| Image:Twitter |
ભારતની દરેક વ્યક્તિ સીમા હૈદરની સ્ટોરી જાણે છે, જે પોતાના પ્રેમ માટે ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી હતી. જ્યારથી સીમા ભારત આવી છે ત્યારથી તે લાઈમલાઈટમાં રહી છે. આ જ કારણ છે કે ફિલ્મ નિર્માતા અમિત જાનીને આ સ્ટોરી રસપ્રદ લાગી અને તેમણે તેના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ બધાની વચ્ચે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થવાનું છે. આવતીકાલે રિલીઝ થનારા આ પોસ્ટર માટે ફિલ્મના મેકર અમિત જાની મુંબઈ પહોંચી ગયા છે.
MNS દ્વારા ફિલ્મનો સતત વિરોધ
રાજ ઠાકરેની પાર્ટી MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) દ્વારા આ ફિલ્મનો સતત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની વ્યક્તિને લઈને તેના પર ફિલ્મ બનાવવા અંગે અમિતને સતત ધમકીઓ મળી રહી છે. જે બાદ તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. આ દરમિયાન અમિત જાનીએ આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે.
આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
સીમા-સચિનની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમા પોતાના પ્રેમ સચિન માટે પતિને છોડી ચાર બાળકો સાથે ભારત આવી હતી. આ પછી સીમા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. આ પછી અમિત જાનીએ આ લવસ્ટોરી પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. ફિલ્મનું નામ 'કરાચી ટુ નોઈડા' રાખવામાં આવ્યું છે. જેના કારણે સીમા હૈદર પણ બોલીવુડમાં ડેબ્યુ કરશે. આ બધાની વચ્ચે હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. અમિતા જાનીએ આ ફિલ્મને ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફિલ્મનું પોસ્ટર 28 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે.
MNSની ધમકી પર અમિત જાની કોર્ટ પહોંચ્યા
MNSનું કહેવું છે કે તેઓ ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. રાજ ઠાકરેની પાર્ટી MNS ફિલ્મમાં કોઈપણ પાકિસ્તાની કલાકાર કે પાકિસ્તાની નાગરિકને રોલ આપવા અંગે વિરોધ કરી રહી છે. રાજ ઠાકરેની પાર્ટી તરફથી સતત ધમકીઓ મળ્યા બાદ, અમિત જાનીએ બોમ્બે હાઈકોર્ટમાં જઈને MNS વિરુદ્ધ ક્રિમિનલ રિટ પિટીશન દાખલ કરી છે. અમિત જાનીએ કહ્યું છે કે રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓને ફિલ્મ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. અમિત જાની કહી રહ્યા છે કે MNSને વિનંતી છે કે આવીને અમારી સાથે વાત કરે. જો તે ન આવી શકે તો અમને વાત કરવા માટે બોલાવે. મને ખાતરી છે કે અમારી વાત સાંભળ્યા પછી MNSની બધી ગેરસમજો દૂર થઈ જશે. રાજ ઠાકરે પોતે આ ફિલ્મના વખાણ કરશે.


