Ranveer Singh is No Longer Part of Don-3: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મ 'ધુરંધર'ની બ્લોકબસ્ટર સફળતાની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ તેની ખુશીઓ વચ્ચે ફેન્સ માટે એક આઘાતજનક સમાચાર આવ્યા છે. અહેવાલો મુજબ, રણવીર સિંહ હવે ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડૉન-3'(Don-3)નો હિસ્સો નથી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે રણવીરે આ ફિલ્મ સ્વેચ્છાએ છોડી નથી, પરંતુ તેને કાઢી મુકવામાં આવ્યો છે.
શું રણવીરની 'અયોગ્ય માંગણીઓ' નડી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂત્રોએ દાવો કર્યો છે કે રણવીર સિંહને તેની અયોગ્ય માંગણીઓને કારણે પ્રોજેક્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. અગાઉ એવી અફવા હતી કે રણવીરે પોતે ફિલ્મમાંથી વૉકઆઉટ કર્યું છે, પરંતુ નવી અપડેટ મુજબ મેકર્સ રણવીરના વલણથી નારાજ હતા.
જ્યારે કોઈ સાથે નહોતું, ત્યારે ફરહાન ઉભો રહ્યો
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, જ્યારે રણવીરની સતત 3 ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજોએ 'બૈજુ બાવરા' જેવો પ્રોજેક્ટ કેન્સલ કર્યો હતો, ત્યારે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર તેની પડખે ઉભા રહ્યા હતા. ફરહાન એકમાત્ર મેકર હતો જેણે રણવીર પર ભરોસો મૂકીને તેને અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન પછીનો નવો 'ડૉન' બનાવવાનું નક્કી કર્યું હતું.
ક્રિએટિવ ડિફરન્સ કે વધુ પડતો આત્મવિશ્વાસ?
ચર્ચા એવી પણ છે કે 'ધુરંધર' હિટ થયા પછી રણવીર પોતાના રોલ અને પ્રોજેક્ટ્સને લઈને વધુ પડતો 'સિલેક્ટિવ' થઈ ગયો છે. તે હવે માત્ર ભણસાલી, લોકેશ કનગરાજ અને એટલી જેવા મોટા ડિરેક્ટર્સ સાથે જ કામ કરવા માંગે છે. રિપોર્ટ્સ મુજબ, રણવીર અને મેકર્સ વચ્ચે સર્જાયેલા ક્રિએટિવ ડિફરન્સ આ વિવાદનું મુખ્ય કારણ બન્યા છે.
આ પણ વાંચો: અલ્લુ અર્જુનની નવી ફિલ્મનું બજેટ 1000 કરોડ હશે
હવે કોણ બનશે નવો 'ડૉન'?
ફરહાન અખ્તર લાંબા સમય પછી ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યો છે, પરંતુ લીડ એક્ટરની એક્ઝિટને કારણે ફિલ્મ પર ગ્રહણ લાગ્યું હોય તેવું જણાય છે. હવે મેકર્સ નવા હીરોની શોધમાં છે. જોકે, આ સમગ્ર વિવાદ પર હજુ સુધી રણવીર સિંહ કે પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


