અમિતાભ બચ્ચનની આઈકોનિક ફિલ્મ 'ડૉન' ના દિગ્દર્શકનું નિધન, ગંભીર બીમારીથી પીડાતા હતા
Bollywood Director Chandra Barot Death: અમિતાભ બચ્ચનની સુપરહીટ ફિલ્મ 'ડૉન' ના દિગ્દર્શક ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે નિધન થયુ છે. તેમના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે. તેમનું નિધન 20 જુલાઈના રોજ રવિવારે થયુ હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને વધતી ઉંમરના કારણે તેઓ શારીરિક સમસ્યાથી પીડાતા હતા.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો
ચંદ્ર બારોટના અવસાનથી હિન્દી સિનેમામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર, જેમણે 2006 માં પોતાની ફિલ્મ 'ડોન'ની રિમેક બનાવી હતી. તેઓ પણ તેમના અવસાનથી શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ચંદ્ર બારોટને યાદ કરતા ફરહાને લખ્યું કે, 'મૂળ ડોનના દિગ્દર્શક હવે આપણી વચ્ચે નથી તે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.'
કોણ હતા ચંદ્ર બારોટ?
'ડોન' જેવી કલ્ટ-ક્લાસિક ફિલ્મ આપવા ઉપરાંત, ચંદ્ર બારોટે ઘણી સુપરહીટ હિન્દી ફિલ્મોમાં આસિસ્ટન્ટ દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું. મનોજ કુમારની ફિલ્મ 'પૂરબ ઔર પશ્ચિમ' ઉપરાંત, તેમણે 'યાદગાર', 'રોટી કપડાં મકાન' જેવી ફિલ્મોમાં પણ આસિસ્ટન્ટ દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ચંદ્ર બારોટે બંગાળી ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. પોતાની કારકિર્દી વિશે કેઓ હંમેશા કહેતાં હતાં કે, ચાહકો તેમને ફક્ત અને ફક્ત અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ડોન' માટે જ યાદ રાખશે.
જ્યારે શાહરુખ સાથે ડોન બની ત્યારે ચંદ્ર બારોટે શું કહ્યું હતું?
વર્ષ 2006 માં જ્યારે ફરહાન અખ્તર ચંદ્ર બારોટની ડોન રિમેક બનાવી રહ્યા હતા. ત્યારે દિગ્દર્શકે પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. શાહરુખની ડોનની રિલીઝ પહેલા એક જૂના ઇન્ટરવ્યુમાં ચંદ્ર બારોટે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જ્યારે તેઓ અમિતાભ બચ્ચન સાથે ડોન બનાવી રહ્યા હતા, ત્યારે તેમને મીડિયામાં વધારે જગ્યા મળી ન હતી. પરંતુ સમય વિતતા આ ફિલ્મ એક કલ્ટ બની ગઈ. ફરહાન અખ્તરે તેને રિમેક બનાવી ત્યારે તેઓ ખુશ હતા. તેમને એવું લાગ્યું કે, ઘણા વર્ષો પછી તેમના કામની પ્રશંસા થઈ રહી છે.
1978 માં એક્શન અને અદ્ભુત ડાયલોગ્સથી ડોન છવાઈ ગઈ હતી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1978 માં આવેલી ડોન તેના એક્શન અને અદ્ભુત ડાયલોગ્સ માટે છવાઈ ગઈ હતી. તેમાં અમિતાભ બચ્ચન, ઝીનત અમાન, પ્રાન જેવા મહાન સ્ટાર્સ હતા. તે જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડી દ્વારા લખવામાં આવ્યા હતા. આ ફિલ્મ લગભગ 50 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.