Get The App

સુખ અને દુઃખનું મિશ્રણ એનું જ નામ સંસાર .

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
સુખ અને દુઃખનું મિશ્રણ એનું જ નામ સંસાર                        . 1 - image

- જન્મ લીધા પછી માનવને ત્રણ મિત્રો સાથે મિત્રતા બંધાય છે. એમાનો એક મિત્ર છે ધનરાજ એટલે ધન. બીજો મિત્ર છે સ્નેહલ એટલે સગા-સંબધીઓ. ત્રીજા નંબરનો મિત્ર છે ધર્મપાલ એટલે ધર્મ

ભગવાને આ સંસારની રચના જ એવા પ્રકારની કરી છે કે કોઈ સંપૂર્ણ સુખી હોતું જ નથી. જ્યારે ભગવાને સ્વર્ગ બનાવ્યું ત્યારે એમાં સુખ મુક્યુ જ્યારે નર્ક બનાવ્યું ત્યારે એમાં દુઃખ ભર્યું. એક સંસાર જ એવો બનાવ્યો કે એમાં સુખ-દુઃખ બંને જોડા-જોડ મુક્યા. દુઃખ વીના માનવીને સુખની સાચી કિંમત સમજાતી નથી. રોજ મેવા મીઠાઈઓ ખાનારાને ભોજનનો સાચો સ્વાદ આપતો નથી. ભોજનની સાચી મજા માણવી હોય તો પહેલા ભૂખનું દુઃખ વેઠવું પડે. શાસ્ત્રકારોએ દુઃખના ત્રણ પ્રકાર પાડયા છે. આધિ-વ્યાધિને ઉપાધિ આ ત્રણ દુઃખમાનું એકાદુ દુઃખ તો દરેકને વળગ્યું જ હશે. આધિ દુઃખ એટલે અકસ્માતથી દુઃખ આપણે રસ્તે ચાલ્યા જતા હોઈએ અને ઉપરથી છાપરાનું નેવું પડે કે કેળાની છાલ પર પગ પડતાં લપસી પડાય અને પગ ભાંગે આને કહે છે 'આધિ' દુઃખ 'વ્યાધિ' એટલે શરીરના દુઃખો તાવ, કફ, ક્ષય, કેન્સર, લકવો આવા રોગો જે શરીરમાં ઘર ઘાલી બેઠા હોય એને કહે છે 'વ્યાધિ' દુઃખ. હવે આવે છે ઉપાધિનું દુઃખ. ઉપાધિનું દુઃખ એટલે હાથે કરીને વહોરેલું દુઃખ. આધિ-વ્યાધિ એ બે દુઃખથી તો ઘણા બાકાત હશે પણ આ ઉપાધિના દુઃખથી તો કોઈ બાકાત નહી હોય. અત્યારે તો બધાય બૂમો મારે છે. મહારાજ! પૂરું થતું નથી.  જે મળે તે હૈયાવરાળ જ કાઢતા હોય છે. આ છે હાથે કરીને વહોરેલું દુઃખ. હાથમાં શ્રીફળ લઈને લીલે તોરણે ન ગયા હોત તો આ ઉપાધિનું દુઃખ ન આવત. સંસારની પ્રત્યેક વ્યક્તિ ફાંફાં મારે છે સુખ માટે ને એને મળે છે દુઃખ. માણસ નિરાંતની જીંદગી જીવવા માટે જ પરણે છે. પણ પરણ્યા પછી ઝાંઝવાના જળની જેમ એના સુખના સ્વપ્નો અદ્રશ્ય થઈ જાય છે. પરણ્યા પછી જ્યારે અનુભવ થાય કે આ સ્ત્રી સાથે આપણા સ્વભાવનો મેળ નહીં બેસે. બસ આ દુઃખ ક્યાંથી સ્ત્રી-પુરુષને સ્વભાવ મળતો ન આવે તો કોઈને સંતાન ન થયાનું દુઃખ. સ્ત્રીનો સ્વભાવ અનુકૂળ હોય, સંતાન પણ હોય ત્યારે દિકરો એવો 'સેમ્પલ' પાકે કે કાયમ માટે એના નામની હૈયાહોળી જ હોય કદાચ સંતાન સંસ્કારી નીવડયો તો ઘરમાં બેકારી આંટાફેરા કરતી હોય. ટૂંકમાં સર્વ વાતે સુખી તો કોઈ વીરલા જ હોય છે. આ જગતમાં જન્મ લીધા પછી માનવને ત્રણ મિત્રો સાથે મિત્રતા બંધાય છે. એમાનો એક મિત્ર છે. ધનરાજ ધનરાજ એટલે ધન. માનવ જ્યારે સમજણની શેરીમાં પ્રવેશે છે ત્યારથી ધન સાથે વધુ ને વધુ મિત્ર સાચો સંબંધ બાંધે છે. નાનુ બાળક હોય તો પણ એનાં ગજવામાં થોડા બે-ચાર પૈસા કે રૂપિયા મળવાના દિનપ્રતિદિન માનવ આ ધનરૂપી મિત્રો સાથે વધુ સંબંધ બાંધતો જાય છે. ધન સાથેની મિત્રતા એટલી ગાઢ બની જાય છે કે પ્રત્યેક પ્રસંગે આ ધન-રૂપી મિત્ર સાથે રહેવાનો. આ મિત્ર ગજવામાં હોય તોય કેટલી બધી હૂંફ રહે છે. કેટલાંક તો એના પર મહાર બાંધી અક્કડ થઈને ફક્કડ બનીને ફરે છે. માનવીનો બીજો મિત્ર છે સ્નેહલ, સ્નેહલ એટલે સગા-સંબધીઓ. પહેલા માનવી ધન પાછળ ચોવીસે કલાક રચ્યો પચ્યો રહે છે. જ્યારે એમાંથી નવરાશ મળે ત્યારે તે બીજા નંબરના મિત્રને મળે છે. સગા સંબંધીને મળવા જતાય સાથે ધન-રૂપી મિત્ર તો ખરોજ. ત્રીજા નંબરનો મિત્ર છે. ધર્મપાલ. ધર્મપાલ એટલે ધર્મ. હાલનાં યુગમાં આખા જીવન દરમ્યાન માનવ ઓછામાં ઓછો સંબંધ ધર્મ સાથે રાખે છે. વૈરાગી 'વંશન વારસદાર' ભતૃહરીએ એક શ્લોકમાં કહ્યું છે, ''ચલા લક્ષ્મી ચલા પ્રાણા, ચલા જીવિત યૌવન! ચલાચલે ચ સંસારે, ધર્મ એકો હિ નિચ્છલઃાા'' માનવનાં ત્રણ મિત્રોની પરિક્ષા તો અંતકાળે જ થાય છે. યમના દૂતો આવીને જ્યારે માનવનો ટોટો પીસે છે ત્યારે માનવનો ધનરૂપી જિગરજાન દોસ્ત સૌથી પ્રથમ અળગો થઈ જવાનો જેને માટે માનવે આખી જિંદગી ખર્ચી નાખી. એ ધન અંત સમયે અળગુ થઈ જવાનું કાળા-ધોળા માનવી પોતાની અઢળક લક્ષ્મી સામે લોલુપ નજરે જોઈ રહે છે ત્યારે ધન ચોખ્ખુ સંભળાવી દે છે. 'તું તારેજા તારું ત્યાં કામ નહીં'', સાંભળી માનવ અવાક બની જાય છે પછી આ યમદૂતોથી બચવા તે પોતાના સગાવહાલારૂપી મિત્રો તરફ નજર નાખે છે. પણ એ લોકો પણ મૌનવાણીરૂપીથી જાણે કહેતા હોય છે કે, તું જે કોર્ટમાં જઈ રહ્યો છે ત્યાં અમારું કંઈ ન ચાલે. 'મારો, મારો...' કહીને જીભ સૂકવી નાખનારા સગાવહાલા આ દેહપિંજરમાંથી પ્રાણ પંખેરુ ઉડયા પછી પરભાર્યા બની જશે. જ્યારે બેઉ મિત્રો હાથ ઊંચા કરી અળગા થઈ જશે ત્યારે ધર્મરૂપી મિત્ર માનવીની મદદે આવશે. રામના દરબારના એ સાચી સાક્ષી પૂરશે એ વખતે સાચા હૃદયથી કરેલાં સત્કાર્યો હશે તે ઊગી નીકળશે. ધન-સગા સંબંધીઓ તો અહીંના અહીં જ રહેશે. માત્ર ધન જ ઠેઠ સુધીનો સંગાથ કરશે. માટે પહેલા બે પહેલા ને વહેલા બે મિત્રો ને ઓળખી લેજો અને તેમની સાથે માત્ર ખપ પૂરતો જ સંબધ રાખજો. ધર્મરૂપી મિત્રની રોજ-બરોજને વધુ સંપર્ક રાખજો. એ જ માનવમિત્રનો સાચો મિત્ર છે.

- ચેતન ત્રિવેદી