ભગવાન પર ભરોસો, નેગેટિવિટી પર ધ્યાન નથી આપતી: ટ્રોલિંગ મુદ્દે ધનશ્રીનો જવાબ
Dhanashree Verma Reacts on Trolling : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ સોશિયલ મીડિયામાં ધનશ્રી વર્માને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. હવે આ મામલે ધનશ્રીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. ધનશ્રીના જણાવ્યા મુજબ, તે ચહલ સાથે છૂટાછેડા બાદ મૂવ ઓન કરી ચૂકી છે. પરંતુ તે ચરણ તેના માટે સરળ નહોતું, કારણ કે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ છૂટાછેડા માટે તેને જવાબદાર ઠેરવી હતી. જો કે, ધનશ્રીએ હવે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને હેટ કોમેન્ટ્સથી કોઇ ફરક નથી પડ્યો, મને ભગવાન પર ભરોસો છે. હું નેગેટિવિટી પર ધ્યાન નથી આપતી.’
લોકો સત્ય નથી જાણતાઃ ધનશ્રી
ધનશ્રીએ એક ઇનટરવ્યૂમાં આ અંગે વાત કરતા તેને સાંભળવા મળેલી ટીકાઓ અને નેગેટિવિટી પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે, 'મારા વિરૂદ્ધ ફેલાવવામાં આવેલી વાતો સત્યથી ખૂબ જ દૂર છે. કોઇ પણ અફવા મારું પ્રતિનિધિત્વ નથી કરતી. લોકો સત્ય નથી જાણતા પણ હું આવી વાતો પર સ્પષ્ટતા નથી આપતી કારણ કે મને મારા સંસ્કારો પર ભરોસો છે. મને મારી વેલ્યૂ, સંસ્કાર અને અસ્તિત્વ વિશે ખબર છે.’
આડકતરી રીતે ચહલ પર કર્યો પ્રહાર
આ દરમિયાન ધનશ્રીએ આડકતરી રીતે ચહલ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘હું હંમેશા શાલીનતા અને ગરિમા જાળવી રાખવામાં માનું છું. હું બીજાને નીચું બતાવવામાં વિશ્વાસ નથી રાખતી. આનાથી મને કોઇ લાભ નહીં થાય. હું મારી આસપાસના લોકો પર ફોકસ કરવા માંગુ છું. સેલ્ફ ગ્રોથ, પોતાની જાત પ્રત્યે પ્રેમ અને અનુશાસને મને હંમેશા પ્રેરિત કર્યું છે. હું મારા કામમાં લાગેલી રહું છું. મને વિશ્વાસ છે કે એક દિવસ સત્ય લોકોની સામે આવશે. અત્યારે મારું ધ્યાન માત્ર કરિયર પર જ છે.’