બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત, જાણો નિવૃત્તિના કારણ વિશે ચાહકોને શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arijit Singh Retirement: ફિલ્મોની દુનિયામાં સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગર પૈકીના એક અરિજિત સિંહે અચાનક નિવૃત્તિની જાહેરાત મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે. આ અંગે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સાઇન નહીં કરું, પરંતુ હું સંગીત સાથે જ જોડાયેલો રહીશ. આ મુદ્દે અનેક સવાલો પછી અરિજિતે તેમના ચાહકોને પ્લેબેક સિંગિંગ નહીં કરવા માટે મુખ્ય બે કારણ આપ્યા છે.
શાસ્ત્રીય સંગીત તરફ ધ્યાન આપવા માંગે છે
અરિજિત સિંહે ચાહકોને જણાવ્યું છે કે, હું ખૂબ જ ઝડપથી કંટાળી જઉં છું. હું સ્ટેજ પર પણ એકના એક ગીતો અલગ અરેન્જમેન્ટ સાથે ગાઉં છું કારણ કે, મારામાં સતત નવું કરવાની ભૂખ છે. મારે જીવવા માટે કંઈક અલગ મ્યુઝિક કરવાની જરૂર છે. આ કારણસર હું મારા મૂળ એટલે કે શાસ્ત્રીય સંગીત તરફ પાછો વળી રહ્યો છું. ફિલ્મી ગીતોના એકના એક ઢાંચાથી હું કંટાળ્યો છું. હું હંમેશા શાસ્ત્રીય સંગીત શીખવા અને તેને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતો હતો. મને લાગે છે કે આ સાચો સમય છે. હું ફરી એકવાર એક નાનો કલાકાર બનીને નવેસરથી શરૂઆત કરીશ. આ ઉપરાંત હું ઈચ્છું છું કે, હવે કોઈ નવો અવાજ અને નવો સિંગર ઉભરે. નવા લોકોને તક મળવી જરૂરી છે.
સ્વતંત્ર મ્યુઝિક પ્રોડક્શનનું કામ પણ ચાલુ રાખશે
ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે અરિજિત સિંહે સ્પષ્ટ કર્યું છે કે, હું સંગીત બનાવવાનું (Music Production) છોડી રહ્યો નથી. હું સ્વતંત્ર મ્યુઝિક પ્રોડક્શન, લાઈવ શો અને કોન્સર્ટમાં પરફોર્મ કરતો રહીશ. ભગવાનની મારા પર મહેરબાની રહી છે. હું ભવિષ્યમાં સંગીત વિશે વધુ શીખીશ અને ફરી એકવાર નાનો કલાકાર બનીને કંઈક નવું કરીશ.
અરિજિતના પ્લેબેક સિંગિંગનું છેલ્લું ગીત...
સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું ગીત 'માતૃભૂમિ' અરિજિત સિંહના પ્લેબેક સિંગિંગ કરિયરનું છેલ્લું ગીત બની રહ્યું છે. હાલ તેની પાસે જે પણ જૂના કમિટમેન્ટ્સ છે, જે તે ઝડપથી પૂરા કરવા ઈચ્છે છે. તેથી આ વર્ષે તેના જૂના રેકોર્ડ કરેલા કેટલાક ગીતો રિલીઝ થઈ શકે, પરંતુ તે હવે કોઈ નવી ફિલ્મો સાઇન કરશે નહીં.









