મોક્ષમાર્ગે પ્રયાણ કરવા માટે 'ચિત્તશુદ્ધિ' કરવી અનિવાર્ય છે

પર્યુષણ મહાપર્વની ૯૧મી વ્યાખ્યાનમાળાના પાંચમા દિવસે યોગ શિક્ષકા માલિની કોબાવાલાએ 'ચિત્તશુદ્ધિ' અને જાણીતા વિચારક પરાગભાઇ શાહે 'પરમને પામવા પારોઠનાં પગલા' વિશે વાત કરી હતી. 'ચિત્તશુદ્ધિ' વિશે યોગ શિક્ષકા માલિની કોબાવાલાએ કહ્યું કે, માનવી ગમે તેટલો પ્રખર વિદ્વાન હોય પરંતુ શારીરિક સુખ માટે અને મોક્ષમાર્ગે પ્રયાણ કરવા માટે 'ચિત્તશુદ્વિ' કરવી અનિવાર્ય રહે છે. મનુષ્ય જીવનમાં કરેલા ખરાબ કર્મ કરવાથી નર્ક- નિગોદના રસ્તે જવું પડે છે. વ્યકિતએ પોતાના જીવનમાં દરેક સમયે ચિત્તને શુદ્ધ કરીને પોતાનું જીવન જીવવું જોઇએ. મનુષ્યના અવતારમાં કોઇનું પણ ખોટું ન કરીને આત્માને મોક્ષ મળે તેવા કર્મો કરવા જોઇએ.
તેમજ જાણીતા વિચારક પરાગભાઇ શાહે 'પરમને પામવા પારોઠનાં પગલા' વિશે વાત કરતાં કહ્યું કે, પીછેહઠના પગલાં ભરતાં બાળક જેવા સહજ સ્વાભાવિક બનવું જોઇએ. નિર્ભયતા, અહિંસા, ભકિત, આત્મવિશ્વાસ, શ્રદ્ધા, ધીરજ જેવા ગુણો કેળવવા જોઇએ જેનાથી પરમને પામવાના માર્ગમાં સહાયક પૂરવાર થાય છે.




