'આત્મનિષ્ઠા' ઉપરનો વિશ્વાસ તારે છે અને 'અહંકાર' પરનો વિશ્વાસ નાશ કરે છે
- અહંકાર ભર્યો વિશ્વાસ વિનાશ, શોષણ, પીડા, નિર્દયતાનું કારણ બને છે. જેમ કે હિટલર, મુસોલિની, સિકંદર જેવા તાનાશાહો તથા ભારતમાં રાવણ, હિરણ્યાક્ષ, કંસ જેવા દૈત્યોમાં પણ વિશ્વાસ ઓછો ન હતો. પરંતુ તે વિશ્વાસ અહંકાર ઉપર આધારિત હતો જેથી તે પોતે તથા પોતાના સમુદાયનો વિનાશનું કારણ બન્યો
આત્મવિશ્વાસ જીવનને આગળ વધારવાનો એ ગુરુમંત્ર છે. જીવનને ઉન્નતિકારક બનાવવાનો સહારો છે. એના અભાવથી દરેક સાધનો હોવા છતા તથા પરિસ્થિતિઓ સાનુકુળ હોવા છતાં પણ જીવનને આપણે આગળ મેળવી ધારેલી સિધ્ધિઓ મેળવી શકતા નથી. ખરેખર આત્મવિશ્વાસ સમાન કોઇ આપણો સાચો મિત્ર નથી. આત્મવિશ્વાસ એ જ જીવનમાં ઉત્કર્ષ માટેની પ્રથમ નિસરણી છે. આત્મવિશ્વાસ જ સફળતાનું મુખ્ય રહસ્ય છે, આત્મવિશ્વાસ જેટલો વધુ હશે તેટલી આત્મશક્તિ પણ પ્રબળ બનશે. જ્યારે ચારેય તરફથી વિપત્તિઓનાં કાળા વાદળો મંડાયેલા હોય, જ્યારે જીવન સાગરમાં જીવન નાવ ડગમગી ગઇ હોય, ભયંકર તોફાન થઇ રહ્યું હોય. જીવનની નૌકા ડૂબી જવાની સ્થિતિ આવી ગઈ હોય ત્યારે આત્મવિશ્વાસની શક્તિ હજારો આવી વિપત્તિઓમાં સામનો કરીને કિનારે પહોંચાડે છે.
વાસ્તવમાં જીવનના દરેક કાર્યોનો શુભારંભ આત્મવિશ્વાસથી જ કરવો જોઇએ. નાના કાર્યોની સફળતાથી વધતો જતો આત્મવિશ્વાસ આપણને જીવનમાં આગળ વધવાની શક્તિમાં ઉત્તરોત્તર વધારો કરે છે. આ આપણે પોતાના જ શ્રમથી કરવો જોઇએ. જીવનમાં કોઇ સાથ કે સથવારો ન આપે તો પણ આત્મવિશ્વાસ એજ મોટો સાથી અને સહારો બની સાહસ કરવાનો રસ્તો ચિંધે છે. આપણા જ આપણો આદર કરી આપણાં જીવનની દશા બદલી શકે છે. કારણ કે હૃદયમાં એ આત્મજ્ઞાાનને દિપાવે છે અને આપણને આપણી મંજીલ સુધી પહોંચાડે છે. સંસારનો એવા અનેક ઉદાહરણો છે જે મહાપુરુષો પોતાના આત્મવિશ્વાસની શક્તિથી જીવનને સિદ્ધ કર્યું છે.
- 'કોલંબસ' આ આત્મવિશ્વાસની સાથે જ પૃથ્વીની પરિક્રમા કરતા કરતા ભારતની શોધમાં નિકળતા હતા. ટેન્શન નોર્ગે પોતાના આત્મવિશ્વાસથી જ એવરેસ્ટનો શિખરે પહોંચ્યો હતો. આજ આત્મવિશ્વાસથી માણસ ચંદ્રમા સુધી પહોંચ્યો હતો. દરિયાના તળિયા સુધી પણ શોધ કરતો કરતો પહોંચ્યો.
- નેપોલીયનની સેના જ્યારે આલ્પ્સ પર્વત જોઇને અટકી ગઈ હતી અને સેનાપતિઓને કોઇ રસ્તો દેખાતો ન હતો એવી ભયંકર સ્થિતિમાં પણ નેપોલિયનનો સાથ તેનો અગાથ આત્મવિશ્વાસે આપ્યો જેના કારણે નેપોલિયન તેની સેનાને કહ્યું કે, વિશ્વાસ રાખો કે આ પર્વત જ નથી. અને કાંઇપણ આવી મુશ્કેલી આવે તો પણ આપણે તેને પાર કરવાની જ છે. અને જોત જોતાં જ એ વિશાળ પર્વતને કાપતાં કાપતાં નાની નાની કેડી બનાવી પુરી સેના તેમાંથી પાર ઉતરી ગઈ.
- ભગવાન શ્રીરામ પોતાના અખૂટ વિશ્વાસનાં બળથી વનવાસની મુશ્કેલીઓથી પાર ઉતરી સેનાઓને લંકા સુધી લઇ જઇ સીતાજીને લઇ આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણએ પણ આજ આત્મવિશ્વાસના બળથી વિષમતાઓને ડગલે ડગલે ધ્વંસ કરી રણક્ષેત્રમાં 'ગીતા'નો અમર સંદેશની સાથે જીવનનો રસ્તો દેખાડયો છે.
- આત્મવિશ્વાસનો ખરો અર્થ છે કે પોતાની વિકટ પરિસ્થિતિમાં પોતે જ હિંમતથી તેનો રસ્તો લઢી, સામનો કરી ધીરજથી તેમાં કામ લેવું. આપણામાં ઇશ્વરે અખૂટ વિશ્વાસની શક્તિઓ આપેલી છે પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી. ખરેખર આ દૃઢ શક્તિનો પર્યાય છે. આત્મવિશ્વાસ અગાધ પરિશ્રમ અને સુનિયોજીત પ્લાન, ધીરજનું યોગ્ય સંયોજન. જેના ઉપર ઇશ્વર પણ કૃપાળું બની જાય છે.
આત્મવિશ્વાસનું મૂળ સ્વરૂપ છે. આત્મ સત્તા ઉપર વિશ્વાસ કરવો. આવી આત્મશક્તિ બને કે 'સ્વરાજ અમારો જન્મસિધ્ધ અધિકાર છે અને તે અમે મેળવીને જ રહીશું ?
આજ બળ ઉપર 'અબ્રાહિમ લિંકન' કહેતા હતા કે મેં અમારા ભગવાનને એ વચન આપ્યું છે કે દાસોમાંથી મુક્તિનું કાર્ય હું અવશ્ય પુરો કરીશ. વાસ્તવમાં આ જ આત્મવિશ્વાસ જીવનની અમૂલ્ય શક્તિ છે.
આ આત્મવિશ્વાસના સાથથી વ્યક્તિ શું નથી કરી શકતો. આ આત્મવિશ્વાસ ભયંકર સાગરમાંથી પણ રસ્તો શોધી શકે છે. તે વિશ્વાસ આપણને ગગનચુંબી પર્વતના શિખરોને પણ પાર કરવાની શક્તિ અને પ્રેરણા આપે છે. આત્મવિશ્વાસ જ જીવનમાં આવતી મુશ્કેલીઓમાં માર્ગ શોધીને આપણને કિનારા સુધી પહોંચાડી દેવાની શક્તિ આપે છે. આત્મવિશ્વાસ જ આપણી જીવન નૌકાને તોફાનોમાં પાર પાડવાની શક્તિ આપે છે. અને પર્વતો જેવી મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે. આ આત્મવિશ્વાસ હિમાલય જેવો અડગ-અવિચલ અને અપરાજેય હોવો જરૂરી છે.
- સીતા માતાની શોધમાં જ્યારે બધા હિમ્મત હારીને બેઠા હતા અને નિરાશ થઇ ગયા હતા ત્યારે જામવંતે હનુમાનજીને હિમ્મત આપીને સમુદ્ર પાર કરાવ્યો હતો.
જામવંત કે વસન સુનારે
સુની હનુમંત હૃદય અતિ ભાયે
સુપ્તા અવસ્થામાં પોલો આત્મવિશ્વાસ મુશ્કેલીઓની પરિસ્થિતિઓની વચ્ચે જાગ્રત થઇ ચેતના પ્રાપ્ત કરીને તેના સાથથી જીવનમાં આપણને કંઇક ઉન્નતી કરી શકીએ છીએ. ખરેખર સંસારમાં જીવન સંઘર્ષની વચ્ચે પણ આપણે આ આત્મવિશ્વાસથી ટકી શકીએ છીએ. અને તમામ મુશ્કેલીઓની સાથે લડી હિમ્મતથી આગળ વધી શકીએ છીએ. આપણને આપણનો અખૂટ વિશ્વાસ એ ઇશ્વરીય મદદ માટે યોગ્ય પુરવાર થાય છે.
- આત્મવિશ્વાસ અને અહંકારનો ભેદ : આત્મવિશ્વાસ તારે છે અને અહંકાર ડુબાડે છે.
સ્વામી રામતીર્થના શબ્દોમાં વિશ્વાસ શ્રીરામમાં પણ હતો અને અહંકાર ભર્યો વિશ્વાસ રાવણમાં હતો. આત્મનિષ્ઠા ઉપર કેન્દ્રિત થયેલા વિશ્વાસનું પ્રતિક રામ છે તો અહંકાર ઉપર આધારિત વિશ્વાસ રાવણમાં છે. મહર્ષિ વશિષ્ઠના અનુસાર વિશ્વાસ એ કુળ રાણી છે અને અહંકાર એ બાજારૂ વૈશ્યા છે. એક સ્ત્રી સેવા કરતી કરતી પરમાર્થમાં જીવન વિતાવે છે અને બીજી સ્વયં ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે.
- અંધવિશ્વાસ : અહંકાર ભર્યો વિશ્વાસ વિનાશ, શોષણ, પીડા, નિર્દયતાનું કારણ બને છે. જેમ કે હિટલર, મુસોલિની, સિકંદર જેવા તાનાશાહો તથા ભારતમાં રાવણ, હિરણ્યાક્ષ, કંસ જેવા દૈત્યોમાં પણ વિશ્વાસ ઓછો ન હતો. પરંતુ તે વિશ્વાસ અહંકાર ઉપર આધારિત હતો જેથી તે પોતે તથા પોતાના સમુદાયનો વિનાશનું કારણ બન્યો. અહંકારભર્યા વિશ્વાસ તથા અંધવિશ્વાસથી પ્રભુ આપણને દૂર રાખે તેવી પ્રાર્થના.
આપણે આપણો આત્મનિષ્ઠા ઉપરનો સાચો વિશ્વાસ કેળવીએ. એવી પ્રભુ આપણને શક્તિ આપે અને આપણાં શુભચિંતકો, ગુરુ, વિદ્વાનો, સંતોના આદેશ પ્રમાણે આપણું જીવન વિતાવીએ સહજ જીવનની સાર્થકતા અને સાચી માર્મિકતા છે.
- ડૉ. ઉમાકાંત.જે. જોષી