Get The App

પ્રભુ ઈસુનું પુનરુત્થાન એક વાસ્તવિક સત્ય ઘટના

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
પ્રભુ ઈસુનું પુનરુત્થાન એક વાસ્તવિક સત્ય ઘટના 1 - image


"The Resurrection of Lord Jesus Christ is a Historical Event"

પ્રભુ ઈસુનું પુનરુત્થાન એ ખ્રિસ્તી ધર્મની પાયારૂપ ઐતિહાસિક બનાવ - ઘટના છે. જો કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા નથી એવું સાબિત કરે તો ખ્રિસ્તી ધર્મ એક ઈમારતની માફક કડડભૂસ કરતો તૂટી પડે. આજ સુધી કેટલાકે પ્રભુ ઈસુના પુનરુત્થાનને ખોટું સાબિત કરવા પ્રયત્ન કર્યા છે. તેઓ સર્વ હારી ગયા છે. છેવટે તેમણે કબૂલ કર્યું છે કે ઈસુ ખ્રિસ્ત માનવજાતના ઉદ્વાર-તારણ માટે પોતાનું ઈશ્વરત્વ છોડી મનુષ્ય બની આ પૃથ્વી ઉપર આવ્યા. મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થયા છે. એ ઐતિહાસિક બનાવ છે. તેઓએ કબુલ કર્યું છે કે અમે હારી ગયા છે અને ઈસુ ખ્રિસ્ત હવે અમારા મુક્તિદાતા-તારણહાર બન્યા છે. તેવી કબુલાત તેઓએ કરી છે. કેવી અદ્દભુત સાક્ષી !!!

પવિત્રશાસ્ત્ર બાઈબલમાં ૧૦૪-એકસો અને ચાર વખત પ્રભુ ઈસુના પુનરુત્થાનની વાત કરવામાં આવી છે.

ખુદ પ્રભુ ઈસુએ વારંવાર કહ્યું હતું કે હું વધસ્તંભ પર મૃત્યુ પામીશ અને ત્રીજા દિવસે ફરી સજીવન થઈશ.

પ્રભુ ઈસુએ યહુદી અધિકારીઓને સંબોધીને કહ્યું, તમે આ શરીદ્ધરૂપી મંદિરને પાડી નાખો અને હું ત્રીજા દિવસે તેને ફરી ઊભું કરીશ.

પ્રભુ ઈસુએ તેમના મૃત્યુમાંથી સજીવન થવા સંબંધી અનેકવાર જાહેરાત કરેલી. જેથી તેમના મૃત્યુ બાદ તેમની કબર ઉપર રોમન સૈનિકોનો ત્રણ દિવસ સુધી ભારે જાપ્તો મુકવામાં આવ્યો હતો. છતાં ત્રીજા દિવસે વહેલી સવારે મોટો ધરતીકંપ થયો અને કબર ખુલી ગઈ અને ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થઈ બહાર આવ્યા.

વાચકમિત્રો, દુનિયામાં દરેક ધર્મના સ્થાપકો મૃત્યુ પામ્યા છે અને તેઓ પંચતત્ત્વ પામ્યા. પરંતુ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મૃત્યુમાંથી ત્રીજા દિવસે સજીવન થયા છે. કેવું અદ્દભુત !!! મિત્રો, જો પ્રભુ ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા ના હોત તો માનવજાતની સ્થિતિ આજે પણ દયાજનક હોત. પ્રભુ ઈસુએ વારંવાર કહ્યું હતું કે હું વધસ્તંભ ઉપર મૃત્યુ પામીશ અને ત્રીજા દિવસે સજીવન થઈશ.

યહુદી રીત પ્રમાણે જે સ્ત્રીઓ પ્રભુ ઈસુના મૃતદેહને સુગંધી દ્રવ્યો લગાવવા ગઈ હતી તેઓએ કબરને ખુલ્લી થયેલી અને પથ્થર ગબડાવી દીધેલો જોયો. તેઓ ઈસુના શબને કબરમાં શોધતી હતી, ત્યાં જ સ્વર્ગદૂતોએ તે સ્ત્રીઓને કહ્યું, તમે મુએલામાં જીવતાને કેમ શોધો છો ? તે તેમના કહ્યા મુજબ સજીવન થયા છે. તમે જઈને તેમના શિષ્યોને કહો કે તે મરણમાંથી સજીવન થયા છે અને તેઓને તે ગાલીલમાં મળશે.

પ્રભુ ઈસુએ શિષ્યો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે માણસનો દિકરો પાપીઓના હાથમાં જશે, તેઓ તેને પરસ્વાધીન કરશે, તેને વધસ્તંભે મારી નાખશે, પરંતુ ત્રીજા દિવસે તે ફરીથી સજીવન થશે.

પ્રભુ ઈસુએ મૃત્યુમાંથી સજીવન થયા બાદ શિષ્યો સાથે ભોજન લીધું. તેમના હાથપગના ઘા શિષ્યોને બતાવ્યા, પરંતુ થોમાં જે પ્રભુ ઈસુનો શિષ્ય હતો એ અવિશ્વાસુ હતો. તેણે કહ્યું, જ્યાં સુધી તેમના હાથ-પગમાં ખીલાના વેહ ના જોઉં, તેમની કૂખમાં મારો હાથ ન નાખું ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી.

બીજીવાર થોમા શિષ્યો સાથે હાજર હતો ત્યાં બંધ બારણે પ્રભુ ઈસુ શિષ્યોને દર્શન આપે છે અને થોમાને કહે છે, મારી કૂખમાં તારો હાથ નાખ અને મારા ઘા જો. અવિશ્વાસુ ન રહે પણ વિશ્વાસી થા. થોમા પ્રભુ ઈસુને જોતાં જ એકદમ પોકારી ઉઠે છે, મારા પ્રભુ મારા ઈશ્વર અને થોમા પ્રભુ ઈસુને પ્રભુ અને ઈશ્વર તરીકે જાહેર કરે છે. ઈસુ તેને કહે છે, તેં જોયો અને વિશ્વાસ કર્યો છે, પરંતુ જેઓએ મને જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે અને થોમા મિશનરી તરીકે દક્ષિણ ભારતમાં આવ્યો. પરિણામે દક્ષિણ ભારતમાં કેરાલા-મદ્રાસમાં ખ્રિસ્તીઓની વસ્તી વધુ છે.

સંત પાઉલ જણાવે છે કે પ્રભુ ઈસુએ સજીવન થયા બાદ એકસાથે ૫૦૦ કરતાં વધુ લોકોને દર્શન દીધા છે. મૃત્યુમાંથી સજીવન થયા બાદ પ્રભુ ઈસુ શિષ્યોને અને લોકોને વિશ્વાસમાં દ્રઢ કરતા રહ્યા. સ્તેફન તેના મૃત્યુ પ્રસંગે આકાશ ખુલ્લુ થયેલું તથા ઈશ્વરપુત્રને ઈશ્વરપિતાના જમણે હાથે બેઠેલા જોયા. શાઉલ જે કટ્ટર ખ્રિસ્તવિરોધી હતો, જેણે ખ્રિસ્તીઓની મોટી કતલ કરેલી અને મંડળીની ભારે સતાવણી કરેલી તેને દમસ્કના રસ્તા ઉપર ઉત્થાન પામેલા ઈસુના દર્શન થાય છે અને તેનું જીવન એકદમ બદલાઈ ગયું. કટ્ટર ખ્રિસ્તવિરોધી, મંડળી તોડનાર હવે મંડળી બાંધનાર અને સતાવણી કરનાર હવે સહન કરનાર બન્યો. પ્રભુએ તેની મારફતે મહાન કામો-મહાન ચમત્કારો કર્યા અને રોમમાં તેઓ પ્રભુ માટે શહીદ થયા.

વાચકમિત્રો, એ ઈસુ આજથી બે હજાર વર્ષ પૂર્વે તારનાર-મુક્તિદાતા તરીકે આવ્યા, પરંતુ બીજાવાર બહુ જલ્દીથી પાછા આવી રહ્યા છે. ત્યારે તારનાર કે મુક્તિદાતા તરીકે નહિં પરંતુ મહાન ન્યાયાધીશ અદ્દલ ઈનસાફી તરીકે આવી રહ્યા છે. આપણ દરેકને તેમના ન્યાયાસન આગળ ઉભા રહેવું પડશે. પૃથ્વી ઉપરના આપણા જીવન દરમ્યાન કરેલા કાર્યોનો આપણે હિસાબ આપવો પડશે અને પૃથ્વી ઉપરના જીવન દરમ્યાન જેઓએ તેમને તારનાર-મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યો હશે તેમને તેમના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે. તેઓને મહિમાવંત સ્થાને બેસાડીને તેમને સદાકાળ તેમની સાથે રાજ્ય કરશે અને જેઓએ સ્વીકાર કર્યો નથી તેઓ સદાકાળના નરકમાં જશે. જેઓએ પ્રભુ ઈસુના નામ ઉપર વિશ્વાસ કર્યો છે, તેમના માટે કેવો મોટો આશીર્વાદ. હેપી ઈસ્ટર....

- પાસ્ટર સદ્દગુણ ક્રિસ્ટી

Tags :