Get The App

જીવનમાં સત્યતા શાશ્વત અમૃતરૂપ જીવન

Updated: Aug 21st, 2019

GS TEAM

Google News
Google News
જીવનમાં સત્યતા શાશ્વત અમૃતરૂપ જીવન 1 - image


જીવનમાં મન, બુદ્ધિ અને વાસનાને ધ્યાન યોગ દ્વારા શુદ્ધ, સ્થિર અને પવિત્ર કરીને આત્મ સ્વરૂપ પરમ ચેતનામાં સ્થિર થઈને સત્ય સ્વરૂપ જીવન જીવવાથી, શાશ્વત અમૃતરુપ જીવનની ઉપલબ્ધી થાય જ છે, અને આજ ધ્યાન યોગનું પરમ અને ચરમ લક્ષ પણ છે.

માણસની ચિત્ત વૃતીઓ જ બાહ્ય જગતની વસ્તુઓને ગ્રહણ કરી અને એમાં જ લિપ્ત થવા વાળી હોય છે, જેને કારણે જ બાહ્ય પદાર્થો સાથે જોડાયેલી જ રહે છે, એનું નામ જ બહિરમૂર્ખતા છે,  આ લિપ્તતા બહુ મુખી અને બહુ રૂપી હોય છે. અને પાછી સ્થિર હોતી નથી, જેથી જ સદાય અશાંતિ, તનાવ અને ઉદ્વેગમાં સતત માણસ રહે છે.

માણસ સતત વિચારની ઝાળમાં ફસાયેલો જ રહે છે, અને વિચારની તંદ્રા નિરંતર ચાલુ જ રહે છે, તંદ્રા એ જ તનાવ છે, અને વિચાર મન કરે છે, જેથી મન ચંચળ છે,માટે જ જીવનમાં દુઃખ અને તનાવ છે, આશાંતિ છે, એટલે જ ધ્યાન યોગની સાધના દ્વારા મનને અક્રિય કરવામાં આવે છે. મન જ અક્રિય થતાં જીવનના તમામ પ્રશ્નો આપો આપ ઉકલી જાય છે, કારણકે મન જ રહેવા પામતું નથી માટે પરમ આનંદ ઉપલબ્ધ થાય છે, કારણકે આપણો મૂળ સ્વભાવજ આનંદ સ્વરૂપ છે.

આમ ધ્યાન યોગ દ્વારા પોતાના સ્વભાવમાં જ સ્થિર થવાનું છે. તે ધ્યાન યોગ દ્વારા જ શક્ય બને છે. મન અક્રીય એજ શાશ્વત અમૃતરુપ જીવન છે. ધ્યાન યોગની સાધના મનની વૃત્તિઓ બહિરમૂર્ખી છે, તેને અંતરમૂર્ખી બનાવે છે, ને ક્રમશ: તેનો નિરોધ કરી તેને શુદ્ધ કરે છે અને મનને અક્રિય કરે છે, ને તેને પરમ ચેતના સાથે જાગૃતતા  પુર્વક જોડે છે, જેથી પરમ ચેતનાનો આનંદ ઉપલબ્ધ થાય છે.

જેથી માણસ બહારથી નીકળી અંતર જગતમાં પ્રસ્થાપિત થાય છે, તેથી ધીરે ધીરે આત્માનો આનંદ પ્રાપ્ત થવા માંડે છે, જેથી તે આત્માની નજીક જવા માડે છે. અને આત્મા સુધી પહોચી જાય છે તેને જાણે છે, ને તેમાં સ્થિર થાય છે. તેથી તેની તમામ વૃત્તિઓ બ્રહ્મરૂપની સ્થિતિ પ્રાપ્ત કરે છે, બ્રહ્મરુપ થઈ જાય છે, તેનું નામ જ પ્રજ્ઞાા અવસ્થા છે, આ સમાધિની અવસ્થા છે, જે ની ઉપલબ્ધી એજ શાશ્વત અમૃતરુપ જીવન છે.

અમૃત બહાર ક્યાય નથી તે આપણી અંદર આત્મામાં જ છે, તેને શોધવું અને તેમાં સ્થીર સાધકને કરવો એજ યોગનો મુખ્ય હેતુ અને ઉદેશ છે.

અમૃતરુપ સુખ અને શાંતિ બહાર ક્યાય નથી તે અંદર આત્મામાં જ છે, તે આત્મસ્થ થવાથી અને તેની સાથે એકત્વ થવાથી જ પ્રાપ્ત થાય છે, તે યોગ દ્વારા જ પ્રાપ્ત થાય છે.

યોગ દર્શનના ભાષ્યકાર મહર્ષિ વ્યાસ ભગવાને સમાધિની પ્રાપ્તિ  એ જ યોગ છે, અને તેજ જીવનની શાશ્વત આનંદની સ્થિતિ છે, આ પ્રાપ્ત કરવું અને માનવ જીવનું અંતિમ લક્ષ છે, એમ કહ્યું છે,

યોગ દ્વારા સમાધી અવસ્થાએ પહોચતા જ મન સાવજ અક્રિય બની જાય છે, જેથી ચિત્ત વૃત્તિઓનો પૂર્ણ રીતે નિરોધ થઈ જાય છે શાંત અને શુદ્ધ થઈ જાય છે, આને જ નીર્ગ્રથતાની ઉપલબ્ધી કહે છે, જેને ગીતાએ ત્રિગુણાતીત અવસ્થા કહી છે,

આ અવસ્થામાં સ્થિર થતા જ આત્મા સાથે તાદાત્મ્ય થાય છે, આત્મા એજ પરમાત્મા છે. માટે પરમાત્માની અનુભૂતિ થાય છે, અને સમગ્ર જીવન પ્રકાશ સ્વરૂપ બની જાય છે. કારણકે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે, સાધક પોતે જ પરમાત્મા બની જાય છે, અને  આત્મ સ્વરૂપ બની જીવન જીવે જાય છે, જીવન જીવવાની સત્ય સ્વરૂપ રીત છે, અને આજ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની રીત છે.

આમ મારી દ્રષ્ટિ અને સમજ અનુસાર ધ્યાન યોગ એ મનની વૃત્તિઓ, વિષયો અને રસોને નિરુધ્ધ કરી શુદ્ધ કરી અને ઉપરામને પ્રાપ્ત કરે છે, અને આત્મા દ્વારા આત્માં જ સ્વયં પરમાત્મા સ્વરૂપ આત્માની જાણકારી પ્રાપ્ત થતા જ પોતે પોતાની રીતે જ પુરેપુરો સંતુષ્ટ થઈ જાય છે. અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે એજ માણસનો પરમધર્મ છે.

આવા શુદ્ધ સત્ય સ્વરૂપ ધર્મમાં માણસને યોગ સ્થિર કરવાનું કામ કરે છે, ચાલો આપણે સત્ય સ્વરૂપ ધર્મમાં સ્થિર થવા આપણા પોતાના સત્યને જાણી તેમાં જ સ્થિર થઈને જીવન જીવીએ, ત્યાં જ પરમ આનંદ છે અને પરમ સુખ અને શાંતિ છે, અને આ રીતે જીવન જીવે જવું એજ જીવન છે.

- તત્વચિંતક વી પટેલ

Tags :