નીલ નિતિન મુકેશ ગાયક દાદાની બાયોપિક બનાવવા તત્પર
- બે વર્ષથી ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે
- 1976માં વિખ્યાત ગાયક મુકેશનું અવસાન સમયે નીલ પાંચ વર્ષની ઉંમરના બાળક હતા
મુંબઇ : મશહૂર પ્લેબેક સિંગર મુકેશના પૌત્ર નીલ નિતિન મુકેશે એક મુલાકાતમાં પોતાના દાદાની બાયોપિક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ મુલાકાતમાં નીલે પોતાના દાદાની ભૂમિકા ભજવવામાં પોતે અચકાઇ રહ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારે તેમનું પાત્ર ભજવવાને બદલે આ સ્ટોરીને પ્રોડયુસ કરવા પર વધારે ધ્યાન આપવું જોઇએ. હું ઇચ્છુ છું કે તેમની જિંદગીની કહાનીને યોગ્ય રીતે બતાવવામાં આવે. નીલ માને છે કે તેમના દાદાની કહાની આજની પેઢી સુધી પહોંચવી જોઇએ કેમ કે આ એક સામાન્ય માણસની પ્રેરણાદાયક યાત્રા છે જેમાં તેણે પોતાના સપનાને સાકાર કરી બતાવ્યા છે. નીલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષથી આ ફિલ્મની પટકથા પર કામ કરી રહ્યા છે.
વિખ્યાત ગાયક અને લોકોમાં રાજકપૂરના અવાજ તરીકે જાણીતાં મુકેશનું અવસાન ૧૯૭૬માં થયું ત્યારે નીલની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. નીલ કહે છે, મારા દાદાની સ્મૃતિઓ બહું નથી પણ મારી દાદી અને પિતા નિતિન મુકેશે મને તેમની ઘણી સ્ટોરીઓ કહી છે. નીલનું સ્વપ્ન છે કે તેના દાદાની સ્ટોરી રૂપેરી પડદે રજૂ થાય. જેથી લોકોને તેમની મહેનત અને સફળતાની જાણ થાય.