રામાયણની 'સીતા' દીપિકા ચિખલિયાને આ સીન છે ફેવરિટ
- ભગવાન રામ માતા સીતાનો ત્યાગ કરે છે તે દૃશ્ય લાગણીઓના અનેક ઉતાર-ચઢાવ દર્શાવતું હોવાથી પ્રિય
મુંબઈ, તા. 19 એપ્રિલ 2020, રવિવાર
લોકોમાં દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહેલી 'રામાયણ' શ્રેણીને લઈ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાથે જ તેઓ રામાયણ સાથે સંકળાયેલા કલાકારો અને તેમના સાથે બનેલી વિવિધ ઘટનાઓ જાણવામાં પણ ખૂબ જ રસ લઈ રહ્યા છે. તેના આધાર પર આજે રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાના ધાર્મિક શ્રેણીના સૌથી ફેવરિટ સીન અંગે જાણીશું.
એક ઈન્ટરવ્યુ દરમિયાન દીપિકા ચિખલિયાએ રામાયણના પોતાના સૌથી ફેવરિટ અને ભાવુક સીન અંગે ખુલાસો કર્યો હતો અને તે સીન તેમને શા માટે ગમે છે તેમ પણ જણાવ્યું હતું. માતા સીતાના પાત્રમાં પ્રાણ રેડીને અભિનય કરનારા દીપિકા ચિખલિયાએ તે સમયે દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામ સીતાનો ત્યાગ કરે છે તે સીન તેમને સૌથી વધારે પસંદ છે.
તેનું કારણ આપતા તેમણે જણાવ્યું કે, તે સીનમાં સીતા અને રામ એકબીજાનો સામનો કરે છે તે ખૂબ જ અદ્ભૂત રીતે દર્શાવવામાં આવેલું છે. ભાવુક કરી દેતા તે સીનમાં અનેક લાગણીઓનો ઉતાર-ચઢાવ જોવા મળે છે જેને અરૂણ ગોવિલ અને તેમણે ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું.
જ્યારે માતા સીતા રામચંદ્ર સાથે અયોધ્યા પરત જાય છે ત્યારે પણ તેમની મુશ્કેલીઓનો અંત નથી આવતો અને પ્રજા દ્વારા સીતાના ચારિત્ર્યને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા હોય છે. આની જાણ થતા જ સીતા માતા રામને પોતાનો ત્યાગ કરીને રાજધર્મનું પાલન કરવા વિનંતી કરે છે.