વેરાવળમાં સોની વેપારીને ત્યાંથી 11 લાખના ઘરેણાં લઈ કારીગર છૂ
- સુભાષ રોડ પરના જ્વેલર્સમાં બનાવ
- ચાર દિવસ પહેલા જ કોઈની ભલામણથી કામ પર રાખ્યો હતોઃ વિશ્વાસમાં ડૂબતા વહાણથી સોની વેપારીઓમાં ભય
વેરાવળ, તા, 15 ફેબ્રુઆરી 2019, શનિવાર
વેરાવળમાં સુભાષ રોડ પર સોની વેપારીને ત્યાંથી ૧૧ લાખના દાગીના લઈ બંગાળી કારીગર રફુચક્કર થઈ જતા ચકચાર વ્યાપી જવા પામી છે. ચાર દિવસ પહેલા જ તેને કોઈની ભલામણથી કામ ઉપર રાખ્યો હતો. વિશ્વાસમાં ડૂબતા વહાણથી સોની વ્યાપારીઓમાં ભય ફેલાયો છે. ફરાર આરોપીને તૂર્ત પકડવા માંગ કરાઈ છે.
ઈન્ચાર્જ પી.આઈ. મોઢવાડીયાએ જણાવેલ હતું કે સુભાષ રોડ ઉપર ખોજાખાના પાસે આવેલ સેફાન જ્વેલર્સમાં તા. ૧૧ના રોજ બંગાળનો શેખ સદામ કરીને કારીગર આવેલ હતો તે તા. ૧૪ના રોજ બપોરે હું બાથરૂમ જઈને આવું છું તેમ કહી નિકળી ગયેલ હતો.
એકાદ કલાક સુધી તે નહીં આવતા દુકાનમાં પડેલ ખુલ્લી તેજોરીમાં તપાસ કરતા સોનાના દાગીના તથા સોનાના બીસ્કીટ તે લઈ ગયેલ હોય જેથી તેને આખી બજારમાં શોધખોળ કરેલ હતી પણ ક્યાંય મળેલ ન હોય તેથી માલીક શબ્બીર મંડલે રૂા. ૧૦,૬૩,૬૦૦નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયેલ હોય તેવી ફરીયાદ નોંધાવેલ છે.
સોમનાથ સુવર્ણકાર એસો.ના ઉપપ્રમુખ બીપીન અભાણીએ જણાવેલ હતું કે સોની વેપારીઓમાં ભલામણથી કારીગરો રખાય છે. વિશ્વાસ ઉપર કામ ચાલતું હોય છે. ૪ દિવસ કામકાજ કરી આટલી મોટી રકમના દાગીના લઈને ફરાર થઈ જતા સોની વેપારીઓમાં પણ ભય વ્યાપેલ છે જેથી આ આરોપીને તાત્કાલીક ઝડપવા માંગ કરાયેલ છે. આ બનાવ બનતા સોની વેપારીઓમાં ભારે ભય વ્યાપેલ છે.