Get The App

ભગવાન શિવજીનો યોગીશ્વર અવતાર .

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
ભગવાન શિવજીનો યોગીશ્વર અવતાર                         . 1 - image


અઢારમાં દ્વાપરયુગમાં ઋૃતંજ્ય નામના વ્યાસ થયાં એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી શિખંડી નામના યોગીશ્વર બનીને આવ્યાં. ઓગણીસમાં દ્વાપરયુગમાં ભરદ્વાજ મુનિ વ્યાસ બનીને આવ્યાં ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી માલી નામના યોગીશ્વર બનીને આવ્યાં. વીસમાં દ્વાપરયુગમાં ગૌતમ જ્યારે વ્યાસ બનીને આવ્યાં ત્યારે મહાદેવજીએ અટ્ટહાસ નામના યોગીશ્વરનો અવતાર ધારણ કર્યો અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું.

એકવીસમાં દ્વાપરયુગમાં જ્યારે વાચઃશ્રવા નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી દારુક નામના યોગીશ્વર થઈને આવ્યાં. બાવીસમાં દ્વાપરયુગમાં શુષ્માયણ નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે વારાણસી ક્ષેત્રમાં મહાદેવજી લાંગલી ભીમ નામના યોગીશ્વર બનીને આવ્યાં. ત્રેવીસમાં દ્વાપરયુગમાં તૃણબિંદુ નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી શ્વેત નામના યોગીશ્વર થયાં.

ચોવીસમાં દ્વાપરયુગમાં યક્ષ નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે નૈમિષારણ્યમાં ભગવાન શિવજી શૂલી નામના યોગીશ્વર બનીને આવ્યાં. પચ્ચીસમાં દ્વાપરયુગમાં શક્તિ નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી દંડધારી મહાયોગી યોગીશ્વર સ્વરૂપે પ્રગટ થયાં. મહાદેવજીના આ અવતારનું નામ મુંડીશ્વર અવતાર કહેવાયો. છવ્વીસમાં દ્વાપરયુગમાં પરાશર ઋષિ વ્યાસ બનીને આવ્યાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી સહિષ્ણુ નામના યોગીશ્વર થઈને આવ્યાં. સત્યાવીસમાં દ્વાપરયુગમાં જ્યારે જાતુકર્ણ્ય નામના વ્યાસ થયાં ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજીએ પ્રભાસ ક્ષેત્રમાં સોમશર્મા નામના યોગીશ્વર સ્વરૂપે અવતાર લીધો.

અઠયાવીસમાં દ્વાપરયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ કૃષ્ણ દ્વૈપાયન નામના વ્યાસ થયાં. ભગવાનનું શ્રીકૃષ્ણના સ્વરૂપે ભૂતલ ઉપર પ્રાગટય થયું તે સમયે મહાદેવજી લકુલી નામના યોગીશ્વર થઈને આવ્યાં. જેમનું સ્થાન ગુજરાતમાં કાયાવરોહણમાં છે. એ યોગમાર્ગના પ્રવર્તક થયાં એટલે લકુલેશ કહેવાયા. આમ, દરેક દ્વાપરયુગમાં અલગ-અલગ ઋષિમૂનિઓએ અને દેવોએ વ્યાસનું કાર્ય સંભાળ્યું અને એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી યોગીશ્વર સ્વરૂપે પ્રગટયાં.

શિવજી એ આપણાં માર્ગદર્શક છે. તો આવો એ મહાદેવજીની કૃપા પ્રસાદી પ્રાપ્ત કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. (પૂર્ણ)

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :