Get The App

શરીરના બે મહત્વના અંગ : અંતઃકરણ જીભ

Updated: Feb 23rd, 2022

GS TEAM


Google News
Google News
શરીરના બે મહત્વના અંગ : અંતઃકરણ જીભ 1 - image


- માણસની વાણી મીઠાશયુક્ત અને અંલકારિક હોય તો જ એ એને પોતાને અને સાંભળનારને શાતા આપે છે

આ મ તો આપણા શરીરમાં કેટલા અંગો છે એની આપણને સૌને ખબર છે. કયું અંગ શું કામ કરે છે એની પણ ખબર છે. પણ, અહીં જે વાત કરવી છે તે અંગ છે જીભ. અને બીજુ છે અંતઃકરણ. મતલબ આત્મા. આત્મા અંગ ન હોવા છતાં બોલાય છે વધારે ને જીભનું તો કામ જ છે બોલવાનું. જીભ દૃશ્યમાન છે જ્યારે આત્મા તો અદૃશ્ય છે. દેખાતો નથી પણ સતત એની હાજરી વરતાતી હોય છે. સામાન્ય રીતે આપણી છાતીમાં જે ધક ધક થાય છે એને આપણે આત્મા સમજી લઈએ છીએ પણ હકીકતમાં  તે છે નહીં. આત્માને તો અમર પણ કહ્યો છે. તે ક્યાંથી આવ્યો છે ને ક્યાં જાય છે. આજદિન લગી કોઈ નથી જાણી શક્યું. કોઈનો આત્મા કોઈ દિવસ ખોટો નથી હોતો. માણસ એના અવાજને દાબી દેતો હોય છે.

જીભ નામનું અંગ તો સવારે આપણા ઉઠતાંની સાથે જ કામે લાગી જાય છે. મુખ્ય એનું કામ બોલવાનું જ હોય છે. બોલવાનું તો બાળકને પણ આવડે છે. જ્યારે મોટાભાગના લોકો મરવાથી પાંચ-દશ વર્ષ દૂર હોય તો પણ બોલતા નથી સીખતા. બોલવું અને બકવાસ કરવો આ બંને બાબતો આખી અલગ જ હોય છે. એટલે જ આપણે ત્યાં બબળાટ અને લવરી શબ્દોનો જન્મ થયો છે.

જે માણસો અંદરથી ખોખલાને ઘૂંઘવાયેલા હોય છે એવા ઘણા સુખી સંપન્ન લોકો આ બબળાટ અને લવરીના કારણે પોતાને જ્ઞાાની પ્રસ્થાપિત કરવાના ધમપછાડા કરતા હોય છે. પોતાના વ્યવસાય, પદ અને પ્રતિષ્ઠાને અનુરૂપ બોલવામાં ઘણા લોકો થાપ ખાઈ જાય છે. ઘણા ઇર્ષાળુઓ, દંભીઓ, ઘમંડીઓ જીભનો ઉપયોગ બોલવા કરતાં બીજાને સંભળાવવામાં વધારે કરતાં હોય છે.

જીભ અંગ વિશે બહુ બધું કહેવાયું છે. જીભ ઝેર છે, અમૃત છે, જીભ તારે, જીભ મારે, જીભ માર ખવડાવે. જીભ હોવા છતાં કેટલાય લોકોને બોલતાં, વાત કરતાં બિલકુલ નથી આવડતું હોતું. આડે પાટે અને અવળે પાટે ચઢતાં લોકોને જરાય વાર નથી લાગતી. અનાપશનાપ એલફેલ બોલનાર માણસ પોતે માનસિક રીતે બિમાર છે. એ સાબિત કરતો હોય છે. માણસની વાણી મીઠાશયુક્ત અને અંલકારિક હોય તો જ એ એને પોતાને અને સાંભળનારને શાતા આપે છે. હસવાનું, રડવાનું, ઉપર લઈ જવાનું, નીચે પડવાનું વેર બાંધવાનું આ દરેક કામ જીભ જ કરતી હોય છે. માટે જીભને જીતે છે તે જગત જીતે છે. યાદ રાખો કે ન બોલાયેલા શબ્દોના આપણે માલિક છીએ. આપણી લૂલીને વશમાં રાખવી જ પડશે. દાદીબા કહેતા કે ગમે તે ખવાય પણ ગમે તેમ બોલાય કેમ ?

આપણા આત્મા નામના અંગને જીભ નથી તોય બોલે છે. આત્મા બોલતો નથી તોય સંભળાતો હોય છે. આત્મા જયારે ચૂપ હોય ત્યારે વધારે સંભળાય છે. આત્માને માઠું પણ લાગતું હોય છે ને આત્માને ઠેસ પણ પહોંચે છે. આત્મા પ્રસન્ન પણ થાય છે ને આત્માને દુઃખ પણ પહોંચે છે. અને નવાઈની વાત તો એ છે કે આ બધુ જીભના કારણે જ થતું હોય છે.

આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે મને બોલતા આવડે છે ખરું ? જાતને એ પણ પૂછવાની જરૂર છે કે મારો તથા બીજાનો આત્મા પ્રસન્ન, ખુશ અને આનંદિત રાખતાં હું શીખ્યો છું ખરો ? આ બંનેનો જવાબ તમારા આત્મામાં જ છે. જીભ પણ આત્માનું કહ્યું જ માને છે. ને આત્મા જીભને કારણે જ દુઃખી થાય છે.

- દિલીપ રાવલ

Tags :