કોરોના મહામારીમાંં દિવસ-રાત જોયા વિના દર્દીઓની સેવામાં ખડે પગે રહેલા રિયલ વોરિયર્સ

By GS Team
30 Jun 20202 mins read
This article was originally published on 30 Jun 2020
કોરોના મહામારીમાંં દિવસ-રાત જોયા વિના દર્દીઓની સેવામાં ખડે પગે રહેલા રિયલ વોરિયર્સ


નોવેલ કોરોના વાઇરસ મહામારીમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફે જે સેવાઓ આપી છે તેનું મૂલ્ય રૂપિયાથી આંકી શકાય નહીં. આજે ભારતમાં 'રાષ્ટ્રીય ડૉક્ટર ડે'ની ઉજવણી થશે ત્યારે આપણે યાદ કરીએ એવા ડૉક્ટર્સને જેઓએ કોવિડ-૧૯માં અવિરત સેવા આપી છે અને પોતાના પરિવારને પણ તેઓ સાડા ત્રણ મહિનાથી મળ્યા નથી....

સતત દર્દીઓની સારવાર બાદ મને કોરોના પોઝીટીવ આવ્યો ત્યારે હું રડી પડી હતી 

મારું પોસ્ટિંગ કોરોના પોઝિટિવ દર્દીઓેના ગાયનેક વોર્ડમાં આપવામાં આવી હતી, જેમાં ૪૦-૪૫ પેશન્ટ્સને મારે સારવાર આપવાની હતી શરૃઆતમાં ખૂબ બીક લાગતી કે મને કોરોના થઇ જશે તો, મેં ઘણી મહિલાઓની કોવિડમાં ડિલિવરી કરાવી અને ત્યારબાદ મને લક્ષણો દેખાવા લાગ્યા એટલે મેં મારો ટેસ્ટ કરાવ્યો. મારો પરિવાર રાજકોટ છે, સતત કામ કર્યા પછી મારો કોરોના પોઝિટિવ આવ્યો એટલે હું ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને રડવા માંડી હતી. હું પોતે કોરોના પોઝિટિવ થઇ ત્યારે મને ત્યાંના દર્દીઓનું દર્દ સમજાયું ત્યારબાદ હોટેલમાં ક્વૉરન્ટાઇન થઇ. એકલાં હોઇએ એટલે મેન્ટલ સ્ટ્રેસ પડે પણ હું મારુ માઇન્ડ ડાઇવર્ડ કરતી અત્યારે સ્વસ્થ થઇ ફરી પાછી કોવિડ વોર્ડમાં જ ડયુટી પર લાગી ગઇ છું. - ડૉ. બંસી પોપટ

અમદાવાદમાં ઘરનું ઘર હોવા છતાં સાડા ત્રણ મહિનાથી ઘરે ગયા વિના માત્ર કોવિડમાં સારવાર આપી રહ્યો છું

ઇસ્કોન ખાતે રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડૉ. રાજનસિંહ પરમાર ૭૦૦ પીજી ડોક્ટર્સના સચિવ છે અને અમદાવાદમાં જ તેમનું ઘર હોવા છતા તેઓ છેલ્લાં કેટલાય મહિનાથી પોતાના ઘરે એકપણ વખત નથી ગયા અને તેમના પરિવારજનને પણ નથી મળ્યા. તેઓએ કહ્યું કે, મારા ઘરમાં માતા-પિતા, નાની બહેન અને મારી પત્ની છે.  અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી હું કાર્યરત છું. આટલા દિવસોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સર્વેલન્સ, સેમ્પલ કલેક્શનમાં, પોલીસ ચેકિંગ અને હોમ ગાર્ડ ચેકિંગની કામગીરી કરી છે. ડૉ. રાજનસિંહ