બલૂચિસ્તાનઃ લોહિયાળ અતીત, રક્તરંજિત વર્તમાન
- વાત-વિચાર-શિશિર રામાવત
- અંગ્રેજોએ ભારત અને પાકિસ્તાનને આઝાદી આપી તેની પહેલાં બલૂચિસ્તાનને સ્વતંત્ર કરી દીધું હતું. જોકે બલૂચિસ્તાનની આઝાદી અલ્પજીવી સાબિત થઈ. પાકિસ્તાને બળજબરીથી તેને પોતાનામાં ભેળવી દીધું, પણ બલૂચીઓએ આઝાદીનું સપનું ક્યારેય છોડયું નહીં અને હવે...
'અમે હવે સ્વતંત્ર દેશ છીએ... અમે પાકિસ્તાનના નહીં, અમે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનના નાગરિકો છીએ...'
છેલ્લા કેટલાક દિવસોથી આપણે રાષ્ટ્રવાદી બલૂૂચી નેતાઓ અને એક્ટિવિસ્ટોના આ મતલબની ઘોષણાઓ સાંભળી રહ્યા છીએ. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે ભારતીયોના એક વર્ગમાં રીતસર માંગ ઉઠી હતી કે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી કાપીને અલગ કરી દો! બલૂચીઓએ હવે યુનાઇટેડ નેશન્સને અપીલ કરી છે કે અમને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે કાયદેસરની માન્યતા આપો. તેમણે ભારતને વિનંતી કરી છે કે અમને દિલ્હીમાં એમ્બેસી ખોલવા દો.
બલૂચીઓ સ્વાતંત્ર્ય માટે દાયકાઓથી સતત લોહિયાળ સંઘર્ષ કરી રહૃાા છે અને છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમનો સંઘર્ષ વધારે બોલકો બન્યો છે. પાકિસ્તાની સત્તાધારીઓ બલૂચિસ્તાની જૂથો પર આતંકવાદના આક્ષેપો કરે છે. સામે પક્ષે, બલૂચીઓ પર દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાના આરોપ હેઠળ ભયાનક સિતમ ગુજારવામાં આવ્યા છે તે જગજાહેર વાત છે. બલૂચિસ્તાનના આંતરિક મામલા સાથે આપણને નિસબત છે અને હોવી પણ જોઈએ કેમ કે બલૂચિસ્તાન ભારતનો પાડોશી પ્રદેશ છે. બલૂચિસ્તાન સાથે આપણે ઐતિહાસિક રીતે જોડાયેલા છીએ. ભૌગોલિક રીતે જોઈએ તો બલૂચિસ્તાનની પશ્ચિમે ઈરાન, પૂર્વે પાકિસ્તાન, ઉત્તરે અફઘાનિસ્તાન અને દક્ષિણે ઓમાનનો અખાત આવેલો છે. બલૂચિસ્તાનનો એક ટુક્ડો ઈરાનમાં ને બીજો મોટો ટુકડો પાક્સ્તિાનમાં છે.
બલૂચિસ્તાનના ઇતિહાસને સમજીશું તો તેનો સંઘર્ષ વધારે સ્પષ્ટ થશે. બારમી સદીમાં મીર જલાલ ખાન નામના આગેવાને ૪૪ જેટલી બલૂચી જાતિઓને એકત્રિત કરીને આ પ્રદેશને પહેલી વાર બલૂચિસ્તાન એવું નામ આપ્યું હતું. બલૂચિસ્તાનનાં મુખ્ય રાજ્ય કલાટની સ્થાપના ૧૪મી સદીમાં થઈ હતી. નસીર ખાને (૧૭૫૦-૧૭૯૫) નાનાં નાનાં રાજ્યોને સાંધીને એક કરી દીધાં. પશયા (ઈરાન), અફઘાનિસ્તાન અને બ્રિટિશ ઈન્ડિયા વચ્ચે બફર સ્ટેટ બની રહેલા કલાટની સ્ટ્રેટેજિક પોઝિશન બહુ મહત્ત્વની હતી એટલે તેના પર સામ્રાજ્યવાદી અંગ્રેજોની નજર ન બગડે તો જ નવાઈ. બ્રિટિશરોનું સૈન્ય ૨૩ નવેમ્બર, ૧૮૩૯ના રોજ ક્લાટમાં પ્રવેશ્યું હતું. (કલાટ એટલે આજના બલૂચિસ્તાનનો મધ્ય અને નૈઋત્ય હિસ્સો.) પછી કલાટ અને અંગ્રેજો વચ્ચે સંધિ થઈ. અફઘાનિસ્તાન જવા ભારતથી નીકળેલી અંગ્રેજ સેના કલાટમાંથી કોઈ પણ પ્રકારની રોકટોક વગર પસાર થઈ શકશે એવું નક્કી થયું.
કલાટ અથવા બલૂચિસ્તાનનો રાજકીય ઇતિહાસ સતત અસ્થિર રહૃાો છે. ખૂબ બધા ચડાવઉતાર બાદ ૧૮૯૬માં સર હેનરી મેકમોહને કલાટના ખાનને વિશ્વાસમાં લીધા વગર બ્રિટિશ-પશઅન (ઈરાનીઅન) બાઉન્ડ્રી નક્કી કરી નાખી હતી. સિસ્તાન અને રેજિસ્તાન નામના બલૂચી પ્રદેશોને અફઘાનિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા, જ્યારે જેકોબાબાદ-દરાજાત-સીબી નામના પ્રદેશોને બ્રિટિશ-બલૂચિસ્તાનનો હિસ્સો બનાવી દેવામાં આવ્યા. આ હદરેખાઓ ૧૯૦૫માં ફયનલ થઈ ગઈ. મજા જુઓ. બ્રિટિશરો અગાઉ ગોલ્ડસ્મિડ એગ્રીમેન્ટ અનુસાર ક્લાટને ઓલરેડી એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી ચુકયા હતા, પણ પછી અંગ્રેજોએ ગુલાંટ મારી અને ક્લાટને બ્રિટિશ ઈન્ડિયાનો ભાગ બનાવી દીધો.
બલૂચિસ્તાનની સ્વાતંત્ર્ય ચળવળ વીસમી સદીના પ્રારંભથી શરૂ થઈ ચૂકી હતી. ૧૯૨૦માં 'યંગ બલૂચ' મૂવમેન્ટ શરૂ થઈ. ૧૯૨૭માં અંજમન-એ-ઈસ્લાહ-એ-બલૂચિસ્તાન (ધ રિફોર્મ સોસાયટી ઓફ બલૂચિસ્તાન)ની સ્થાપના થઈ. એ જ વર્ષે દિલ્હીથી 'બલૂચિસ્તાન' નામનું અખબાર શરૂ થયું. અન્ય એક જૂથે ૧૯૨૬માં અંજુમન-એ-ઈસ્લાહ-એ-કલાટ (કલાટ રિફોર્મ સોસાયટી)ની સ્થાપના કરી હતી જે પછી કલાટ સ્ટેટ નેશનલ પાર્ટીમાં પરિવતત થઈ. ૧૯૩૦-૩૧માં સ્થપાયેલા અંજુમન-એ-ઇતિહાદ-એ-બલૂચિસ્તાન (અસોસિયેશન ઓફ યુનિટી ઓફ બલૂચિસ્તાન) નામના જૂથે તમામ બલૂચી પ્રદેશોને એક થવા હાકલ કરી અને અંગ્રેજો સામે બાંયો ચડાવીઃ અમને બ્રિટિશ હકૂમત ન ખપે... અમને આઝાદી જોઈએે!
ગ્રેટ બલૂચિસ્તાનનો પહેલો નકશો ૧૯૩૩માં અઝીઝ કુર્દ નામના બલૂચીએ બહાર પાડયો. એમના જૂથની માગણીઓ સ્પષ્ટ હતીઃ કલાટ રાજ્યનો ઉદય, ટુકડાઓમાં વહેંચાયેલું નહીં પણ સંગઠિત બલૂચિસ્તાન, અંગ્રેજ હકૂમતનો અંત અને સ્વતંત્ર બલૂચી સરકાર!
૧૯૩૬માં, મીર અહમદ યાર, કે જે કલાટના ખાન હતા, તેમણે એક બાહોશ વકીલ રોકીને અંગ્રેજો સામે સંપૂર્ણ સ્વતંત્રતા માટે માગણી મૂકી. આ વકીલનું નામ હતું, મોહમ્મદ અલી ઝીણા! ૧૯૪૬માં ઝીણાએ કેબિનેટ મિશન સામે ક્લાટના ખાન વતી દલીલો કરી હતી હતી કે - 'ભૂતકાળમાં જુદા જુદા બ્રિટિશ રાજકરણીઓ કલાટને એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી ચૂકયા છે. ૧૮૯૨માં સર ડબલ્યુ.એલ. મિઅરવેધર, કે જે કલાટ ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર હતા, તેમણે લખ્યું છે કે, 'હિઝ રોયલ હાયનેસ ધ ખાન, ડી ફેક્ટો એન્ડ ડી જ્યુર (એટલે કે વાસ્તવમાં અને કાયદાકીય રીતે), કલાટ અથવા બલૂચિસ્તાનના કિંગ છે અને અમે એમની સાથે સંધિ કરી છે. આ સંધિ અનુસાર, અમે (એટલે કે અંગ્રેજો) કિંગના સાર્વભૌમત્વ પર આક્રમણ નહીં કરીએ. તેઓ (કલાટ યા બલૂચિસ્તાનના) એકમાત્ર શાસક છે.'
જોકે બીજા વિશ્વયુદ્ધ પછી બલૂચીઓના બે પ્રકારના અભિગમ સામે આવ્યા હતા. બલૂચીઓનું એક જૂથ સંપૂર્ણ આઝાદી માગતું હતું. બીજું જૂથ, કે જે મુસ્લિમ લીગ સાથે સંકળાયેલું હતું, તેમનું કહેવું હતું કે સમગ્ર બલૂચી પ્રદેશનેે ભેગા કરીને એક નવું મુસ્લિમ સ્ટેટ જરૂર બનાવવું જોઈએ, પણ તે ભાવિ પાકિસ્તાનની ભીતર રહીને! સંપૂર્ણ સ્વાયત્તતા માગનારા બલૂચીઓ બહુમતીમાં હતા. બલૂચ રિફોર્મ સોસાયટી, અસોસિયેશન ઓફ બલૂચ યુનિટી અને રિફોર્મ સોસાયટી ઓફ કલાટ આ ત્રણેય સંગઠનો સંપૂર્ણ સ્વરાજ્યના પક્ષમાં હતાં. આ ત્રણેએ સાથે મળીને કલાટ સ્ટેટ નેશનલ પાર્ટીની રચના કરી. આ પાર્ટી ઈરાનના હિસ્સામાં આવેલા સિસ્તાન-બલૂચિસ્તાનને પણ સ્વતંત્ર બલૂચિસ્તાન હેઠળ ભેળવી દેવા માગતી હતી.
ભારત સ્વતંત્ર થાય તેના બાર દિવસ પહેલાં, ૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ, સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ અથવા બ્રિટિશ-પાકિસ્તાન-બલૂચ અગ્રીમેન્ટ તરીકે ઓળખાતા કરારનામા પર દસ્તખત કરવામાં આવ્યા. બલૂચિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો. કરારની પહેલી કલમમાં જરા વિચિત્ર લાગે એવી કાનૂની ભાષામાં લખાયું હતું કે -
'પાક્સ્તિાનની સરકાર કલાટ (એટલે કે બલૂચિસ્તાન)ને એક મુક્ત અને સ્વતંત્ર (ફ્રી એન્ડ ઈન્ડીપેન્ડન્ટ) રાષ્ટ્ર તરીકે સ્વીકારે છે, કે જે બ્રિટિશ અને અન્ય રાષ્ટ્રો સાથે સાર્વભૌમપૂર્ણ દ્વિપક્ષી સંબંધો (સોવેરીન બાઈલેટરલ કનેક્શન્સ) ધરાવે છે.'
ચોથી ઓગસ્ટે જ બલૂચિસ્તાનના ભવિષ્ય વિશે ચર્ચા કરવા દિલ્હીમાં રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સ યોજાઈ, જેમાં લોર્ડ માઉન્ટબેટન, મોહમ્મદ અલી ઝીણા, લિયાકત અલી ખાન (જે પછી સ્વતંત્ર પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બન્યા) તેમજ કલાટના ચીફ મિનિસ્ટર સર સુલતાન અહમદ હાજર હતા.
આ મીટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે, 'પાંચમી ઓગસ્ટ, ૧૯૪૭થી કલાટ સ્ટેટ સ્વતંત્ર બને છે. ક્લાટનું આ એ સ્ટેટસ હશે જે તે ૧૮૩૮માં ધરાવતું હતું કે જ્યારે કલાટને પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો હતા તેમજ તે આઝાદી ભોગવતું હતું. કલાટ ૧૮૩૯ અને ૧૮૪૧ની સંધિ મુજબનું પોતાનું ઓરિજિનલ લીગલ સ્ટેટસ જાળવી શકે તે માટે બ્રિટિશ સરકાર જરૂરી કાર્યવાહી કરશે.'
૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ જાહેર કરવામાં આવ્યું. બલૂચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયાની નજરમાં ઓફિશિયલી અસ્તિત્ત્વમાં આવ્યું. બલૂચિસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર કાયદેસર ચૂંટણી યોજાઈ. બાવનમાંથી ૩૯ બેઠકે પર કલાટ સ્ટેટ નેશનલ પાર્ટીના સભ્યો જીતી ગયા ને સ્વતંત્ર બલૂચિસ્તાનની સર્વપ્રથમ સ્થાનિક સરકાર રચાઈ.
૧૫ ઓગસ્ટે ભારતને આઝાદી મળી. પાકિસ્તાન અલગ થયું. આઝાદીના આઠ જ મહિનામાં પાકિસ્તાને પોતાનો રંગ દેખાડયો. બલૂચિસ્તાનને કબજે કરવા માટે ઝીણાએ પાકિસ્તાની લશ્કરને છોડી મૂકયું. બલૂચિસ્તાનના ખાન ઘા ખાઈ ગયા. તેમણે કહ્યુંઃ 'ઝીણાસાહેબ, બલૂચિસ્તાનની આઝાદી માટે તમે જ મારા વતી અંગ્રેજો સામે દલીલો કરી હતી અને હવે તમે જ બલૂચિસ્તાન પર આક્રમણ કરો છો?' ઝીણાએ ઠંડે ક્લેજે કહ્યુંઃ 'અગાઉ હું તમારો વકીલ હતો, આજે પાકિસ્તાનનો વડો છું! મારી ભૂમિકા બદલાઈ ગઈ છે. પાકિસ્તાનના ગવર્નર-જનરલ હોવાના નાતે હું બલૂચિસ્તાનને મારા દેશનો હિસ્સો બનાવવા માગું છું!'
કલાટના ખાન પાસે હાર માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આમ, બલૂચિસ્તાનની આઝાદી અલ્પજીવી સાબિત થઈ. ૧૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ બલૂચિસ્તાનને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યું. આઝાદીવાંછુઓએ જોકે બલૂચિસ્તાનને પાકિસ્તાનની પકડમાંથી મુકત કરાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. આજે બલૂચીઓ દ્વારા સ્વતંત્ર બલૂચિસ્તાનની ઘોષણાઓ થઈ રહી છે તેના મૂળમાં આ ઘટનાક્રમ છે! બલૂચિસ્તાનનો મુદ્દો હવે કેવો રંગ પકડે છે અને તેમાં ભારત કેવો ભાગ ભજવે તે જોવાનું રસપ્રદ પૂરવાર થવાનું છે !