- ઘણા લોકો બીજા જોડે રહે છે, પણ તે બીજાના પગ ચાટીને રહે છે. ખુમારીથી જીવી શકતા નથી. કોઈની ગુલામી નહીં કરું, કોઈનું મન મારીને જીવીશ નહીં. સ્વમાનથી કાર્ય કરીશ. પોતાનો કે કોઈનો આત્મા ન મારવો એ એક મોટી જીવનકલા છે
સ્વર્ગમાં સુખોપભોગ ભોગવે છે તેને માટે દેવ શબ્દ છે ?? ના, એવું નથી... પરંતુ લોકોમાં દેવત્વ લાવવું, પરોપકાર વૃત્તિથી, કલ્યાણકારી કામો કરે છે તે 'દેવ' છે. દેવ શબ્દ ત્ર્ઢ ધાતુમાંથી આવેલ છે. धु क्रीडाविजिगीषा व्यवहार धुति स्तुति... તેમાંથી દેવ શબ્દ આવ્યો છે. જે સારી ક્રિડા કરે. જીવન એક રમત જેવું લાગે. સમાજનાં છેલ્લામાં છેલ્લા માણસને એમ લાગવું જોઈએ કે જીવન એક રમત છે જીવનમાં સુખ દુ:ખ આવે છે તે રમત છે. શતરંજની રમતમાં ઘોડો અટકી જાય તો કોઈ રડતું નથી. વજીર મરી જાય તો કોઈ ખરખરો કરતું નથી. એનું કારણ કે વજીર મરી ગયો તે પાછો ઉભા કરીશું. એમ ફરી રમત રમવા તૈયાર થઈએ છીએ. બધાને ભેગા કરી ફરી રમતની શરૂઆત કરે છે. આવી વિશાળ ભાવનાથી-વિવિધ પ્રકારના સાત્વિક આનંદથી જીવે છે તે 'દેવ' કહેવાય. (પાંડુરંગશાસ્ત્રી). ધ્યેય ઉત્તમ રાખીને જીવે તે 'દેવ'. જીવનમાં દૈવી ધ્યેય હોવું તે દેવત્વ છે. ગતિશીલ જીવે તે 'દેવ'. જીવનમાં દૈવી ધઅયેય હોવું તે દેવત્વ છે. ગતીશીલ જીવન બનાવી જીવનની શોભા વધારે તે દેવ. જીવનમાં ઘણાંય તત્વજ્ઞાનીઓ છે. જે કૃષ્ણના વિચારોને પ્રગટાવે છે. તેવા ક્રાંતિકારી માનવ 'દેવ' જ છે. દેવ આકાશમાં જ રહે તેવું નથી. તે બુદ્ધિ-શક્તિ-વિત્તશક્તિ વગેરેનો સદુપયોગ પ્રભુને માધ્યમ રાખીને કરે છે તે દેવ છે. ટૂંકમાં ધ્યેયશીલ ઉત્તમ જીવન જેનું હોય તે દેવ. જીવનની દરેક કૃતિમાં માંગલ્ય લાવવા પ્રયત્ન થયા હોય તે અને પ્રભુને પ્રસન્ન કરનારા કાર્યો કરનાર દૈવી મનુષ્ય કહેવાય છે. પોતાની અને સૃષ્ટિની કાન્તિ વધારનારા કાર્યો કરનાર 'દેવ' જ ગણાય. વિવિધ પ્રકારના આનંદથી યુક્ત જીવન ધરાવે તે 'દેવ'. આ આનંદ સર્વવ્યાપક હોવો જોઈએ. માણસ બુદ્ધિપ્રધાન પ્રાણી છે. દરેક કાર્યો પ્રભુનાં છે તે સમજી જે કાર્યો કરે છે તે 'દેવ' જ છે. આ ભાવજીવનનો આનંદ 'દેવી' પુરુષો અનુભવી શકે છે.
માનવમાં દેવત્વનું નિર્માણ થાય એવી ભગવાનની ઇચ્છા છે. જેમ બાપની ઇચ્છા હોય કે છોકરો મારા કરતાં વધારે સારો થાય, ઉન્નતિકારક કાર્યો કરે, મારૃં નામ રોશન કરે તેવી રીતે ભગવાનની પણ ઇચ્છા છે કે માનવમાં 'દેવત્વ' નિર્માણ થાય.
देवानुभावयतानेन ते
देवा भावयन्तुं वे ।
परस्परं भावयनां
श्रेयः परस्ववाप्याथ ।।
(ગીતા. અ. ૩/૧૧)
'તમે બધા સારા કર્મો, કલ્યાણકારી કર્મો કરી દેવતાઓને ઉન્નત કરો અને દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિ:સ્વાર્થભાવે એકબીજાને ઉન્નત કરી રહીને તમે બધા પરમ કલ્યાણ પામશો. 'દેવ'ત્વ પામશો. આ સૃષ્ટિમાં આવીને બધાએ કેમ રહેવું તેની જીવન સંહિતા (Code of life) આમાં સમજાવ્યું છે. આવું જીવન જીવવાથી આપણામાં દેવત્વ આવી શકે છે. આમ આપણા સમાજમાં આપણું વિશુદ્ધ જીવન એ જ દૈવી જીવન છે.
- ઇશ્વરને ફળ સોંપીને જે કાર્ય કરે તે 'દેવ' :- અભિમાન રહિત, કૃષ્ણાર્પણ કાર્યોમાં પ્રગતિ કરે તે 'દેવ'. 'હું કરું' - 'મેં કર્યું' અભિમાનરહિત હોય... ચૈતન્ય યુક્ત જીવન હોવું જોઈએ. ઘણાં કહે હું ૯૦ વરસનો થયો.. પણ તેથી શું ? પણ કર્યું શું ? કેવળ દિવસો કે વરસો ગણવાથી જીવન નથી બનતું પણ કંઈક સારું કાર્ય કરવાથી સારું જીવન (Well being) બને છે.
- દેવ યજ્ઞા :- દેવનાં કાર્યો કરવાં એટલે 'દેવયજ્ઞા'. લોકોમાં દેવત્વ લાવવું એ દેવકાર્ય છે. કે જીવ કંઈ ઉન્નત થશે, મોટો થશે, મહાન થશે. એમ એની અંદર બેઠેલા છીએ એટલે એમને (ઇશ્વરને) શોભે તેવું વર્તન કરવું અમારી જીંદગી શુભ કાર્યો કરે તે દેવયજ્ઞા છે. આટલી બધી ઇન્દ્રિય શક્તિ શરીરમાં કામ કરે છે. કારણ કે પ્રભુને વિશ્વાસ છે કે આ જીવ કંઈ ઉન્નત થશે. મોટો થશે અને જીવનનું ગૌરવ વધારે તેવા પરોપકારવૃત્તિથી ઇશ્વરને ફળ અર્પણ કરીને થતા કાર્યો તે દેવયજ્ઞા છે.
- જેને સારું જીવન જીવવાની જીજીવિષા હોય તે દેવ :- માણસ તરીકે જન્મ્યો છે તો માનવતાભર્યા જીવન જીવવાની પણ જીજીવિષા હોવી જરૂરી છે. અજ્ઞાનની સામે વિજયી થઈશ. વિકારો સામે વિજયી થઈશ. આવી જીજીવિષા ભર્યું જીવન જીવે તે 'દેવ' છે. સારું જીવન જીવવું પછી ભલે તે ગરીબ હોય, શ્રીમંત હોય, વિદ્વાન હોય, પણ જીવનમાં સર્વેને કંઈ ચૈતન્ય દેખાતું હોય. સર્વમાં ઇશ્વરનું દર્શન કરતો હોય. સહુના માટે યથા યત્ન કાર્યો કરતો હોય જેનો હેતુ સહુના કલ્યાણ માટેનો હોય તે 'દેવ' છે.
- વ્યવહાર શીખવે તે દેવ :- વ્યવહાર એટલે બે માણસ વચ્ચેનો જે સંબંધ છે તેને વ્યવહાર કહેવાય. બીજા જોડે કેમ રહેવું ? જીવનમાં એ શીખવાનું છે. આજના અભ્યાસક્રમમાં બીજા જોડે કેમ રહેવું તે શીખવવામાં આવતું નથી. અભ્યાસક્રમમાં તે વિષય હોતો નથી. તેથી એન્જિનિયર, કે ડોક્ટર તરીકે પ્રથમ કક્ષાની વ્યક્તિ, પતિ તરીકે તૃતીય કક્ષાની અને પિતા-પુત્ર તરીકે પણ નીચી જોવા મળે છે. કારણ બીજા જોડે એને રહેતા જ આવડતું નથી. બીજા જોડે રહેવું તે એક કળા છે. ઘણા લોકો બીજા જોડે રહે છે, પણ તે બીજાના પગ ચાટીને રહે છે. ખુમારીથી જીવી શકતા નથી. કોઈની ગુલામી નહીં કરું, કોઈનું મન મારીને જીવીશ નહીં. સ્વમાનથી કાર્ય કરીશ. પોતાનો કે કોઈનો આત્મા ન મારવો એ એક મોટી જીવનકલા છે. યોગ્ય રીતે જીવન જીવે તે 'દેવ' છે.
- ડૉ. ઉમાકાંત જોષી


