Get The App

મહિલા પર ગેંગરેપ ગુજારીને સળગાવી દેવાનાં કેસમાં ફાંસીની સજાની માંગ

- સોરઠ ગ્રામીણ વિકાસ મંડળની મહિલા સભ્યોની રોષભેર રેલી

- કોડીનારના વેળવા ગામે ચાર વર્ષ પહેલાની જઘન્ય ઘટનામાં આરોપીઓ નિર્દોષ છુટી જતાં સીબીઆઈ તપાસ કરાવવા આવેદનપત્ર

Updated: Dec 10th, 2019

GS TEAM

Google News
Google News
મહિલા પર ગેંગરેપ ગુજારીને સળગાવી દેવાનાં કેસમાં ફાંસીની સજાની માંગ 1 - image


કોડીનાર, તા. 10 ડિસેમ્બર 2019, મંગળવાર

કોડીનાર તાલુકાના વેળવા ગામે ચાર વર્ષ પહેલા એક પરિણીત મહિલાનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ જીવતી સળગાવી દેવાના ચકચારી કેસમાં ત્રણેય આરોપીઓ નિર્દોષ છૂટતા આજે સોરઠ ગ્રામીણ વિકાસ મંડળની મહિલા સભ્યોએ રોષભેર રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપી સીબીઆઈ તપાસ અને ફાંસીની સજાની માંગ કરી હતી.

ચકચારી કેસ પ્રમાણે, કોડીનારનાં વેળવા ગામે રહેતી સવિતાબેન નામની પરિણીતા ચાર વર્ષ પહેલા તેના પીયર નાના વાડા ગામે જવા નિકળી હતી. આ સમયે ત્રણ શખ્સોએ તેનું અપહરણ કરી જઈને દેવળી ગામ પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે દરમિયાન મહિલાએ બુમાબુમ કરતા ત્રણેય શખ્સોએ કોઈ ઈન્જેક્શન મારીને બેભાન કરી નાંખી હતી અને અપકૃત્યની કોઈને જાણ થઈ જવાના ડરથી બાઈકમાંથી પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી.

આ જઘન્ય ઘટના બાદ પોલીસે આરોપીઓ તરીકે રોહિત કેસરભાઈ ડોડીયા, અતુલ ભગવાનજી પરમાર અને જયદિપ લખમણ બોરીચાનાં નામ ખુલતા ગુનો દાખલ કર્યો હતો. ભોગ બનનાર મૃતક મહિલા સોરઠ વિકાસ મંડળની સભ્ય હોવાથી જે તે વખતે અન્ય મહિલા સદસ્યોએ ત્રણેય આરોપીઓને પોલીસ છાવરી રહી હોવાના આક્રોશ સાથે રેલી કાઢીને ધરપકડની માંગણી કરી હતી.

બાદમાં પણ વારંવાર રજઆતો કરતા અંતે પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને કાયદેસર કાર્યવાહી કરી હતી. જો કે પોલીસે તપાસમાં છીંડા રાખી દીધાનાં આક્ષેપો પણ થયા હતા અને અંતે કોડીનારની એડીશ્નલ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં પુરાવાનાં અભાવે ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો ચુકાદો આપ્યો હતો.

હવે હૈદરાબાદમાં આવી જ ઘટના તાજેતરમાં બની છે ત્યારે સોરઠ ગ્રામીણ વિકાસ મંડળની આઠ હજાર જેટલી મહિલા સભ્યોમાં ફરી રોષ જાગ્યો છે અને આજે તેમની ઓફિસેથી મોટી સંખ્યામાં મહિલા સદસ્યોએ રેલી કાઢીને મામલતદાર કચેરીએ જઈ વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે જે તે સમયની નબળી પોલીસ તપાસ સામે ગંભીર આક્ષેપો કરીને તેમની સભ્ય સાથી મહિલા સવિતાબેન પરના ગેંગરેપ અને હત્યાનાં કેસમાં સીબીઆઈ મારફત ખાસ તપાસ કરાવીને પુનઃ સમીક્ષા કરવા તથા અપરાધીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી.

Tags :