સત્ય હિ પરમો ધર્મ: .
- જે વ્યક્તિ સત્યને જીવનનું ધ્યેય બનાવે છે.તેના વિચાર-વાણી-કાર્યમાં પ્રમાણિક્તા આવે છે.તેનું જીવન સદા સફળ અને સુખી બને છે. તે વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે
શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય-૧૬ શ્લોક-૦૨ માં ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સંયતિના ગુણોમાં સત્યને પ્રમુખ સ્થાન આપેલ છે. કારણ સત્યને સમજવું એ સાચા અર્થમાં જીવનના મર્મને સમજવાનો છે. સત્યની વ્યાખ્યા કરવી હોય તો આંખ વડે જોયું, કાન વડે સાંભળ્યું હોય અને અંત:કરણથી જે અનુભવાયું હોય તે નિર્દભપણે કહેવું તે સત્ય. જે પોતે જોયું, સાંભળ્યું, અનુભવ્યું હોય તે પ્રમાણે બોલવું તે બ્રહ્મ સત્ય છે.
સત્યથી વિમુખ થતા ધર્મનું કોઈ અસ્તિત્વ રહી શકતું નથી. સત્ય એ માનવજીવનનો એક અગત્યનો સદગુણ છે. જે વ્યક્તિના આચાર-વિચાર અને જીવનશૈલીને પ્રભાવિત કરે છે.
જે વ્યક્તિ સત્યને જીવનનું ધ્યેય બનાવે છે. તેના વિચાર-વાણી-કાર્યમાં પ્રમાણિક્તા આવે છે. તેનું જીવન સદા સફળ અને સુખી બને છે. તે વ્યક્તિને આત્મ વિશ્વાસ આપે છે. સમાજમાં સદા સન્માન મેળવે છે. જેમ કે, મહાત્મા ગાંધીએ સત્યને જીવનમાં અપનાવી જીવનભર સત્યના પ્રયોગો કરતા રહ્યા કારણ તેઓ માનતા કે, "સત્ય એ જ પરમેશ્વર છે".
મહાભારતના કર્ણપર્વના અધ્યાય-૬૯ માં શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધી કહે છે, "સત્ય કરતા બીજું કંઈ ઉત્તમ નથી પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠીન છે. છતાં સત્ય એ ધર્મની આધારશીલા છે. જો ધર્મથી સત્ય અલગ થઈ જાય તો પાપ બની જાય છે." જેમ કે મહારાજ યુધિષ્ઠિરે દરેક પરિસ્થિતિમાં સત્યનો માર્ગ અપનાવ્યો. ભલે મુશ્કેલી-વિટંબણા આવી પડી, પણ અંતમાં સંદેહે સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો. તો સામેની બાજુ કૌરવોએ અસત્યનો માર્ગ અપનાવ્યો તો તેનો વિનાશ થયો. આમ જે સત્ય છે તે કાયમ રહે છે. ક્યારેય બદલાતું નથી.
સત્યની જ સર્વત્ર પ્રતિષ્ઠા કરીને જગતની સર્વ પ્રવૃતિઓ ચાલે છે. સત્યથી પૃથ્વી ધારણ થઈ છે. સત્યથી જ સુર્ય-ચંદ્ર પ્રકાશે છે. સત્યથી જ વાયુ વાય છે. આમ સત્યના આધારે જ જગતના સર્વ તત્વો નભી રહ્યા છે. ત્રાજવાના એક પલ્લામાં એક હજાર અશ્વમેઘ યજ્ઞા અને બીજા પલ્લામાં સત્ય, તો પણ સત્યનું પલ્લું વજનદાર રહે છે.
મનુષ્ય જીવનની સાર્થક્તા માટે દરેક વ્યક્તિએ સત્યને પોતાના જીવનમાં સ્થાન આપવા પુરતા નિયમિત પ્રયાસો કરવા જોઈએ. સત્યની પ્રેરણા મેળવવા ભગવાન શ્રી રામનું આદર્શ જીવન આપણી સમક્ષ છે. જેણે સત્ય માટે રાજ-પાઠનો ત્યાગ કરેલ. આપણે પણ સત્યના માર્ગે ચાલવાનું આજથી શરૂ કરીએ તો જીવનમાં આવતી પરેશાનીઓનો સરળતાથી સામનો કરી શકીશું. જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે. કારણ સત્ય મેવ જયતે આ માત્ર ઉક્તિ નથી તે જીવન જીવવાનો અને મૃત્યુને સુધારવાનો ગુરૂમંત્ર છે.
- મકવાણા વિનોદ એમ.