કાંતારાનો અભિશાપઃ ફિલ્મના વધુ એક કલાકારનું મોત
- શૂટિંગ શરૂ થયા બાદ કુલ ત્રણનાં મોત
- મિમિક્રી આર્ટિસ્ટ કલાભવન નિજુનું બેંગલુરુમાં હાર્ટ એટેકથી મોત
મુંબઈ: ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા ચેપ્ટર વન' જાણે કોઈ અભિશાપના ભરડામાં ફસાઈ હોય તેમ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયા બાદ તેના ત્રીજા કલાકારનું અચાનક મોત થયું છે.
ફિલ્મના એક કલાકાર અને મિમિક્રી આર્ટિસ્ટ કલાભવન નિજુનું બેંગલુરુમાં હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. તેઓ બેંગલુરુમાં આ ફિલ્મના શૂટિંગ માટે જ પહોંચ્યા હતા. જ્યાં રાતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. કલાકારો માટેના હોમ સ્ટેમાં રોકાણ કરી રહેલા નિજુએ તેમના સાથીઓને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
મૂળ 'કાંતારા' ફિલ્મની પ્રીકવલ એવી 'કાંતારા ચેપ્ટર વન'ના આ ત્રીજા કલાકારનું મોત થયુું છે. આ અગાઉ ફિલ્મના કોમેડિયન રાકેશ પુજારીનું ફક્ત ૩૩ વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું હતું. તે પહેલાં કેરળના એમએફ કપિલ નામના કલાકારનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. તે પહેલાં ફિલ્મના કલાકારોની બસને અકસ્માત નડતાં ૨૦ કલાકારો ઘાયલ થયા હતા.
તે અગાઉ ભારે વરસાદમાં આ ફિલ્મનો સમગ્ર સેટ નાશ પામ્યો હતો.