થાય તો સૌથી પહેલાં ખરાબ વિચારો ઘેરી વળે છે. કહેતા શરમ આવે પરંતુ આવા બનાવોને કારણે માતા-પિતા દિકરો અવતરે તે માટે પ્રાર્થના કરે છે. જ્યારે બીજા જ દિવસે ફાંસીને માચડે ચડાવાશે ત્યારે આ આંકડો ઘટશે.- હિતાર્થી અને નિધિના માતા પારૂલબેન જાની

સૌથી ખરાબ મનોદશા દીકરીની માતાની છે

મારે બે દીકરી છે, જેમાં એક નવમાં અને એક પાંચમાં ધોરણમાં ભણે છે. મને લાગે છે કે આ દેશમાં સૌથી ખરાબ મનોદશા દીકરીની માતાની છે. આજે તેમને સ્કૂલે વાન કે રિક્ષામાં મોકલતા જીવ નથી ચાલતો. સમય ન હોવા છતા પોતાની જાતે બાળકીઓને સ્કૂલે મૂકવા જવાનું પસંદ કરું છું. દીકરીઓ નાની હોવાને કારણે તેને ક્યારેક કોઇ બાબત માટે ટોકવામાં આવે પરંતુ તેની પાછળનું કારણ તેઓ સમજી નથી શકતા તેવા સમયે તેમને સમજાવવું અઘરું બની જાય છે. હું નાની હતી ત્યારે ખુલ્લા વાતાવરણમાં ઉછરી છું પરંતુ આજે મારી દીકરીઓને હું એકલી નથી મૂકી શકતી તેનું દુઃખ છે. -તનુશ્રી અને અનુક્ષાની માતા દિપીકાબા ડાભી

PG ગર્લ્સ શું કહે છે ?

દેશ ભલે આઝાદ થઇ ગયો પણ દીકરીઓ આઝાદીથી શ્વાસ લઇ શકે એટલી સેફ નથી

'દેશ ભલે ઇન્ડિપેન્ડેટ થઇ ગયો પરંતુ છોકરીઓ આજે પણ ઇન્ડિપેન્ડેન્ટલી જીવી શકતી નથી. ગુજરાતમાં જ નહીં આખા દેશમાં દીકરીઓ ક્યાંય સેફ નથી. અરે,  માતા-પિતા સાથે રહેતી હોય તો પણ સેફ નથી તો અમારી જેમ પી.જી.માં રહેતી છોકરીઓ સેફ ક્યાંથી હોય. તેથી અમે અમારી સલામતીનું મોબાઇલ એપ દ્વારા ધ્યાન રાખીએ છીએ.' - તેજસ્વી પટેલ, વર્કિંગ (મોડાસા)

પુરુષોમાં સ્ત્રી સન્માનની ભાવના કેળવવામાં નહીં આવે ત્યાં સુધી દુર્ઘટનાઓ ઘટતી રહેશે

'આપણા દેશમાં કાયદા જેવું કંઇ નથી. નિર્ભયાની જ વાત કરીએ તો તેના ગુનેગારોએ કરેલો અપરાધ સ્વીકારી લીધો હતો છતાં તેને સજા આપવામાં સાત વર્ષ કાઢી નાંખવામાં આવ્યા. બીજું સ્કૂલોમાં અને માતા-પિતા દ્વારા છોકરાઓને સ્ત્રીને સન્માન આપવાની ભાવના કેળવવી જોઇએ તો તેઓ ગેરવર્તન કરતાં અટકાશે. મારી વાત કરું તો હું ફેમિલીથી દૂર રહું છું તેથી મારી સેફ્ટીના સાધનો હંમેશા મારી સાથે રાખું છું.' - આફરીન ખાન, જોબ (ગ્વાલિયર)

રેપિસ્ટોનું જાહેરમાં એન્કાઉન્ટર કરવાનું શરૃ નહીં કરાય ત્યાં સુધી સેફ્ટીની આશા રાખવી નઠારી છે

'હું વકગ છું તેથી મોટી દીકરીને ટયુશન લેવા મૂકવા ડ્રાઇવર રાખવાનું વિચારતી હતી પરંતુ જે રીતે રોજેરોજ રેપની ઘટના ઘટી રહી છે એને ધ્યાનમાં રાખીને તેની માટે ઓનલાઇન ઓટો બૂક કરાવું છું. જેથી ઓફિસમાં બેઠાં બેઠાં તેનું લોકેશન જાણી શકું.  આપણા દેશમાં દીકરીઓ સેફ નથી. ઇરાન, ઇરાક, ચાઇના જેવા અન્ય દેશોની જેમ સ્ત્રીની સેફ્ટી માટે કડક કાયદાઓ નથી. આપણે ત્યાં ધોળે દિવસે છોકરીઓની થતી છેડતીને સીરિયસલી લેવામાં આવતી નથી. લોકોમાં ડર પેદા થાય એ માટે કાયદાઓ કડક બનાવવા જોઇએ અને હૈદરાબાદમાં જે રીતે શૂટ આઉટ કરવામાં આવ્યું એ રીતે તાત્કાલિક ન્યાય મળવો જોઇએ. નિર્ભયાની જેમ સાત વર્ષે નહીં. - પ્રિયંકા મહેતા, વર્કિંગ વુમન

લોકો જાગૃત થશે તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે

'નિર્ભયા કેસ પછી સરકારે ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય મળે એ માટે અલગથી ફંડ ફાળવ્યું હતું. તેમ છતાં એ દિશામાં કામ થયું નથી. સામાન્ય કે ગરીબ પરિવારની દીકરી પર રેપ થાય છે ત્યારે તેની પડખે સમાજ કે રાજકીય પક્ષો ઊભા રહેતા નથી. આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઝડપથી ન્યાય મળશે અને આવી શરમ જનક ઘટનાઓને ઘટતી અટકાવી શકાશે.'- ડૉ.ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી


Tags :