કોરોનાનું બંધન હટતાં લગ્ન-બંધનમાં વધારો: આ મહિને 7 શુભ દિન
ડિસેમ્બર- 22માં ડિસેમ્બર- 21 કરતા વધુ લગ્ન નોંધણી : સોમનાથ- વેરાવળ પાટણમાં 2021માં 168 સામે 2022માં 2147 લગ્ન, ભપકા પાછળના ખર્ચા ટાળવા સમૂહલગ્નનો પ્રેરક અભિગમ
પ્રભાસ પાટણ, : કોરોનાનો કપરો કાળ ધરાવતું વર્ષ 2021 વીત્યા પછી લગ્નનાં ઢોલ ધ્રબૂકવાનું વધી જતાં વર્ષ ૨૦૨૨માં અગાઉના વર્ષ કરતા વધુ પ્રમાણમાં શરણાઈઓ ગુંજી હતી. અને નવા વર્ષના આ પ્રથમ મહિને પણ 7 શુભ દિન હોવાથી અનેક લગ્ન સમારંભો યોજાશે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની લગ્ન શાખામાં ડિસેમ્બર-22માં 114 લગ્ન નોંધાયા, જે સામે ડીસે- 2021માં 133 લગ્ન નોંધાયા હતા. વર્ષ 2021માં કોરોનાના વિષમ કાળમાં વેરાવળ-પાટણ શહેરમાં 1689 લગ્ન નોંધાયા હતા, પરંતુ કોનાના બંધન હટી જતાં વર્ષ 2022માં જાન્યુ.થી ડીસેમ્બર સુધીમાં કુલ 2147 લગ્નો નોંધાયા છે.
હાલ કમુરતાનું લગ્નગાળાનું એક માસ લાંબુ 'વેકેશન' મકર સંક્રાંતિએ પુરૂં થાય છે અને આજ મેરે યાર કી શાદી હૈ માટે થનગની રહેલા લોકો માટે લગ્ન પ્રારંભનું ફાટક ખુલતા જ આ જાન્યુઆરીમાં જ તા. 17, 18, 25, 26, 27, 28 અને 31મીએ લગ્નોની મંગળવિધિઓ થશે. લગ્નસરાની સીઝનમાં ભપકાદાર પારિવારિક સમારંભો પાછળ કરવા પડતા વ્યર્થ ખર્ચા ટાળવા ઠેર - ઠેર સમૂહ લગ્ન અપનાવવાનું ચલણ વધ્યું છે. આ પ્રેરણારૂપ અભિગમ અંતર્ગત ભાલપરા અને પ્રભાસપાટણ ખાતે આગામી દિવસોમાં સમૂહલગ્નો યોજાનાર છે.