Get The App

બ્રહ્મવૈવર્ત પુરાણ દર્શાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ જ શિવ-પાર્વતીના પુત્ર'ગણેશ' રૂપે પ્રક્ટ થયા હતા !

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

Updated: Sep 4th, 2019

GS TEAM

Google News
Google News
બ્રહ્મવૈવર્ત પુરાણ દર્શાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ જ શિવ-પાર્વતીના પુત્ર'ગણેશ' રૂપે પ્રક્ટ થયા હતા ! 1 - image


આ જગતમાં પર બ્રહ્મ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યકિતનું અસ્તિત્વ નથી. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે- ' મત્ત: પરતરં નાન્યત્ કિંચિદસ્તિં ધનંજય । મયિ સર્વમિદં પ્રોત સૂત્રે મણિગણા ઇવ ।। મારા સિવાય આ જગતમાં બીજી કોઈ વસ્તુની સત્તા અસ્તિત્વમાં નથી. દોરામાં ગુંથેલી માળાના મણિઓની જેમ બધી વસ્તુઓ મારામાં ગુંથાયેલી છે. (અધ્યાય ૭, શ્લોક ૭) વિષ્ણુ સહસ્ત્રનામમાં ભીષ્મ પિતામહ પણ કહે છે-' સમસ્ત પ્રાણીઓના આદિ ભૂત, આ પૃથ્વીના આધારભૂત, અનેક રૂપોને ધારણ કરનાર અને સર્વસમર્થ ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું.' આના ઉપરથી સમજી શકાય છે કે બધા દેવોના રૂપમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ છે.

ભગવાન શ્રીગણેશના રૂપમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ જ છે એવો નિર્દેશ અને એમના આવિર્ભાવને લગતા પ્રસંગોનું વિસ્તૃત વર્ણન બ્રહ્મવૈવર્તપુરાણના ગણપતિ ખણ્ડમાં જોવા મળે છે. પાર્વતી સાથે શિવજીના લગ્ન થયા બાદ ઘણો સમય વીતી જવા છતાંય એમને કોઈ સંતતિ થઈ નહીં એટલે પાર્વતી ઉદાસ બન્યા. ભગવાન શંકરે એનું કારણ પૂછયું ત્યારે તેમણે તે જણાવ્યું.

આ સાંભળી તેમણે પાર્વતીને કહ્યું-' હરેરારાધનં કૃત્વા વ્રતં કુટુ વરાનનો વ્રતં ચ પુણ્યકં નામ વર્ષમેક કરિષ્યસિ ।। વ્રતસ્યાસ્ય પ્રભાવેણ સ્વયં ગોપાઙગનેશ્વર :। ઇશ્વર : સર્વભૂતાનાં તવ પુત્રો ભવિષ્યતિ ।। હે સુંદર મુખારવિંદવાળા પાર્વતી, ભગવાન શ્રીહરિની આરાધના કરીને 'પુણ્યક' નામનું  ઉત્તમ વ્રત એક વર્ષ સુધી કરો. આ વ્રતને વિધિપૂર્વક કરવાથી ગોપાંગનાઓના ઇશ્વર શ્રીકૃષ્ણ જ તમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે.(અધ્યાય ૩, શ્લોક-૩, અધ્યાય-૫, શ્લોક ૨૭)

ભગવાન શિવજીના આ વચનો સાંભળીને ભગવતી પાર્વતીએ પૂર્ણ શ્રદ્ધા સાથે વિધિપૂર્વક આ વ્રત કર્યું. એના ફળ રૂપે આકાશમાંથી એક તેજપુંજ પ્રકટ થયો. એમાંથી પીતાબંરધારી ભગવાન શ્રીકૃષ્ણ પ્રકટ થયા. એમની સ્તુતિ કરતાં ભગવતી પાર્વતીએ કહ્યું- ' સ્તૌમિ ત્વામેવ તેનેશ પુત્રદુખેન દુ:ખિતા । વ્રતે ભવદ્વિધં પુત્રં લબ્ધુમિચ્છામિ સાંપ્રતમ્ ।। પુત્રના અભાવથી દુ:ખી થયેલી હું તમારી સ્તુતિ કરું છું. આ વ્રતથી હું આપના સમાન પુત્ર માંગુ છું, એમના વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીકૃષ્ણે એમના એમને અભીષ્ટ વરદાન આપ્યું અને અંતર્ધાન થઈ ગયા.

થોડા સમય બાદ એક વૃદ્ધ ભૂખ્યા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ભગવાન શ્રીકૃષ્ણ એમના દ્વારે આવીને ઉભા રહ્યા અને અન્નપૂર્ણા પાસે ભોજન માંગવા લાગ્યા- હે ભગવતી મને એટલું ભોજન આપો કે હું કૃશોદર મટી 'લંબોદર' થઈ જાઉં ! અંદર ઉતરી ગયેલું મારું પેટ બહાર આવીને ગાગર જેવું મોટું થઈ જાય. અન્નપૂર્ણા પાર્વતીએ એમને પુષ્કળ ભોજન આપ્યું. એ આરોગીને તે અંતર્ધાન થઈ ગયા. એ વખતે આકાશવાણી થઈ- હે પાર્વતી ! તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો તે તમારા ઘરમાં પ્રકટ થઈ ગયા છે ! ગણેશના રૂપમાં પ્રત્યેક કલ્પમાં ભગવાન શ્રીકૃષ્ણ તમારા ત્યાં અવતરિત થતા રહેશે.'

ભગવાન શંકર અને પાર્વતીએ અંદર જઈને જોયું તો એક અત્યંત દૈદીપ્યમાન શિશુ એમના પલંગ પર રમી રહ્યું છે ! ભગવાન શંકરે એના બળ-પરાક્રમ અને બુદ્ધિને જોઈને એને પોતાના પ્રમથ વગેરે ગણોનું આધિપત્ય આપ્યું. એ કારણે એ' ગણપતિ' અને 'ગણેશ' નામથી ઓળખાવા લાગ્યા. ગણેશ'વિઘ્નહર્તા' બન્યા.

જેમ ભગવાન શ્રીકૃષ્ણની નામોચ્ચારણથી બધા સંક્ટ દૂર થાય છે તે જ રીતે ભગવાન શ્રી ગણેશના નામોચ્ચારણથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં કહેવાયું છે-' ગણેશપૂજને વિઘ્નં નિર્મૂલ જગતાં ભવેત્ । નિર્વ્યાધિ: સૂર્યપૂજાયાં શુચિ: શ્રી વિષ્ણુપૂજને ।। કોઈપણ કાર્યના આરંભમાં ભગવાન ગણેશજીની પૂજા કરવાથી સંસારના વિઘ્ન જડમૂળથી દૂર થઈ જાય છે. સૂર્યની પૂજાથી શરીરના રોગ દૂર થઈ જાય છે અને ભગવાન વિષ્ણુની પૂજાથી બહાર અને અંદર પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે.

વેદમંત્રના ઉચ્ચારણ પૂર્વે 'ઁ (ઓમ)નું ઉચ્ચારણ કરવું જરૂરી છે. એ રીતે ધાર્મિક ગ્રંથો અને ક્રિયાકાંડોના આરંભમાં ગણેશનું નામસ્મરણ કરવું જરૂરી ગણાવ્યું છે. ગણેશપુરાણ કહે છે કે શ્રી ગણેશ ઓંકારરૂપ છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે' આ કામના શ્રીગણેશ થઈ ગયા છે' ત્યારે એનો અર્થ એ જ થાય છે કે' આ કામનો આરંભ થઈ ગયો છે.'

પશ્ચિમમાં રોમનોના દેવતા'જેનસ'નું નામ 'ગણેશ'ના જેવું જ છે. વિશ્વકોષોમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રાચીન કાળમાં જ્યારે પણ ઇટાલિયન કે રોમન લોકો પૂજા કરતા હતા તે 'જેનસ' દેવતાનું સ્મરણ અને પૂજન સૌથી પહેલાં કરતા હતા.' ગણેશ'નું નામ જ થોડું રૂપાંતરિત થઈ 'જેનસ' બન્યું એમ વિદ્વાનો માને છે, અઢારમી સદીના સંસ્કૃતના વિદ્વાન વિલિયમ જોન્સ કહે છે-' જેટલી વિશેષતા શ્રી ગણેશમાં જોવા મળે છે. એટલી જેનસમાં પણ દેખાય છે. ' આપણી પુરાણકથા યુરોપમાં પહોંચી અને ત્યાં પણ ગણેશની જેમ જેનસ પહેલા જ રહ્યા. એવું કહેવાય છે કે અંગ્રેજી મહિનો' જાન્યુઆરી' 'જેનસ'ના નામ પરથી જ બન્યો છે. ગણેશ ઊર્ફે જેનસ પરથી બનેલો 'જાન્યુઆરી' પણ વર્ષનો આરંભનો પહેલો મહિનો જ છે ! આમ, ગણેશનો મહિમા દેશ- વિદેશ સર્વત્ર ફેલાયેલો છે.

Tags :