વનવિભાગે 290 દિપડાઓને પાંજરે પૂર્યા બાદ 264ને પાછા છોડી મૂક્યા
- દિપડાના ભયને લીધે બગસરા પંથક રાત્રે કરફ્યુ જેવા માહોલ
- એક વખત પાંજરામાં કેદ થયેલા દિપડાને બીજી વખત પાંજરે પુરવો અઘરોઃ વનતંત્ર દ્વારા ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ
વિસાવદર,તા. 8 ડિસેમ્બર 2019, રવિવાર
વનવિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૨૯૦ દીપડાઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા પરંતુ દીપડાઓને થોડો સમય રાખ્યા બાદ તેમાંથી ૨૬૪ દિપડાઓને ફરી છોડી દેવામાં આવ્યા હતા. દિપડોને ખૂબ જ ચાલાક પ્રાણી માનવામાં આવે છે. એક વખત પાંજરામાં કેદ થયેલો દીપડો બીજી વખત પાંજરે પુરવામાં ખૂબ જ અઘરું થાય છે. માનવ મૃત્યુના કિસ્સામાં વનવિભાગ દ્વારા હવે ગંભીરતા દાખવવામાં આવતી હોવાનો ડોળ કરવામાં આવે છે. આટલી ગંભીરતા જો પહેલા દાખવવામાં આવી હોત તો આ સમય ન આવ્યો હોત અને નિર્દોષ લોકો ના ભોગ પણ લેવાયો ન હોત
બગસરા પંથકમાં દીપડાએ આતંક મચાવી દીધો છે ચાર દિવસમાં ચાર લોકો પર હુમલો કર્યો જેમાં બે ના મોત થયા અને ગતરાત્રીના હુમલામાં ઘવાયેલા મહિલા ને ગંભીર ઈજાઓ થઈ છે. વનવિભાગ દ્વારા પોલીસને સાથે રાખી સમગ્ર પંથકમાં શાપ શૂટર લઈ દીપડાને પકડવા અને જરૂર પડે તો ઠાર કરવા કવાયત હાથ ધરી છે. પરંતુ ૨૪ કલાક જેટલો સમય થવા છતાં હજુ સુધી તેમાં કોઇ સફળતા પણ મળી નથી. બગસરા નાના મોટા મુંજીયાસર સુડાવડ લુંઘીયા સહિતના ગામોમાં રાત્રે કર્ફ્યુ જેવો માહોલ સર્જી દેવામાં આવ્યો છે પરંતુ આટલી ગંભીરતા વનવિભાગે આજદિન સુધી કદી ન દાખવી અને તેના લીધે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આજ દિન સુધી દિપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવે અથવા તેનો શિકાર કરવામાં આવે તેવા કિસ્સામાં વનવિભાગ દ્વારા બે ચાર દિવસ સુધી તે જગ્યા તો સાથે ની આસપાસ પાંજરાઓ મૂકવામાં આવે પરંતુ ચાલાક દિપડાઓ પાંજરામાં મોટાભાગના કિસ્સાઓમાં કેદ થતા નથી અને વન વિભાગ ભીનુ સંકેલી લીધું હોય તેમ પાંજરા ઉઠાવી લે છે. જેથી માનવ લોહી ચાખી ગયેલો દીપડો ફરીવાર આવા કૃત્યો કરે છે. માનવ પર હુમલો કરનાર અથવા શિકાર કરનાર દિપડાને અન્ય કોઈપણ રીતે પકડવાનો આજદિન સુધી પ્રયાસ કરવામાં આવ્યો નથી વનવિભાગે પાંજરામાં કેદ ન થતા દિપડાને બેભાન કરી પણ પાંજરે પુરી શકાતા હોત પણ તેવું કરવામાં આવ્યું નથી.