Get The App

ભગવાન વિષ્ણુનો "હયગ્રીવ" અવતાર કેમ થયો...?

Updated: Aug 18th, 2021

GS TEAM


Google News
Google News
ભગવાન વિષ્ણુનો "હયગ્રીવ" અવતાર કેમ થયો...? 1 - image


એ કવાર ભગવાન વિષ્ણુ શેષનાગ પર સૂતા હતા ત્યારે તેમની નાભિમાંથી જેનાં પર્ણ હજાર છે એવું સહસ્ત્રદળ કમળ ઉત્પન્ન થયું. એ કમળ પર બ્રહ્માજી આસનસ્થ હતા. કમળ પર શરૂઆતથી જ તમોગુણ અને રજોગુણના પપ્રતીક સમાં જળનાં બે બિંદુઓ દેખાતાં હતાં. કિન્તુ ભગવાન વિષ્ણુની એ બિંદુઓ પર દ્રષ્ટિ પડી અને તેમાંથી મધુ અને કૈટભ નામના બે રાક્ષસો ઉત્પન્ન થયા. બંને બળવાન અને પરાક્રમી હતા. તેમણે કમળની નાળના માર્ગે આગળ વધીને જ્યાં બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરવામાં પ્રવૃત્ત હતા ત્યાં પહોંચી ગયા. અને બ્રહ્માજીને ખબર ન પડે તેમ તેમની પાસે પડેલા ચાર વેદો ચોરી લીધા અને રસાતળમાં પહોંચી ગયા. 

બ્રહ્માજી જ્યારે અન્ય કાર્યમાં પ્રવૃત્ત થયા ત્યારે તેમને ખબર પડી કે વેદોની ચોરી થઇ છે. એટલે તેમણે વિષ્ણુ પાસે જઇ વેદોની ચોરી થયાની વાત કરી. બ્રહ્માજીની એવી વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ "હયગ્રીવ" (ઘોડાની જેવી ડોકનું) રૂપ લઇ બંને રાક્ષસોની શોધ કરવા રસાતળમાં પહોંચ્યા. અને ત્યાં જઇ તેમણે યુક્તિપૂર્વક સામવેદના મંત્રોનું ગાન કર્યું.

તે ગાન સાંભળીને ત્યાં સંતાયેલા મધુ અને કૈટભ પણ વેદોને ત્યાં મુકીને વિષ્ણુનું સામગાન સાંભળવા આવ્યા. આ યુક્તિ કરી ભગવાન વિષ્ણુએ રાક્ષસો પાસેથી વેદો પાછા મેળવી લીધા. અને તે બ્રહ્માજીને પરત કર્યા. છેવટે ભગવાન વિષ્ણુ હયગ્રીવનું રૂપ ત્યજીને શેષનાગ પર સૂઈ ગયા.

જ્યારે સામગાન સાંભળીને મધુ અને કૈટભ પાછા ફર્યા ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને શેષનાગ પર સૂતેલા જોયા. પછી વિષ્ણુ અને રાક્ષસો વચ્ચે ભયંકર યુધ્ધ થયું. પરંતુ રાક્ષસો મર્યા નહિ. તેમણે વિષ્ણુને કહ્યું કે તમેવળી વરદાન આપનાર કોણ ? છેવટે ભગવાન વિષ્ણુએ ચાલાકીપૂર્વક તેમની પાસે વરદાન માગ્યું કે - "જો તમે બંને પ્રસન્ન થયા હો તો મારે હાથે માર્યા જાઓ" રાક્ષસો એમ કહી પસ્તાયા. તેમણે ભગવાન વિષ્ણુ પાસે વરદાન માગ્યું કે - પૃથ્વીની ભીની નહિ પણ સૂકી જમીન પર અમારો વધ કરો. ભગવાન વિષ્ણુએ પોતાની વિશાળ જાંઘોને સમુદ્ર પર વિસ્તારીને, તેને સાવ સૂકી બનાવી દીધી. બંને રાક્ષસોએ પોતાનાં માથાં ભગવાનની જાંઘ પર રાખ્યાં. એટલે ભગવાને સુદર્શનચક્રથી બન્ને રાક્ષસોનાં માથાં કાપી નાખ્યાં. આ છે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર.

ભગવાન વિષ્ણુના અનેક અવતારો છે. ક્યારેક તેઓ કૂર્મ, મત્સ્ય, વરાહ, હયગ્રીવ જેવા પશુયોનિમાં અવતાર લઇ અવતારકર્મ કરે છે. આપણને થાય કે આવું કેમ ? કારણ કે ભગવાનની દ્રષ્ટિએ માનવ અને માનવેતર પ્રાણીઓમાં કોઈ તફાવત નથી. બધા જીવો સમાન છે. એટલે અહીં તેમણે ઘોડાના જેવી ડોકનું રૂપ લઇને, વેદોની ચોરી કરનાર મધુ અને કૈટભ એમ બે રાક્ષસોને હણ્યા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ વધી જાય છે ત્યારે ધર્મ અને સત્પુરુષની રક્ષા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. આમ અહીં ભગવાન વિષ્ણુનો "હયગ્રીવ" અવતાર થયો છે.

-  કનૈયાલાલ રાવલ

Tags :