માણસમાત્ર આ દુનિયામાં ચોક્કસ પ્રારબ્ધ લઈને જન્મ્યો છે. એણે અમુક કાર્યો પરિપૂર્ણ કરવાનાં છે, અમુક સંદેશા આપવાના છે, અમુક ફરજો બજાવવાની છે. તમે અહીં આકસ્મિકપણે આવી ગયા નથી - તમે જન્મ લીધો છે તેની પાછળ ચોક્કસ કારણ છે, હેતુ છે. સમગ્ર સૃષ્ટિ તમારા દ્વારા કશુંક કરવા કે કહેવા માગે છે. તમારા અસલી વ્યક્તિત્ત્વની ખોજ તમારે જ કરવી પડશે, કેમ કે જો તમે એમ નહીં કરી શકો તો તમારે બીજાઓના અભિપ્રાયો પર મદાર રાખવો પડશે... અને આ એવા લોકો હશે, જેઓ ખુદ પોતાના વિશે કશું જાણતા નથી.
* * *
જો આ ધરતી પર ખરેખર શાંતિ જોઈતી હશે તો તમારા પોતાના હૃદયમાં, તમારા અસ્તિત્ત્વમાં શાંતિ પેદા કરો. આ જ સાચી જગ્યા છે શરૂઆત કરવા માટે... અને પછી ધીમે ધીમે શાંતિને બધે પ્રસરવા દો.
* * *
અતીત જેવું કશું હોતું નથી, ભવિષ્ય જેવું પણ કશું હોતું નથી. આ બે એવી વસ્તુઓ છે જેનું અસ્તિત્ત્વ જ નથી. અતીતનું અસ્તિત્ત્વ એક સમયે હતું, ભવિષ્યના અસ્તિત્ત્વનો તો હજુ પ્રારંભ પણ થયો નથી. સાચો માણસ એ જ છે જે ક્ષણ-પ્રતિક્ષણ જીવે છે.
* * *
હું જ્યારે એમ કહું છું કે ક્રિયેટિવ બનો ત્યારે મારો કહેવાનો મતલબ એવો નથી હોતો કે જાઓ, મહાન ચિત્રકાર બની જાઓ કે મહાન કવિ બની જાઓ. હું એમ કહેવા માગું છું કે તમારા જીવનને એક ચિત્ર જેવું કે એક કવિતા જેવી બનવા દો.
- ઓશો
(ફિલોસોફર, મિસ્ટિક.
જન્મઃ ૧૧-૧૨-૧૯૩૧,
મૃત્યુઃ ૧૯-૧-૧૯૯૦)


