રણબીર-આલિયાનો નવો બંગલો તૈયાર પણ ગેટ બાકી
- રાહાના નામે રજિસ્ટ્રેશન થવાની અટકળો
- સાદાં પતરાંના દરવાજાથી સોશિયલ મીડિયા પર મજાકની છોળો ઉડી
મુંબઇ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ચાર માળનો બંગલો બાંદરાના પાલીહિલ વિસ્તારમાં તૈયાર થઇ ગયો છે. પરંતુ બંગલાના દરવાજાના સ્થાને હજી પતરા મારેલા હોવાથી સોશયલ મીડિયા રમૂજની છોળો ઉડી રહી છે.
વાયરલ થયેલા વિડીયોમાં આલીશાન બંગલાના ગેટની જગ્યાએ હજુ પતરાં મારેલાં જોવા મળે છે. તેના પરથી કેટલાક લોકોએ એવી ટિપ્પણી કરી હતી કે બંગલો બની ગયો પરંતુ ગેટ બનાવવાના પૈસા નથી બચ્યા લાગતા. કોઈએ એવી ટિપ્પણી કરી હતી કે બંગલાને નજર ન લાગે તે માટે પતરાંનો દરવાજો જ રાખવામાં આવશે.
રણબીર-આલિયાના આ બંગલાની કિંમત લગભગ ૨૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. મુંબઇની આ પ્રોપર્ટી મૂળ તો રાજ કપૂર અને કૃષ્ણા રાજકપૂરની હતી. ૧૯૮૦માં તેમણે આ પ્રોપર્ટી ઋષિ કપૂર અને નીતૂ કપૂરને આપી હતી. રણબીર-આલિયાએ જૂનું સ્ટ્રકચર તોડી સમગ્ર બંગલો નવેસરથી તૈયાર કરાવ્યો છે. કહેવાય છે કે, આ બંગલાનું રજિસ્ટ્રેશન તેમની પુત્રી રાહાના નામે થવાનું છે.
જોકે યુગલે આ બંગલાનું નામ દાદીના નામ પરથી કૃષ્ણા રાજ બંગલા રાખ્યું છે.