''વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉ પટંતરો એ જ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.''
ભક્ત કવિ નરસૈયાએ વૃક્ષના સૂક્ષ્મ બીજમાં ભક્તિ થકી ભગવાન ભાળ્યા-જિન્હે કેં રહી ભાવના જૈસી, પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી. વાત તદ્દન સાચી છે. અશ્વત્થ:સર્વ વૃક્ષાણામ્-તમામ વૃક્ષોમાંહું પીપળો છું, એમ કહી સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન સાક્ષી પૂરે છે. (ગીતા-અધ્યાય:૧૦શ્લોક:૨૬) આજે આવાં જ શાસ્ત્રોક્ત વૃક્ષો-વનસ્પતિ જગતની માંડીને વાત કરવી છે.
સત્ય નારાયણ કથાથી શુભારંભ કરીએ. કેળના પાનની છત્રછાયા વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ માટે ૧૦૦૧ તુલસીપત્રોની વધામણી થાય છે. ચોખ્ખા ઘીના શીરામાં તુલસીપત્ર પડે કે તુરત એ મહાપ્રસાદ થઈ જાય.
તુલસીશ્યામ-તુલસી વિવાહ - સતીવૃંદા અને જલંધર-વૃંદાવન માનસપટ પર છવાઈ જાય. જ્યાં તુલસીક્યારો ત્યાં મોહનપ્યારો.
હોમ-હવન-યજ્ઞાો તો આપણી વેદોક્ત પ્રાચીન ઋષિ પરંપરા છે. સમિધ-સામગ્રીમાં અરણી, ધ્રોકડ, ખીજડો, વડ, પીપર, બીલી, પીપળો, ઉમરો, અધેડો, ખેર, ખાખરો, આકડો, સેવન, બદરી અને દર્ભનો સમાવેશ થાય - શ્રી કૃષ્ણ હોમાયા પછી પૂર્ણાહૂતિ થાય. નાળિયેરી તો ધરતી ઉપરતું કલ્પવૃક્ષ છે. તમામ દેવી-દેવતાઓ સમક્ષ શ્રીફળ વધેરવાથી ઉભયપક્ષે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તમામ શુભ પ્રસંગોમાં શ્રીફળની હાજરી અનિવાર્ય છે.
બોર શબ્દથી શબરી તાદૃશ થાય. વેદ વ્યાસજીનું મૂળ નામ શ્રીકૃષ્ણ બાદરાયણ છે. બોરડીના વનમાં જન્મ્યા માટે. ૧૪ વર્ષના વનવાસમાં પંચવટી રહેઠાણ બની-ત્યાંના કુલ ૨૫ (પચીસ) વૃક્ષોનાં નામ શ્રી રામચંદ્રે જાતે ગણાવી વૃક્ષોનું બહુમાન કર્યું છે. (વાલ્મીકિ રામાયણ-અરણ્યકાન્ડ સર્ગ-૧૫ પાન-૩૯૨) અશોકવાટિકામાં જ્યાં સીતાજી જે વૃક્ષ નીચે બેસતાં તે શિંશપાવૃક્ષ હતું. (વાલ્મીકિ રામાયણ - પૃષ્ઠ:૭૫૧)
વિશાળે જગ વિસ્તારે,
નથી એક માનવી;
પશુ છે પંખી છે પુષ્પો,
વનોની છે વનસ્પતિ.
શ્રાવણમાં બિલીની બોલબાલા બધે બોલાય. બિલ્વવૃક્ષ પ્રયચ્છામિ-એક બિલ્વં શિવાપર્ણમ્ - મૃગીકુંડ - શિકારી ગૃહ - નાગાબાવા - રવેડી - શિવરાત્રિ - તાજાં થાય. ગરવા ગિરનારની ભવનાથ તળેટી બસ એક જ નાદથી ગુંજી ઊંઠે : હરહર મહાદેવ, હર હર મહાદેવ!! મા બાલાસુંદરી બહુચરમાં પ્રગટ થયાં તે વખડો હજીયે અડીખમ હાજરા હજૂર છે.
દીવાળીમાં આસોપાલવમાં તોરણો ઘેર ઘેર બંધાય. વસંતઋતુની આમ્રમંજરી ખેતરે ખેતરે સુગંધનાં વાવેતર કરે. ઉમરાને ફૂલ બેઠા વગર સીધાં જ ફળ બેસે અને આખા વરસમાં એક જ વખત એક જ ફૂલ બેસે જેને ''ગૂલર'' કહેવાય, જેને મળી જાય એ ધનવાન બની જાય. ગોપીઓનાં ચીરહરણ કરી પેલો કાનુડો કદંબ વૃક્ષ પર ચડી વાંસળી વગાડે ને સૌ મલકાય. ચંદનની ધૂપસળીને જૈનોએ જગવંદન બનાવી. જય જિનેન્દ્ર. બોધિવૃક્ષ ગૌતમ બુદ્ધ ભગવાન માટે જ્ઞાનવૃક્ષ બન્યું : બુદ્ધં શરણમ્ ગચ્છામિ - ગાંધીનગર પાસે રૂપાલ ગામમાં વરદાયિનીમાં પાંડવો માટે સંજીવની બન્યાં. ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો મૂકી ગુપ્ત વનવાસ પૂરો કર્યો તો લક્ષ્મણજીને મૂર્ચ્છા આવી તો હનુમાનજીએ સંજીવની લાવી જીવનદાન આપ્યું. રામલક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાનકી.
સમુદ્રમંથનમાં પ્રગટેલ પારિજાત વૃક્ષ રૂકિમણીજી માટે લાવવા કૃષ્ણે યુદ્ધ પણ વહોરી લીધું. પારિજાતનાં પુષ્પો સૌને ગમે. પીપળો અને વડ તો ભારતીય નારીઓના અનેક વ્રતોમાં પૂજનીય અને દર્શનીય બની જાય છે. કબીરવડ તો સ્વયં તીર્થ છે. શુક્લતીર્થ યાત્રાનો સ્તંભ છે. એક વાર તો કબીરવડ જુઓ - સુખને એક અવસર તો આપો !! સાગ-શીશમના ઢોલિયા ઢળાવું - કહી હરિસ્વાગત થાય તો સેવન-વૃક્ષન લાકડામાંથી મૂર્તિઓ બની ઠેરે ઠેર પૂજાય-સીતાફળ - રામફળથી પ્રભુ સ્મરણ થાય. જય સીયારામ.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા - થી રોમ રોમ રોમાંચિત થઈ રીચાર્જ થઈ જાય. આકડાનું પાન ઔષધ બને તો મ્હેંદી વગર નવોઢા કોયલ વગરની વસંત બની જાય. દુર્વા-ધરોથી ગણપતિ પૂજાય, નાગરવેલનાં પાન શુભ શુકન ગણાય, દાભ વગર અંતિમ ક્રિયા અધૂરી ગણાય, શેરડી વગર ઉત્તરાયણ ફીકી લાગે, કેસરની ટસરે સુવાસ પ્રસરે ને કેશવજી રીઝી જાય, પીપળપાન ખરંતાં... થી સંસાર અસારનું જ્ઞાન થઈ જાય - એવાં સૌ વનસ્પતિનાં પાન જીવનભાન કરાવી જાય. કે એક તરણું કોળ્યું ન તમે યાદ આવ્યા.. જાણે મોસમનો પહેલો વરસાદ..
''આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના;
ફૂલો એ બીજું કૈ નથી, પગલાં વસંતનાં.''
વિષ્ણુ ભગવાનના નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટયા એ કમળફૂલનો નાળ સંબંધ છે. જાસૂદના ફૂલથી ગણપતિ રીઝે ને હનુમાનજી રાજી થાય.. ને નાસે રોગ હરે સબ પીરા-સાર્થક થાય. કેસૂડાં વગર ધૂળેટી અધૂરી ગણાય. કેવડાત્રીજે કેવડાના પુષ્પનાં માન-સન્માન વધી જાય -મહાલક્ષ્મીજી તો સ્વયં કરકમલિની છે તો મહાસરસ્વતીજી... યા શ્વેત પદ્માસના છે. ભાંગના શોખીન બમબમ ભોલે ધતૂરાના ફૂલથી ય માની જાય.. ઁ નમ : શિવાય. વૃક્ષો ઊભા સંતો છે, સહન-શક્તિની પરાકાષ્ટા છે, એકાદ વૃક્ષની દોસ્તી કરી જુઓ... જુઓ પછી તમારા જીવનમાં વસંત છે. અનાયાસે જ બોલી જવાય છે :
''ડાળીએ ડાળીએ ડાંડિયા રાસ ને પાંદડે પાંદડે પુરુષોત્તમ;
કળીએ કળીએ કમળાપતિ ને પુષ્પે પુષ્પે પરમેશ્વર.'' આવજો એક વૃક્ષ વાવજો.
- પી.એમ. પરમાર


