વડલાની વચ્ચે બિરાજમાન વડલેશ્વર મહાદેવ મંદિર
- ઉનાનાં ભીમપરા વિસ્તારમાં
- શિવલીંગનું કદ વધતું હોવાની લોકવાયકા
ઉના, તા. 25 જુલાઈ, 2020, શનિવાર
ઉનામાં વડલાની વચ્ચે પ્રગટ થયેલ વડલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં પુજનનું વિશેષ મહત્વ હોવાથી દરરોજ અનેક ભાવિકો ઉમટે છે.
ઉના શહેરના ભીમપરામાં નગરપાલિકાના પાણી પુરવઠાના ટાંકા પાછળ જયવિર માંગડાવાળા દાદાના મંદિર પાછળ મોટો ઘેઘુર વરસો જુનો વડલો આવેલ છે. વડલાનાં થડમાં ૭૫ થી વધુ વરસ પહેલા એક શિવ ભકતની નજર શિવલીંગ ઉપર પડી હતી. તેમણે વરસો સુધી પુજા - અર્ચના કરી અને શિવ ભકતો દ્વારા શિવલીંગ ફરતે ઓટલો બનાવી પંચદેવની સ્થાપના કરી જય વડલેશ્વર મહાદેવ નામ રાખેલું હતું.
બુઝુર્ગોનાં કહેવા પ્રમાણે આ શિવલીંગ કુદરતી રીતે અમુક વરસે સોપારી જેટલું વધે છે. ૭૫ વરસ પહેલા સોપારીના માપનું હતું, હાલ નાળિયેરના માપનું થઇ ગયું છે. આ શિવ મંદિરે ઉના શહેર તથા આજુબાજુના ગામના લોકો શ્રાવણ માસમાં ખાસ પુજન - અર્ચન કરે છે.