કુપોષણ સામે જંગ- ૭૬ આંગણવાડીને દત્તક લઇ જાનકીબહેન બાળકોને પૌષ્ટીક આહાર આપી રહ્યા છે
મ્યુનિસિપલ શાળાઓ અને આંગણવાડીઓમાં ભણતા બાળકોને સ્થિતિને જોતા અનોખું અભિયાન ઉપાડયું છે
ભારતની કુલ વસ્તીમાં યુવાનોનું પ્રમાણ વધારે છે. તેથી યુવા ભારત કહી શકાય પરંતુ આ યુવાનોમાં ૪૭ ટકા કુપોષણનો ભોગ બનેલા છે. તેથી તેઓ પોતે તો પોતાનું ઘડતર કરી શકે એમ નથી પણ દેશના વિકાસમાં પણ કોઇ પ્રદાન આપી શકે તેમ નથી. આ પરિસ્થિતિને જોતા બાળપણથી જ બાળકોને તંદુરસ્ત બનાવવાનું બીડું 'સંવેદના' સંસ્થાના સ્થાપક જાનકીબહેન વસંતે ઝડપ્યું છે. તેઓએ ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓ અને આંગણવાડીઓમાં ભણતા બાળકોને સ્થિતિને જોતા અનોખંુ અભિયાન ઉપાડયું છે
બાળક સ્કૂલે જાય એ પહેલાં આંગણવાડીમાં જતું હોય છે, ત્યાંથી જ બાળકના કુપોષણને જો દૂર કરવામાં આવે તો તેમના શારીરિક અને માનસિક વિકાસને વધારી શકાય. એવું વિચારી જાનકીબહેને ૭૬ આંગણવાડીને હાયર કરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકોની તપાસ આદરી. તો એમાં અતિકુપોષિત અને કુપોષિત બાળકોની સંખ્યા વધારે હતી.
જેને દૂર કરવા પ્રોટીન અને વિટામિનથી ભરપૂર એવા રાગીના લાડુ, સીંગની ચિક્કી, ખજૂરના લાડુ એમ વિવિધ પ્રકારનો આહાર નિયમિત આંગણવાડીના બાળકોને ખવડાવવાનું શરૃ કર્યું. સાથે સાથે માતાઓનું કાઉન્સેલિંગ કરી બાળકોને ઘરે કેવો આહાર આપવો જોઇએ? એ અંગેની સમજ આપી. જેથી આગળ જતાં માતા અને બાળક બંને હેલ્ધી રહી શકે.
૧૧૫ કુપોષિત મહિલાઓ અને ૩૨૭ બાળકોને હેલ્ધી બનાવવાનો ટાર્ગેટ
'૭૩૦ કુપોષણનો ભોગ બનેલા બાળકોને ફ્ટ, પોષણયુક્ત આહાર આપીને ૩૦૦ દિવસમાં ૭૦ ટકા બાળકોને એમાંથી બહાર લાવી શક્યા. હવે અમે સર્ગભા અને ધાત્રી માતાઓ જે કુપોષિત છે. તેને હેલ્ધી બનાવવાનું કાર્ય શરૃ કર્યું છે. હાલમાં આ પ્રકારની ૧૧૫ મહિલાઓ અમારી પાસે છે અને ૩૨૭ બાળકો છે. તેમનામાં વિટામિન્સ, હિમોગ્લોબિન જેની પણ ઉણપ છે તેને દૂર કરી શકે એ પ્રકારનો આહાર તેમને આપીએ છીએ, સાથે તેમનું કાઉન્સેલિંગ કરીને કેવી રીતે હેલ્ધી રહી શકાય તેની સમજ આપવાનું શરૃ કર્યું છે.' - ડૉ. સુરેખા કે. ઓઝા
અતિકુપોષિત બાળક નાની ઉંમરમાં મૃત્યુ પામે છે
જાનકી બહેન કહે છે કે,'અમે ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ જેવા વિસ્તારની મ્યુનિસિપલ શાળાના બાળકોને સારું એજ્યુકેશન, સારું વાતાવરણ મળી રહે એ માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં. એ દરમિયાન અમને ખબર પડી કે બાળકોમાં જોઇએ એવું રિઝલ્ટ દેખાતું નથીં. એની પાછળના કારણો ચકાસતા તેઓ કુપોષણનો શિકાર હોવાનું બહાર આવ્યું. આવા કુપોષિત બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થતો નથી.
એમાં જે અતિ કુપોષિત હોય છે તેમનું નાની ઉંમરમાં મૃત્યુ થાય છે. તેને અટકાવવા માટે પ્રિડિયાટ્રિશિયન, ડાયટિશ્યન, ગાયનેકોલોજિસ્ટ એમ આખી ટીમ બનાવી એના ઉપર કામ શરૃ કર્યું. એનાથી બાળકોમાં ઘણાં ખરાં અંશે કુપોષણને દૂર કરી શક્યા તેનો આનંદ છે.'