રાજુ શ્રીવાસ્તવનાં અવસાન વિશે પૂછાતાં તાપસીએ કહ્યું, 'પીછે હટીએ'
Updated: Sep 23rd, 2022
- તાપસીની જાહેરમાં તોછડાઈના વધતા જતા કિસ્સા
- મદ કે પછી હતાશાને લીધે મીડિયા સામે આવતાં જ ભડકી જતી તાપસીની સોશિયલ મીડિયા પર ભારે ટીકા
મુંબઈ : અભિનેત્રી તાપસી પન્નુને કોમેડી આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવનાં અવસાન અંગે પૂછાતાં તે 'પીછે હટિયે' કહીને ભાગી હતી. તેના આ તોછડાઈભર્યા વર્તાવની ભારે ટીકા થઈ રહી છે.
એક સમયે કેટલીક વીમેન સેન્ટ્રિક ફિલ્મોમાં અભિનયને લીધે બહુ પ્રશંસા મેળવનારી અભિનેત્રી તાપસી પન્નુ છેલ્લા કેટલાય સમયથી તેની એક પછી એક ફિલ્મો ફ્લોપ થવાના કારણે હતાશામાં સરી પડી હોય તેમ કે પછી પોતે મેઈન સ્ટ્રીમની હિરોઈનો કરતાં કંઇક વિશેષ હોવાનું ગુમાન હોય તેવાં ગમે તે કારણોસર જાહેરમાં તેનો વર્તાવ વધુને વધુ તોછડો થતો જાય છે.
તાજેતરમાં એક મીડિયા સંવાદ વખતે તેની એક ફિલ્મને ખરાબ રિવ્યૂ મળી રહ્યા હોવા વિશે પૂછાતાં તાપસી મીડિયા પર ભડકી ગઈ હતી. આ પ્રકારના સવાલો પૂછશો તો સારું નહીં થાય એમ કહીને મીડિયા પર્સન્સને બહુ જ ખખડાવ્યા હતા.
હવે મીડિયાને જોઈને જ તાપસી ભડકી જાય છે. એક સ્થળે તેને પાપારાઝી ફોટોગ્રાફર્સ ક્લિક કરી રહ્યા હતા ત્યારે કોઈએ રાજુ શ્રીવાસ્તવનાં અવસાન અંગે પૂછતાં 'પીછે હટિયે' કહી ટોળાંને ચીરતી દોડી ગઈ હતી. રાજુને લગભગ ઈન્ડસ્ટ્રીના તમામ કલાકારોએ અંજલિ આપી છે પરંતુ તાપસી તે વિશે એક શબ્દ ઉચ્ચારવા પણ તૈયાર ન હતી. તેટલું તો ખરું પણ આ વખતે મૌન રહીને મલાજો જાળવવાનું પણ તેને સૂઝ્યું ન હતું.