ભગવાનની આજ્ઞામાં ફેર પડવાથી મોટા મોટાને લાંછન લાગ્યા છે માટે જેને પરમેશ્વર ભજવા હોય તેણે જીવને ભગવાનના નિયમમાં ચલાવવો જોઈએ. આપણે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તીશું તો સુખી થઈશું.
કપાળમાં ટીલુ ને સત્સંગમાં ઢીલું એવો સત્સંગ આપણને ઠેઠ પહોંચાડે નહીં, માટે આપણે સૌએ તપાસ કરતા રહેવું કે, આપણે શું કરવા આવ્યા છીએ ? અને શું થાય છે ? તો જ આપણને આપણી વધઘટની ખબર પડે છે.
પરસ્પર સમજૂતી એટલે એકબીજા પ્રત્યે પ્રેમ. જતું કરવાની ભાવના, ગઈ ગુજરીને ભૂલી જવાની વૃત્તિ દાખવામાં આવે તો જ કંકાસ નિવારી શકાય છે, જંતુ કરવાની ભાવનાથી સંપના બીજ રોપાય છે અને પકડી રાખવાની ભાવનાથી કુસંપના બીજ રોપાય છે.
જીવન મળ્યા પછી, યોગી બનવું સારું છે. યોગી ન બની શકો તો જીવનમાં કોઈને ઉપયોગી તો આવશ્ય બનજો.
આજનો માણસ સવારથી ઉઠી રાત્રી સુધી દોડે છે અને હાંફી જાય છે, છતાં એને શાંતિની અનુભૂતિ થતી નથી. શાંતિનો અનુભવ કરવા માટે સત્સંગ કરવો જોઈએ. આપણે જેટલો સત્સંગ કરીશું તેટલા સુખી થઈશું. જેમણે પોતાનું સમગ્ર ૧૦૦ વર્ષનું આયુષ્ય અને ૮૦ વર્ષનું સાધુ જીવન માનવ સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું. તેવા શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર- અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને તારીખ પ્રમાણે તા.૧૫ ઓક્ટોમ્બરના રોજ અને તિથિ પ્રમાણે શરદ્પૂર્ણિમા રોજ ૧૦૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં ત્યારે એમણે જે સદ્ઉપદેશ આપ્યો છે. તેમાંથી અત્રે સંક્ષિપ્તમાં લીધો છે, તેને આપણે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


