Get The App

લૉકડાઉનને કારણે રખડતા કૂતરાંઓ પર ક્રૂરતા વધી

પાંચ વર્ષમાં 28 હજારથી વધુ પશુ-પક્ષીની વિનામૂલ્યે સારવાર કરી રહ્યા છે પૂર્વીબહેન શાહ

કોરોનાકાળ દરમિયાન લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી ગયું છે. પોતાનો ગુસ્સો શેરીના કૂતરાઓને બહુ ક્રૂર રીતે મારીને ઉતારવામાં આવી રહ્યો છે આ શબ્દો છે. પૂર્વીબહેન શાહના.

Updated: Apr 12th, 2021

GS TEAM


Google News
Google News
લૉકડાઉનને કારણે રખડતા કૂતરાંઓ પર ક્રૂરતા વધી 1 - image

પાલડી વિસ્તારમાં રહેતાં અને ચાર દાયકા વટાવી ચૂકેલા પૂર્વીબહેન રખડાતા પશુઓ અને પક્ષીઓની સારવાર કરવાનું કામ કરે છે. તેઓ કહે છે, 'લૉકડાઉન શરૃ થયું ત્યારથી લઇ આજ દિન સુધીના સમયગાળામાં કૂતરા પ્રત્યેના અત્યાચાર બહુ વધ્યા છે. આપણે જોઇ ન શકીએ એટલી બહેરેમીથી કૂતરાને લાકડી કે કેબલના વાયર વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય છે. જેને જોઇને એવું થાય કે લોકો આટલા ક્રૂર કંઇ રીતે હોઇ શકે?'આજથી છ વર્ષ પહેલાં પૂર્વીબહેને પાંજરામાં પૂરાયેલા પોપટને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પોપટ ઊડી શક્યો નથી. એના પાછળના કારણની તપાસ કરતા ખબર પડી કે તેને પગમાં તકલીફ છે અને તેની સારવાર હોસ્પિટલમાં કરવી પડશે. પૂર્વીબહેનને એ વખતે નવાઇ લાગી કે પક્ષીઓની પણ હોસ્પિટલ હોય ખરી. મનમાં ઉત્પન્ન થયેલી જિજ્ઞાાશાને સંતોષવા પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે, પશુ-પંખીના ઓપરેશન દવાખાનામાં થતા હોય છે. 

પૂર્વીબહેન કહે છે, 'મને આ કામ ગમી ગયું. એ દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું કે, રખડતાં પશુ, પંખીને રેસ્ક્યુ કરનારી શહેરમાં અનેક સંસ્થાઓ અને લોકો છે પરંતુ તેમના ઓપરેશન કરે એવી હોસ્પિટલ બહુ ઓછી છે. અમે પીરાણા રોડ ઉપર આજથી પાંચ વર્ષ પહેલાં ત્રણ મોટા પાંજરા, ત્રણ આઇસીયુ વોર્ડ અને છ ડોગની કેનાલથી શ્રીદાનેવ ફાઉન્ડેશનની શરૃઆત કરી હતી. એ વખતે થતું હતું કે આટલું તો બહુ થઇ ગયું. પરંતુ જેમ જેમ દિવસ જતાં ગયાં એમ એમ રેસ્યુ કરતી સંસ્થાઓ અને સામાન્ય લોકો સામેથી કૂતરા, બિલાડી, ગાય જેવા પશુઓ અને પક્ષીઓને લવાતા ગયા. ઇજા પામેલા પ્રાણીઓની યોગ્ય ટ્રીટમેન્ટ થઇ શકે એટલે હોસ્પિટલમાં ઓપીડીથી માંડી, આઇસીયુ વોર્ડ, જનરલ વોર્ડ, ફિઝિયોથેરાપી સેન્ટર, એક્સ-રે, સોનોગ્રાફી મશીનની સગવડ કરતા ગયા. હાલમાં 350 કરતા પણ વધારે પાંજરા છે. કાચબા, સસલું, ગાય, કૂતરા અને પંખીઓ એમ દરેકને તેની બીમારી અનુસાર અલગ પાંજરામાં રાખવામાં આવે છે અને એ મુજબનું ભોજન આપવામાં આવે છે. જેથી ઝડપથી રિકવરી આવી જાય. જેને બનાવવા અલગથી રસોડું ત્યાં જ બનાવવામાં આવ્યું છે.'એનિમલ વેલફેર બોર્ડ ઓફ ગુજરાતના બોર્ડ મેમ્બર તરીકે સ્થાન ધરાવતા પૂર્વીબહેન ઇમરજન્સીમાં અડધી રાત્રે પણ પશુઓ અને પંખીઓની સારવાર માટે દોડી જાય છે, જેમાં પરિવારનો પૂરેપૂરો સપોર્ટ મળે છે. 



Tags :