Get The App

'ઇન્દિરાબહેનને કહો કે મારા બાપુજીને જેલમાંથી છોડી દે...'

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
'ઇન્દિરાબહેનને કહો કે મારા બાપુજીને જેલમાંથી છોડી દે...' 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- વિનોબા ભાવેએ શું ખરેખર દેશમાં લદાયેલી કટોકટી માટે 'અનુશાસન પર્વ' જેવો શબ્દપ્રયોગ કરીને ઇન્દિરા ગાંધીનું સમર્થન કર્યું હતું? કે પછી, એમના મૌનનો, એમની સારપનો ભરપૂર ગેરલાભ લેવાયો હતો? 

- વિનોબા ભાવે

આજથી બરાબર ૫૦ વર્ષ અને ત્રણ દિવસ પહેલાં ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં અણધારી, અન્યાયપૂર્વ, અત્યાચારી અને અભૂતપૂર્વ કટોકટી લદાઈ ગઈ. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમની કોંગ્રેસી સરકાર સામે વિરોધનો સૂર ઉચ્ચારનારાઓથી જેલો છલકાવા લાગી. વિપક્ષનું નેતૃત્વ ગાંધીવાદી નેતા જયપ્રકાશ નારાયણ (જે.પી.) કરી રહ્યા હતા. દેશમાં તેમનું ખાસ્સું વજન પડતું હતું. સામે પક્ષે સમાંતર સરકાર ચલાવી રહ્યા હોય તેવી મુદ્રા ધારણ કરનારા સંજય ગાંધી હતા. આ સિવાય એક ત્રીજો પક્ષ પણ હતો - આચાર્ય વિનોબા ભાવેનો (જન્મ: ૧૧-૯-૧૮૯૫, મૃત્યુ: ૧૫-૧૧-૧૯૮૨). વિનોબા ભાવે એટલે ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી. ભૂદાન ચળવળના પ્રણેતા. ૧૯૬૦ અને '૭૦ના દાયકામાં વિનોબાનું દેશમાં લગભગ એવું જ સન્માન હતું જેવું મહાત્મા ગાંધીનું હતું. ભારતનાં ગામડાઓમાં તે જમાનામાં વિનોબાનું પુસ્તક 'વિનોબા ભાવે કા અરમાન' લોકો હનુમાન ચાલીસાની જેમ વાંચતા. ઇન્દિરા ગાંધી તેમને પિતા સમાન ગણતાં. 

જે.પી. અને વિનોબા બંને ગાંધીવાદી. વિનોબા ભલે સક્રિય રાજકારણથી દૂર જ હતા, પણ જે.પી.એ માની લીધું હતું કે વિનોબા કટોકટી જેવી ભયંકર સ્થિતિ વિરુદ્ધ અવાજ ઉઠાવશે જ. પણ એવું બન્યું નહીં. કારણ? વિનોબાનું મૌનવ્રત! ૨૫ ડિસેમ્બર, ૧૯૭૪થી વિનોબાએ પૂરા એક વર્ષ માટે મૌનવ્રત ધારણ કર્યું હતું. દેશમાં કટોકટી લદાઈ ત્યારે વિનોબા મૌન ધારણ કરીને બેઠા હતા. 

કોંગ્રેસ સરકારને લાગ્યું કે વિનોબા ભલે ચુપ હોય, પણ એમની સાથે એકવાર મુલાકાત તો કરવી જોઈએ. આથી વસંત સાઠે વિનોબાને મળવા તેમના પવનાર ખાતેના બ્રહ્મ વિદ્યામંદિર પહોંચી ગયા (વસંત સાઠે પછીથી દેશના સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.) સાઠે વિનોબાને મળ્યા. વિનોબા તો ક્યાં કશુંય બોલવાના હતા? એમણે તો બસ, પોતાની પાસે રહેલું એક પુસ્તક વસંત સાઠે તરફ ધરી દીધું. પુસ્તકનું શીર્ષક હતું - 'અનુશાસન પર્વ'.  

પત્યું. વિનોબાએ 'અનુશાસન પર્વ' પુસ્તક તરફ કેવળ એક ઇશારો કર્યો હતો. આ ઈશારાનું શું અર્થઘટન કરવું એ તો વસંત સાઠે અથવા કહો કે કોંગ્રેસ સરકારના હાથમાં હતું... ને સરકારે સગવડિયો અર્થ કાઢી લીધો. સરકારે એવો પ્રચાર કર્યો કે વિનોબા કહી રહ્યા છે કે આ કટોકટી નથી, આ તો અનુશાસન પર્વ છે! અનુશાસન એટલે શિસ્ત, ડિસિપ્લિન. વિનોબાના નામ સાથે સરકારે 'અનુશાસન પર્વ'નાં પોસ્ટરો છપાવી નાખ્યાં. વિનોબાને 'સરકારી સંત' જેવું અપમાનજનક બિરુદ મળ્યું. કોગ્રેસ સરકારે ખરેખર તો એક લાકડીએ બે પક્ષી માર્યા હતા. એક તો, લોકશાહીની હત્યા સમાન કટોકટી માટે 'અનુશાસન પર્વ' જેવું રૂપાળું ને ધાર્મિક સૂત્ર ફરતું કરી દીધું ને બીજું, સરકારે એક ગાંધીવાદી (જે.પી) સામે બીજો ગાંધીવાદી (વિનોબા) ઊભો કરી દીધો.   

કોંગ્રેસનો પ્રચાર સફળ રહ્યો. સરકારના સમર્થકો જ નહીં, વિરોધીઓ પણ માનવા લાગ્યા કે વિનોબા કટોકટીના પક્ષમાં છે. રાધાકૃષ્ણ બજાજ એટલે ગાંધીજીના ભામાશા કહેવાતા જમનાલાલ બજાજના મોટાભાઈના દીકરા, જે આખી જિંદગી ગાંધીચીંધ્યા માર્ગે ચાલ્યા હતા. એમણે ગૌસેવાનું વ્રત લીધું હતું. વિનોબા પ્રત્યે એમને ઊંડો ભક્તિભાવ. રાધાકૃષ્ણ બજાજે પત્ર લખીને વિનોબાને પૂછ્યું: ઇન્દિરાજી તમારા નામનો દુરુપયોગ કરી રહ્યાં છે, તમે સ્પષ્ટતા તો કરો! જવાબમાં વિનોબાએ લખ્યું: 'રાજ્યોનું શાસન હોય છે. અનુશાસન તો સંતોનું હોય છે.'

આ ઉત્તરથી રાધાકૃષ્ણને સંતોષ ન થયો. એમના મનમાં શંકા સળવળ્યા કરતી હતી કે વિનોબાજીનો ઝુકાવ ક્યાંક ખરેખર કટોકટી તરફ તો નથીને? એમને એવોય પ્રશ્ન થતો કે ગુરૂ ખોટો નિર્ણય લે તો તેવા સંજોગોમાં શિષ્યનો ધર્મ શો? શિષ્યે ચૂપચાપ બેસી રહેવું જોઈએ? ના. એણે તો પોતાનો શિષ્યધર્મ બજાવવો જ પડે. તેથી રામકૃષ્ણ બજાજે તેમના જેલવાસી અને જેલની બહાર રહેલા મિત્રોને પત્ર લખ્યા, જેમાં એમણે સ્પષ્ટપણે નોંધ્યું કે, 'અમને વિનોબા ઇન્દિરાજી તરફ ઢળેલા દેખાય છે. આ બાબત રાષ્ટ્રહિત માટે નુક્સાનકારી છે.' આ પત્ર રાધાકૃષ્ણ બજાજે વિનોબાને પણ મોકલ્યો. વિનોબાને આ વાંચીને માઠું લાગી ગયું છે તેવું રાધાકૃષ્ણે અનુભવ્યું.  

બીજો કિસ્સો સેવાભાવી ડોક્ટર વસંત પરીખનો છે, જે ૧૯૬૭માં ઊંઝા મતવિસ્તારમાંથી અપક્ષ ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. તેઓ પણ વિનોબા ભાવેથી અત્યંત પ્રભાવિત હતા. કટોકટી દરમિયાન મોટા ભાગના સર્વોદયવાદી કાર્યકરોએ મૌન સેવેલું, પણ વસંત પરીખ પોતાના માંહ્યલાના અવાજને દબાવી નહોતા શક્યા. કટોકટીનો વિરોધ કરવા બદલ તેમને જેલવાસ થયો હતો. તે વખતે એમની છ વર્ષની પાલક પુત્રી આશાએ વિનોબા ભાવેને કાગળ લખ્યો હતો કે, 'મારા બાપુજી છ મહિનાથી જેલમાં છે. ઇન્દિરાબહેનને કહો કે એમને છોડી દે.' કાલી કાલી ભાષામાં લખાયેલો આ પત્ર વાંચીને વિનોબાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આશાનો આ પત્ર પછી એમણે 'ભૂમિપુત્ર' પાક્ષિકમાં છાપીને કેટલાય વાચકોને લાગણીશીલ બનાવી દીધા હતા. 

વિનોબા માટે એ સંતાપભર્યા દિવસો હતા. કલ્પના કરો કે વિનોબાના શિષ્યો સુધ્ધાં જો એમના પ્રત્યે શંકાની દ્રષ્ટિએ નિહાળવા લાગ્યા હોય તો બીજાઓની તો શું વાત કરવી? કટોકટીના બરાબર છ મહિના પછી, ૨૫ ડિસેમ્બરના રોજ વિનોબાએ પોતાનું મૌનવ્રત તોડયું. સૌને એ સાંભળવામાં રસ હતો કે 'અનુશાસન પર્વ'ના વિવાદ વિશે તેઓ શું કહે છે. વિનોબા ભાવેનું તે વખતનું નિવેદન કંઈક આવું હતું:

''અનુશાસન પર્વ' શબ્દપ્રયોગ મહાભારતનો છે, પરંતુ તેનીય પહેલાં તે ઉપનિષદમાં આવ્યો છે. પ્રાચીન કાળમાં રિવાજ હતો. વિદ્યાર્થી આચાર્ય પાસે રહીને બાર વર્ષ વિદ્યાભ્યાસ કરતો. વિદ્યાભ્યાસ પૂરો કરી તે ઘરે જવા નીકળતો ત્યારે આચાર્ય એને અંતિમ ઉપદેશ આપતા, જેનો ઉલ્લેખ ઉપનિષદમાં કરવામાં આવ્યો છે. તે છે - એતત્ અનુશાસનમ્, એવમ્ ઉપાસિતવ્યમ્. અર્થાત્ આ અનુશાસન પર તમારે આખું જીવન ચાલવાનું છે.'

પછી વિનોબા એ બોલ્યા, જે એમણે રાધાકૃષ્ણ બજાજને પત્રમાં લખી હતી: 'મેં તો આચાર્યોના અનુશાસનની વાત કરી હતી. અનુશાસન આચાર્યનું હોય છે, સત્તાનું નહીં. સત્તા પાસે તો ફક્ત શાસન હોય છે. શાસન પ્રમાણે દુનિયા ચાલશે તો કોઈ સમાધાન નહીં મળે. એક સમસ્યા ઉકેલાશે તો ફરીથી ગૂંચવાશે. આ જ તમાશો આજે દુનિયાભરમાં ચાલી રહ્યો છે. 'એ' થી 'ઝેડ' સુધી, અફઘાનિસ્તાનથી ઝામ્બિયા સુધી ૩૦૦-૩૫૦ શાસનો દુનિયામાં હશે. પછી તેમની જૂથબંધી ચાલે છે. શાસનની લીડરશિપમાં ફક્ત મારામારી થાય છે અને અસંતોષ વધે છે. શાસનના આદેશ અનુસાર ચાલનારાઓની આ જ હાલત થશે. તેના બદલે જો આચાર્યોના અનુશાસનમાં દુનિયા ચાલશે તો સર્વત્ર શાંતિ રહેશે.'

વિનોબાએ દાયકાઓ પહેલાં કહેલી વાત આજે પણ કેટલી રિલેવન્ટ છે! સો વાતની એક વાત એ કે વિનોબાએ 'અનુશાસન પર્વ' પુસ્તક વસંત સાઠેને દેખાડયું ત્યારે તેમનો સંદર્ભ આધ્યાત્મિક હતો, રાજકીય નહીં. વિનોબા અને જે.પી. વચ્ચે થયેલા મતભેદની વાતો પણ ખૂબ ચગી હતી. પણ એમાંય પૂરી સચ્ચાઈ નહોતી. ૧૯૭૮માં 'ઇન્ડિયા ટુડે'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જે.પી.એ કહ્યું હતું કે, 'આઝાદી પછી દેશના નિર્માણની આવશ્યકતા હતી, પરંતુ રાજકારણે આવું થવા દીધું નહીં. ફક્ત થોડા લોકોએ આ વિશે વિચાર્યું. પહેલાં મહાત્મા ગાંધીએ વિચાર્યું, અને પછી વિનોબા ભાવેએ. કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પણ વિનોબા દેશની તસવીર બદલી શકે તેમ હતા, પરંતુ હવે તેમણે સાર્વજનિક જીવનમાંથી અવકાશ લઈ લીધો છે, અને તેમના પછી ખાલી પડેલી જગ્યા હજુ સુધી ભરી શકાઈ નથી.'

કટોકટી હટાવવામાં આવી તે પછી સત્તા ગુમાવી ચુકેલાં ઇન્દિરા ગાંધી વિનોબાને મળવા એમના આશ્રમે ગયાં હતાં. આ ઘટનાને પણ એવી રીતે પેશ કરવામાં આવી જાણે ઇન્દિરાના આપખુદ નિર્ણયોનું વિનોબાનું સમર્થન હતું જ. એમ તો જનતા પાર્ટીની સરકાર બની ત્યારે તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ જે.પી. સાથે વિનોબાને મળવા ગયા હતા. ૧૫ નવેમ્બર, ૧૯૮૨ના રોજ લાંબી બીમારી પછી વર્ધામાં વિનોબાનું અવસાન થયું તે વખતે ફરી પાછાં દેશનાં વડાંપ્રધાન બનેલાં ઇન્દિરા ગાંધી રશિયાના પ્રવાસે હતાં. વિનોબાના અવસાનના સમાચાર મળતાં જ તેઓ પ્રવાસ અધૂરો છોડીને ભારત પાછાં આવી ગયેલાં. આ ઘટનાને પણ કોંગ્રેસ સરકારે 'વિનોબા કટોકટીના સમર્થક હતા' પ્રકારના એંગલથી રજૂ કરી. બાકી હકીકત એ છે કે વિનોબાએ ક્યારેય કોઈ સરકાર કે કોઈ નેતાનું સમર્થન કર્યું નહોતું. 

૧૯૫૮માં રેમન મેગ્સેસે પુરસ્કાર મેળવનારા વિનોબા પહેલા ભારતીય બન્યા. ૨૫ જાન્યુઆરી ૧૯૮૩ના રોજ ઇન્દિરા ગાંધીની સરકારે તેમને મરણોત્તર ભારતરત્ન ખિતાબથી સન્માનિત કર્યા. 

જેમ ચંદ્ર પર ડાઘ છે તેમ વિનોબાના ભવ્ય વ્યક્તિત્વ પર પણ 'સરકારી સંત' હોવાના આક્ષેપનો ડાઘ રહી ગયો છે... 

Tags :