સોસાયટીના રહીશોએ કહ્યું હવેથી નવરાત્રિમાં પ્લાસ્ટિકમાંથી બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ
પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઇ રહ્યું છે. પોલિથિન બેગ, પ્લાસ્ટિકના કપ-ગ્લાસ જેવી અનેક વસ્તુઓ જેનો ઉપયોગ આપણાં જીવનમાં એવો તે વણાઇ ગયો છે કે તેને છોડવામાં અમુક અંશે આપણે પાછી પાની કરીએ છીએ પરંતુ ઉત્તમ વાત એ છે કે આપણાં શહેરની એવી અનેક સોસાયટીઓ છે જે નવરાત્રિ દરમિયાન જ્યાં જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યાર સુધી કરવામાં આવતો હતો તેના પર પ્રતિબંધ લગાવી પર્યાવરણ અને હેલ્થને થતાં નુકસાનને અટકાવવા એક અનોખી પહેલ કરી છે.
પ્લાસ્ટિક અને પાકગ બંને સમસ્યાનું નિરાકરણ કર્યું
'અમારા ત્યાં નવરાત્રિમાં ૩૦૦થી ૪૦૦ ઉત્સવમાં જોડાય થાય છે. તેથી પાકગની સમસ્યા સર્જાય નહી એટલે અમે સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમવાને બદલે સોસાયટીના મેઇન રોડ પર ગરબા છેલ્લા ૩૨ વર્ષથી રમીએ છીએ. અત્યાર સુધી પીવાના પાણી અને નાસ્તા માટે ડિસપોઝેબલ ગ્લાસ અને પ્લાસ્ટિકની પ્લેટનો ઉપયોગ કરતાં હતાં પણ આ વખતે પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ એવું નક્કી કરવામાં આવ્યું છે. જેથી પ્રદૂષણને વધતું અટકાવી શકાય.' -નિલેશભાઇ પટેલ, ચેરમેન - રિદ્ધિ સોસાયટી, કે.કે.નગર
પ્લાસ્ટિક હટાવોની ઝૂંબેશમાં જોડાવવાથી ફાયદો આપણને જ છે
'અન્ય દેશોમાં પ્લાસ્ટિક યોગ્ય રીતે રિસાઇકલ થાય છે જેમ કે રસ્તા બનાવવા વગેરે. જ્યારે આપણે ત્યાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક રિસાઇકલ થતું નથી. પરિણામે એ પર્યાવરણને તો નુકસાન કરે જ છે સાથે હેલ્થને પણ નુકસાન કરે છે. આપણે બધા સાથે મળીને પ્લાસ્ટિક હટાવોની ઝૂંબેશમાં જોડાઇશું તો ફાયદો આપણને જ છે. તેથી આપણી સુરક્ષા માટે પેપર ગ્લાસ અને પેપર ડીશનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.' -સિદ્ધાર્થ દરજી, સેક્રેટરી - ગણેશ સ્કાઇલાઇન,ગોતા
સોસાયટીમાં પાંચ વર્ષથી સ્વચ્છતા અભિયાન ચાલે છે
'અમારી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીના જગ મંગાવીએ છીએ અને પાણી પીવા સ્ટિલના ગ્લાસ રાખીએ છીએ. નાસ્તા માટે પણ કાગળની ડીશોનો જ ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકના પ્રતિબંધ અને ઘરની જેમ સોસાયટીની સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવ્યું હતું.' -સંદીપ ત્રિવેદી, ચેરમેન - રામેશ્વર એપાર્ટમેન્ટ, સોલા રોડ