168 વર્ષ પહેલા આજે સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન દોડી હતી
ભાવનગર - ગોંડલ વચ્ચેનો રેલ - ઇતિહાસ : દેશની પ્રથમ ટ્રેન 1853માં દોડયાનાં ફકત 27 વર્ષ બાદ 1880માં 18 ડીસેમ્બરે સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન દોડી
પ્રભાસપાટણ, : દેશમાં આવાગમન ક્ષેત્રે દેશી રજવાડાઓ અને અંગ્રેજોનું મહત્વનું પ્રદાન છે. ભારતમાં 1953ની સાલમાં સૌ પ્રથમ મુંબઇ થાણા વચ્ચે પ્રથમ રેલવે ટ્રેન દોડી હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન ગોંડલ - ભાવનગર વચ્ચે 18 ડીસેમ્બર 1880 માં દોડી હતી. આ માટેનો યશ ગોંડલના રાજવી સર ભગવત અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીને ફાળે જાય છે. દેશમાં ટ્રેનની શરૂઆત પછી ફકત 27 વર્ષમાં સૌરાષ્ટ્રમાં ટ્રેન દોડી હતી.
સૌરાષ્ટ્રમાં રેલ્વે લાઇન નાખવાનો પ્રથમ વિચાર અંગ્રેજ સર રીચાર્ડ ટેમ્પલ, ગોંડલના રાજવી સર ભગવત અને ભાવનગર રાજવીને આવ્યો હતો. ભાવનગર ગોંડલ રાજ્યે મળીને ભાવનગરથી વઢવાણ, ધોળાથી ધોરાજી સુધી કુલ 323 કિ.મી. રેલવે લાઇન નાખવાનું આયોજન કર્યું હતું. જેને તત્કાલિન વાઇસરીય ગવર્નર લીટને મંજૂર કર્યું હતું. અને એનું ઉદ્દઘાટન રિચાર્ડ ટેમ્પલે કર્યું હતું. 1880માં કામ પુરૂં થતાં રેલવે લાઇન ગવર્નર ફરગ્યુસને કર્યું હતું. આ લાઇન ભાવનગર - ગોંડલ તરીકે ઓળખાતી હતી. અને એ લાઇન પર પ્રથમ સ્ટીમ એન્જીન સાથે ટ્રેન દોડી હતી. ભાવનગરથી વઢવાણ સુધી 170 કિલોમીટર, ધોળાથી ધોરાજી સુધી 170 કિ.મી. મળી કુલ 323 કિ.મી. લાઇન પાછળ 86 લાખનો ખર્ચ થયો હતો. મૂડી રોકાણ ઉપર 4.64 ટકાનો નફો થયો હતો. રેલવે લાઇન નાખવા માટે કોઇની આર્થિક મદદ લીધી ન હતી એ પછી સૌરાષ્ટ્રમાં દેશી રજવાડાઓએ 2235 કિ.મી. રેલવે લાઇન બિછાવી હતી. ધોરાજી, રાજકોટ, મોરબી રાજ્યે ટ્રામ સેવા પણ ચાલુ કરી હતી.
જે જમાનામાં ઝડપી કામ માટે જે.સી.બી. કે અર્થ મૂવર્સ ન હતા, યાંત્રિક સાધનોનો અભાવ હતો એ જમાનામાં પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિથી રાજાઓએ ટ્રેન સવલત આપી હતી. રાજાશાહી બાદ અનેક સ્થળે પાટાઓ ઉખાડી નંખાયા છે. ગેજ કન્વર્ઝન - ડબલિંગના કામો ઠચૂક - ઠચૂક થાય છે. શાપુર - સરાડિયા, જસદણ - બોટાદ, કુંકાવાવ - દેરડી લાઇનોના સમૂળગા પાટા ઉખાડી નંખાયા છે.