આરઆરઆરના લેખક વિજેન્દ્રપ્રસાદ લખી રહ્યા છે, આનંદમઠની રિમેક, 1770 એક સંગ્રામ
નવી દિલ્હી,તા.08 એપ્રિલ 2022,શુક્રવાર
ભારતીય ફિલ્મ ઇતિહાસની સુપરડુપર હિટ બ્લોકબસ્ટર ફિલ્મોમાં આરઆરઆર અને બાહુબલિનો સમાવેશ થાય છે. દરેક ફિલ્મ સૌથી પહેલાં તેના લેખકના દિમાગમાં આકાર લેતી હોય છે. તે જોતાં આ ફિલ્મોની સફળતા માટે તેના લેખક કે. વી. વિજેન્દ્રપ્રસાદને પાયાનું શ્રેય આપવું પડે. વિજેન્દ્રપ્રસાદની રાષ્ટ્રવાદી કથાનક ધરાવતી જોશીલી ફિલ્મોના ચાહકો માટે એક સારા સમાચાર છે. તેઓ આનંદમઠ ફિલ્મની રિમેક 1770 એક સંગ્રામ લખવાના છે.
મૂળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા આનંદમઠ પરથી 1951માં ફિલ્મ બની હતી. આ નવલકથામાં વંદેમાતરમ ગીત લખાયું હતું અને ભારતનાં સ્વતંત્રતા આંદોલન દરમિયાન તે રાષ્ટ્રગાન બની ગયું. આનંદ મઠ ફિલ્મમાં પણ હેમંત કુમારના સંગીત દિગ્દર્શનમાં લત્તા મંગેશકરના અવાજે ગવાયેલું વંદેમાતરમ ગીત આજે પણ રૂવાડાં ખડા કરી દે છે.
સ્વતંત્રતા સંગ્રામની પશ્ચાદભૂમિકા અને ભારે સાહસિક નાયકોની કથાઓ લખવામાં વિજેન્દ્રપ્રસાદની હથોટી છે. મૂળ બંગાળમાં 1770માં થયેલા સન્યાસી વિદ્રોહ આધારિત આનંદમઠ નવલકથામાં બંગાળના સાધુઓએ ઇસ્ટ ઇંડિયા કંપની સામે શસ્ત્રો ઉઠાવ્યાં હતાં તેની ગાથા છે. આજની તારીખે ફિલ્મી લેખકો માં આ કથાને વિજેન્દ્રપ્રસાદથી વધુ શ્રેષ્ઠ રીતે કોઈ ન્યાય આપી શકે નહીં.
આ ફિલ્મ દર્શકો માટે સંવાદો અને વિઝ્યુઅલ્સની રીતે એક ટ્રીટ જ હશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, તેનું દિગ્દર્શન વિજેન્દ્રપ્રસાદના પુત્ર એસ. એક. રાજમૌલી નહીં પરંતુ ફિલ્મ પત્રકારમાંથી ફિલ્મ સર્જક બનેલા રાજકમલ મુખરજી કરવાના છે.
આનંદમઠ પરથી ભવ્ય ફિલ્મ બનાવીશકાય એવો આઇડિયા રાજકમલના દિમાગમાં લાંબા સમયથી રમતો હતો. બાહુબલી, મણિકર્ણિકા અને આરઆરઆર જેવી ફિલ્મોમાં વિજેન્દ્રપ્રસાદની કલમની તાકાત જોઇને રાજકમલે તેમનો સંપર્ક કર્યો. જોકે, વિજેન્દ્રપ્રસાદે શરૂઆતમાં તો એમ કહીને ના પાડી દીધી કે 250 વર્ષ પહેલાંના ઇતિહાસની વાર્તામાં આજની યુવા પેઢીને રસ નહીં પડે. પરંતુ, રાજકમલે તેમને પોતાના વિઝનનો ખ્યાલ આપ્યો એ પછી વિજેન્દ્રપ્રસાદ ફિલ્મ લખવા સંમત થઇ ગયા છે.