Get The App

જેવું વાવશો તેવું લણશો...

Updated: Jul 14th, 2021

GS TEAM


Google News
Google News
જેવું વાવશો તેવું લણશો... 1 - image


- હે ભીષ્મપિતામહ એ કર્મનું ફળ અત્યારે આપ ભોગવી રહ્યા છો આથી એવું સાબીત થાય છે કે કર્મ કોઈને ય છોડતું નથી

કાયા ખેત કિશાન મન, પાપ-પુણ્ય દો બીજ ।

બોયા લૂનૈ અપના કાયા કસકૈ જીવ ।।

કરે બુરાઈ સુખ ચહૈ, કૈસે પાવે કોઈ ।

બોયા પેડ બબુલકા, આમ કહાંસે હોઈ ।।

જહં યહ જિયરા પગુઘરે, બરવત બરાબર સાથ ।

જો હૈ લીખા નસીબમેં, ચલે ન અવિચલ બાત ।।

કબીર સાહેબ કહે છે, શરીર ખેતર છે, મન ખેડૂત છે અને પાપ પુણ્ય બીજ છે. એમાથી જે વાવીશું એ જ પાકશે. પાપરૂપી બીજ એટલે કે ખરાબ કર્મો જીવને પીડા પહોંચાડે છે. જો કોઈ ખરાબ કર્મ કરીને સુખ મેળવવા ઇચ્છે તો તે કઈ રીતે મળે ? બાવળ વાવ્યો હોઈ તો કેરી ક્યાંથી મળે ? માણસે કરેલા કર્મો તેની સાથે જાય છે. જે કર્મો પ્રારબ્ધ બની ગયા છે,  તેને ભોગવવા જ પડશે. સંત તુલશીદાસ કહે છે , 'કર્મ પ્રધાન વિશ્વકરી રખા, જો જસ કરઈ. સો તસ ફૂલ ચખા. આમ દરેક માણસને તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. કર્મફળનો સિદ્ધાંત અફર અને શાશ્વત છે. કર્મના ફળથી કોઈ બચી શક્તું નથી. કર્મની ગતી ન્યારી છે. ગહન છે. સારા કર્મોનું ફળ હમેંશા સારૂં જ હોય છે. અને ખરાબ કર્મોનું ફળ ખરાબ જ મળે છે. આપણે જેવું વાવીએ એવું લણીયે. જો આપણે બાવળ વાવ્યો હોય તો કાંટા મળે ને ફૂલનાં છોડ રોપ્યા હશે તો સુગંધ પ્રાપ્ત થશે. કોઈકે કહ્યું છે,'કોઈ લાખ કરે ચતુરાઈ, કરમકા લેખ મીટે ન ભાઈ' વાસ્તવમાં કરેલા કર્મોનું ફળ મળ્યા વગર રહેતુ નથી, તે આજે નહિ તો કાલે, સો જન્મે પણ ભોગવવું પડે છે. આપણા કર્મોની સુક્ષ્મ રેખાઓ આપણા અંતર્મન પર અંકિત થતી રહે છે. આપણા અચેતન મનમાં ભેગા થયેલા કર્મોની સુક્ષ્મ રેખાઓ, અનુકુળ સમય આવતા જ સારા કે ખરાબ ફળનાં રૂપે પ્રગટ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે :

કર્મણો હયપી બૌદ્ધવ્યં બૌદ્ધવ્યં ચ વિકર્મણ :।

અકર્મણશ્ચ બૌદ્ધવ્યં ગહના કર્મણો ગતિ :।।

(અ.૪ શ્લોક ૧૭)

અર્થાત્ : કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમકે કર્મની ગતિ અતિ ગહન છે, ક્યારેક માણસ એવું વિચારે કે મેં તો જીવન દરમ્યાન હંમેશા સારા જ કર્મ કર્યા છે. છતાં મારા જીવનમાં દુ:ખ કેમ આવ્યું ? પહેલી નજરે તો આ વાત સાચી લાગે. પણ વર્તમાનમાં કર્મ કરાય છે તેનું આ ફળ નથી. પરંતુ આપણે ભુતકાળમાં કોઈ ખરાબ કર્મ કર્યું હશે , જે હવે તક મળતા આપણા જીવનમાં દુ:ખના રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે. મહાભારતની કથાનું એક ઉદાહરણ જોઈએ. ભીષ્મપિતામહ બાણશૈયા પર સુતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દર્શને આવ્યા ત્યારે પિતામહે ભગવાનને કહ્યું, હે કૃષ્ણ મેં મારા પૂર્વના એકસો જન્મ તપાસ્યા, એમાં મેં એકેય એવું પાપ કર્મ કરેલું નથી, છતાં મને બાણશૈયા પર સુવાનું દુ:ખ કેમ આવ્યું ? ભગવાને કીધુ પિતામહ તમારો ૧૦૧મો જન્મ તપાસો, એકસો એકમો જન્મ તપાસતા માલુમ પડયું કે એ જન્મમાં તેઓ એક રસ્તા પરથી પસાર થતા હતા, વચ્ચે એક સર્પ આડો આવ્યો, તેણે સર્પને પકડી, ફંગોળી, દુર ફેક્યો. આ સર્પ કાંટાનાં જાળમાં પડયો, કાંટા ખુચવાથી તે તરફડીને મરી ગયો. તેથી હે ભીષ્મપિતામહ એ કર્મનું ફળ અત્યારે આપ ભોગવી રહ્યા છો આથી એવું સાબીત થાય છે કે કર્મ કોઈને ય છોડતું નથી. ફળ સ્વરૂપે ભોગવટામાં આવે, ત્યારે તેને ભોગવીને જ છુટકારો થાય છે.

'કબીર ચંદન પેડ જલા, તીતર બૈઠાં માહિ'

હમ તો દાઝત પંખ બિન, તુમ દાઝત હો કાહિં.

કબીર કમાઈ આપની, કબહું ન નિષ્ફલ જાય

સાત સમુદ્ર આડા પડૈ, મિલે અગાડી આપ.

અર્થાત બળતા ચંદનનાં વૃક્ષ પર એક તેતર આવીને બેઠું અને બળવા લાગ્યું, આથી ચંદનનાં વૃક્ષે કહ્યુમ ારી પાસે તો પાંખો નથી હું ઉડી શક્તુ નથી, તેથી બળું છું, પણ તારી પાસે તો પાંખો છે છતાં તું બળે છે શા માટે ? તેતરે જવાબ આપ્યો, પોતે કરેલું કર્મ કદાપિ નિષ્ફળ જતું નથી. વચ્ચે સાત સમુદ્રો આંડા આવે તો પણ કરેલા કર્મોનું ફળ મળ્યા વગર રહેતું નથી. અર્થાત્ આપણે કરેલા કર્મોજ આપણને સુખ કે દુ:ખના રૂપમાં પાછા મળે છે.

- ધનજીભાઈ નડીઆપરા

Tags :