- વધુ પડતી કસરતની અસર હોવાનો દાવો
- પત્ની સહિતનાં પરિવારજનો બહારગામ હોવાથી હોસ્પિટલ મોડા પહોંચ્યાનો દાવો
મુંબઇ : અભિનેતા ગોવિંદા ગઈ મોડી રાતે તેના ઘરમાં જ બેહોશ થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ ચેકઅપ પછી આજે બપોર સુધીમાં તે ઘરે પાછો આવ્યો હતો.
૬૧ વર્ષીય ગોંવિંદાના દાવા મુજબ બહુ હેવી વર્ક આઉટના કારણે તેને આ અસર થઈ હતી. તેને મગળવારે રાતના માથાનો સખત દુખાવો, માથું ભારી લાગવું અને ચક્કર આવવા જેવી તકલીફ થઇ હતી.તે ઘરમાં અચાનક જ બેહોશ થઇ ગયો હતો. એ પછી તેના ફેમિલી ડોકટરે ફોન પર દવા જણાવી હતી જે તેણે લીધી હતી. પરંતુ સાથેસાથે તેના તબીબે તેને ન્યુરોલોજિસ્ટને મળવાની સલાહ આપી હતી.જેથી તેને મંગળવારે રાતના દાખલ કરવામાં આવ્યો હતો. તેની તબીબી ટેસ્ટ અને સારવાર પછી તેને બુધવારે ઘરે જવાની રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલના દરવાજાની બહાર તેની રાહ જોઇ રહેલા મીડિયાકર્મીઓ સાથે ગોવિંદાએ વાતચીત કરી હતી. તેણે પોતાના પ્રશંસકોને તે સાજો થઇ ગયો હોવાનું જણાવ્યું હતું.
હોસ્પિટલમાં તેની સાથે તેના પરિવારજનમાંથી કોઇ પણ નહોતું. જોકે, તેના સેક્રેટરીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સુનીતા મુંબઇની બહાર એક લગ્નમાં હાજરી આપવા ગઇ હતી. જે મોડી રાતના હોસ્પિટલમાં પહોંચી હતી જ્યારે ટીના કામ માટે ચંદીગઢ ગઇ હોવાથી સાંજે પહોંચી હતી.


