- માદૂરો માટે આપણે ભલે આંસુ ન સારીએ પરંતુ સામ્યવાદશાહીના પુનર્જન્મ બદલ શોક તો વ્યકત કરવો જ રહ્યો
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
અમેરિકાના પાંચમાં પ્રમુખ દ્વારા મોનરોઈ ડોકટ્રીનની સત્તા અને ક્ષમતા બાબત વ્યાપક શંકા છતાં તે જાહેર કરાયાના ૨૦૦ વર્ષ બાદ અમેરિકાના ૪૭માં પ્રમુખ દ્વારા આ ડોકટ્રીન (સિદ્ધાંત)ને ઉખેડવામાં આવ્યો છે. મને લાગે છે ત્યાંસુધી હાલની સ્થિતિની ૧૮૨૩માં કલ્પના નહીં કરાઈ હોય.
પ્રમુખ જેમ્સ મોનરોઈના સિદ્ધાંતમાં અમેરિકામાં નવા સ્વતંત્ર રાજ્યોની બાબતોમાં દરમિયાનગીરી કરવા સામે યુરોપિયન સત્તાઓને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. ૨/૩ જાન્યુઆરી ૨૦૨૬ની રાતે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોનરોઈ ડોકટ્રીનના દરેક પાયાના નિયમોનું ઉલ્લંઘન કરી નાખ્યુ હતું. અમેરિકામાં સાર્વભોમ રાષ્ટ્ર પર આક્રમણ કરવા તેમણે યુએસએની લશકરી સત્તાનો ઉપયોગ કર્યો હતો અને એક ચૂંટાયેલા પ્રમુખને ઉઠાવી ગયા હતા જેથી તેમની સામે ન્યુયોર્કમાં ફોજદારી કોર્ટમાં કામ ચલાવી શકાય. મોનરોઈન ડોકટ્રીનનું આમા આશ્ચર્યકારક અર્થઘટન કરાયું હતું. વેનેઝુએલાની બાબતમાં કોઈ બહારી સત્તાએ દરમિયાનગીરી કરી નહોતી. વેનેઝુએલાની પ્રજાએ નિકોલસ માદુરોને પ્રમુખ તરીકે ચૂંટી કાઢયા હતા. જો કે ચૂંટણીના પરિણામો સામે અનેક શંકાઓ ઊભી કરાઈ હતી. માદુરો કદાચ આપખુદ અને બિનલોકશાહી રીતે વર્ત્યા હશે પરંતુ તેઓ પ્રથમ એવા ચૂંટાયેલા પ્રમુખ નથી જેમણે આવું કર્યું હોય.
આધિપતિ પ્રમુખો
નવા સિદ્ધાંત બુશ-ટ્રમ્પના સિદ્ધાંત તરીકે ઓળખાવાને લાયક છે. નજીકની ઘટના પનામા (૧૯૮૯)માં અમેરિકાની દરમિયાનગીરી હતી. જ્યોર્જ બુશ સિનિયરના પ્રમુખપદ હેઠળ અમેરિકન લશકરે પનામા પર આક્રમણ કર્યું હતું અને પનામાના દળોને હરાવી પ્રમુખ નોરેગાને વેટિકનની એમ્બેસીમાં આશરો લેવા અને તબક્કાવાર શરણે થવા ફરજ પાડી હતી. આ પાછળનો હેતુ સત્તા પરિવર્તન લાવવાનું જાહેર કરાયું હતું. તે વેળાના લશકરી પગલાં સાથે, યુ. એસ. અમેરિકાઓમાં નવું શેરિફ બની ગયું હતું.
પ્રમુખ બુશ જુનિયર ઈરાકમાં શેરિફ બન્યા હતા. ત્રણ પ્રમુખો (બુશ જુનિયર, ઓબામા અને ટ્રમ્પ) અનુક્રમે અફઘાનિસ્તાનમાં શેરિફ બન્યા હતા. ઈરાકના કિસ્સામાં (૨૦૦૩) ઈરાક ભારે વિનાશકારી શસ્ત્રો ધરાવે છે તેવી ખોટી માન્યતાને લઈને તેના પર આક્રમણ થયું હતું. અફઘાનિસ્તાનના કિસ્સામાં (૨૦૦૧-૨૦૨૧) અલ કવેડા અને તાલિબાન વિરુદ્ધ ત્રાસવાદ સામેના યુદ્ધના ભાગરૂપ લશકરને મોકલવામાં આવ્યું હતું. બન્ને યુદ્ધો નિષ્ફળ રહ્યા હતા. વેનેઝુએલાના કિસ્સામાં અમેરિકાએ પ્રમુખ માદૂરો પર કેફીદ્રવ્યની દાણચોરી અને અમેરિકામાં નાર્કોટિકસની દાણચોરી કરવાનો આક્ષેપ મુકાયો હતો. જો કે આ આક્ષેપો માટે હજુપણ કોઈ જાહેર પુરાવા નથી.
ટ્રમ્પની જાહેરાતથી એવું સ્પષ્ટ થાય છે કે, વેનેઝૂએલાની તેલ સંપતિ પર કબજો મેળવવાના હેતુનો માદૂરો ભોગ બન્યા છે. વેનેઝૂએલા વિશ્વમાં તેલનો મોટો જથ્થો ધરાવે છે અને તે ચીનમાં ઓઈલની નિકાસ, શસ્ત્રોની આયાત તથા વિદેશી ઈન્વેસ્ટમેન્ટસ તરફ વળી રહ્યા હતા. વેનેઝૂએલામાં (ખાસ કરીને તેલ સંપતિ)માં અન્ય દેશો (ખાસ કરીને રશિયા તથા ચીન)ના આર્થિક હિતો ઊભા ન થાય તેની અમેરિકા ખાતરી રાખવા માગે છે કારણ કે આ તેલ અમેરિકા માટે રિઝર્વ રખાયું છે. માદૂરોને ઉઠાવી ગયા બાદ, પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે, અમેરિકાની મોટી તેલ કંપનીઓને વેનેઝૂએલામાં તેલનું ઉત્પાદન અને વેચાણ કરવા તથા તેમાંથી નાણાં ઊભા કરવા છૂટ અપાશે.
ભારતની સુસંગતા ઘટી રહી છે
ચાર કલાકની કાર્યવાહી જેને એબ્સોલ્યુટ રિઝોલ્વ કોડનેમ અપાયું હતું તે અમેરિકાના લશકરી દળોની કામગીરીનું એક પ્રદર્શન હતું, જેમાં ટેકનોલોજી, મસિનરી, ઈન્ટેલિજન્સ, પ્લાનિંગ તથા એક્ઝિકયૂશનનો સમાવેશ હતો. મધરાતે કોઈ દેશમાં ઘૂસી જઈ ભારે પહેરા વચ્ચે રહેલા તે દેશના પ્રમુખને ઉઠાવી જવાની કામગીરી અને તે પણ કોઈપણ પ્રકારની જાનહાનિ વગર પાર પાડવી મારા મતે એક કાલ્પનિક કથા જેવી છે પરંતુ અમેરિકાએ બતાવી આપ્યું કે તેના દળો તે પાર પાડી શકે એમ છે. વિશ્વમાં અમેરિકાનું લશકર સૌથી વધુ ઘાતક યુદ્ધ મસીન ધરાવતું લશકર છે. સાથોસાથ ચીનને બાદ કરતા નવા શેરિફ ઊભરી રહ્યાના પણ પુરાવા સાંપડી રહ્યા છે.
આ કાર્યવાહી પહેલા અને બાદ ભારત તરફ કોઈનું ધ્યાન ગયું નહોતું. ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવા બાબતે અને ટ્રમ્પને ખૂશ કરવા રશિયાના ઓઈલની આયાત ભારત ઘટાડી રહ્યું છે તેવા દાવા કરીને ટ્રમ્પે બે વખત નરેન્દ્ર મોદીની અવગણના કરી નાખી છે. ટ્રમ્પથી આપણી સરકાર એટલી ગભરાઈ ગઈ છે કે વેનેઝૂએલા પરના સત્તાવાર નિવેદનમાં પ્રમુખ માદૂરોને ઉઠાવી જવાની ઘટનાની ન તો ટીકા કરવામાં આવી હતી અથવા તો તેમાં અમેરિકાની ભૂમિકા બાબત પણ કંઈ જ ઉલ્લેખ કરાયો નહતો. સત્તાવાર નિવેદનમાં વેનેઝૂએલાના તાજેતરના ઘટનાક્રમ પૂરતો જ ઉલ્લેખ કરાયો હતો અને દરેક સંબંધિતાને આ મુદ્દે આપસી ચર્ચા કરી વિવાદ ઉકેલવા અનુરોધ કરાયો હતો.
આ મુદ્દે ભારત બ્રિકસના પાંચ સ્થાપક દેશો તથા યુરોપથી અલગ પડી ગયું હતું . વિશ્વગુરુની વાતો કરવા છતાં, ભારત વિશ્વની બાબતોમાં પોતાનો અવાજ અને સુસંગતતા ગુમાવી રહ્યું છે. જેમ એક ભૂતપૂર્વ ભારતીય રાજદૂતે કહ્યું હતું કે, ભારત જે કંઈપણ કહેશે તેનાથી કોઈ ફરક પડવાનો નથી.
સામ્રાજ્યવાદને છૂટો દોર
મને ચિંતા છે કે,એબ્સોલ્યૂટ રિઝોલ્વે રશિયા તથા ચીનને છૂટો દોર આપી દીધો છે. પોતે ગ્રીનલેન્ડ કબજે કરી નાખશે તેવા ટ્રમ્પે સંકેત આપ્યા છે. રશિયા -યુક્રેન યુદ્ધનો ઉકેલ - જો થશે તો- તેમાં યુક્રેન તેના હિસ્સાને રશિયામાં જવા દેશે. પોતાની વન ચાઈના નીતિને તર્કબદ્ધ નિષ્કર્ષ પર લઈ જવા ચીન પ્રોત્સાહિત થશે.
ભારતની ઉત્તરિય સરહદ અથવા અરુણાચલ પ્રદેશમાં જો ચીન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે તો, પોતાની જાતનો બચાવ કરવા ભારતને છોડી દેવાશે. વેનેઝૂએલા પર આક્રમણ કર્યા બાદ ભારત સાથે વેપાર કરાર કરવામાં અમેરિકાને રસ ઘટી ગયો છે. અમેરિકા ખાતે ભારતની નિકાસ સાથે ટ્રમ્પ વેપાર કરાર કર્યા વગર ટેરિફ મારફત ચેડાં કરશે.
અમેરિકાના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બીજી મુદતમાં સૌથી વધુ દરમિયાનગીરી કરનારા પ્રમુખ સાબિત થયા છે. તેમણે પેલેસ્ટાઈન, ઈરાન, સિરિયા, યમન, નાઈજિરિયા અને હવે વેનેઝૂએલામાં દરમિયાનગીરી કરી છે. આપમેળે બને બેઠેલા શેરિફનો આ વિકૃત ચ્હેરો છે. માદૂરો અને તેમના પત્ની માટે આપણે આંસુનું એક ટીપું પણ ભલે ન પાડીએ પરંતુ સામ્યવાદશાહીના પુનર્જન્મ અને રાષ્ટ્રોની છીનવાતી સાર્વભોમતા બદલ શોક તો વ્યકત કરવો જ રહ્યો.


