શ્રીરામ રાઘવન મૈડોક ફિલ્મસ માટે બદલાપુર ટુનું દિગ્દર્શન કરશે
- જોકે સીકવલમાં મૂળ ફિલ્મના કલાકારો જ હશે કે નવા લેવામાં આવશે તેની સ્પષ્ટતા નથી
મુંબઇ : શ્રીરામ રાઘવનની ૨૦૧૫ની બદલાપુર ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો વકરો કર્યો હતો. હવે આ ફિલ્મની સીકવલની તૈયારી થઇ રહી છે. હાલ આ ફિલ્મની પટકથા લેખન શરૂઆતી સ્ટેજમાં છે. રિપોર્ટના અનુસાર, શ્રીરામ રાઘવન જ બદલાપુર ટુનું દિગ્દર્શન કરશે. મૂળ ફિલ્મના કલાકારોવરુણ ધવન અને નવાઝુદ્દીન સિદ્દીકી આ સીકવલમાં હશે કે નહીં તે વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રિપોર્ટના અનુસાર, હાલ ફિલ્મની વાર્તાને આકાર અપાઇ રહ્યો છે. પરંતુ એક વાત નક્કી છે કે, સીકવલમાં ક્રોધ અને બદલાની ભાવનાને ચોક્કસ સમાવવામાં આવશે.
બદલાપુર ટુની સીકવલની ઘોષણાથી સિનેમા ચાહકો આશ્ચર્યમાં પડી ગયા છે. મૂળ ફિલ્મ બદલાપુરની વાર્તા તો પુરુ થઇ ગઇ હતી. ઉપરાંત રાઘવન પોતાની ફિલ્મોની સીકવલ બનાવવામાં સંકોચ કરતા હોય છે. પરંતુ સમય અને સંજોગોને અનુસરીને રાઘવને પણ બદલાપુર ટુની સીકવલ બનાવવાનું બીડું ઝડપી લીધું છે.