આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિના વાહક ઋષિઓએ ગુફાઓમાં બેસીને કે હિમાચ્છાદિત જંગલોમાં તપ કર્યું છે. સતત ચિંતન કર્યું છે અને પરમાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે. વેદો અને ઉપનિષદો તથા મહાભારત, રામાયણ અને ગીતા જેવાં ઉમદા ગ્રંથો દ્વારા સમાજના ઉત્કર્ષ માટે જરૂરી સૂચનો કર્યા છે. 'પાકા ઘડે કાંઠલો નચડે' તેથી આવનારી પેઢી સંસ્કારી બને તે માટે એમણે આપેલા માર્ગદર્શનમાંથી એક મંત્ર :
આયુ: કર્મ ચ ચિતં ચ વિદ્યા નિધર્નમવ ચ ।
પશ્ચેતાન્પપિ સૃજન્તે ગર્ભસ્થસ્યૈવ દેહિન : ।।
(આયુ, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુની રચના ગર્ભમાં જ થઈ જાય છે)
લગ્ન જેવા પવિત્ર બંધનમાં જોડાવાના અનેક ઉદેશ્યોમાંનો એક યોગ્ય સંતાન પ્રાપ્ત કરવું. પોતાની પેઢી આગળ ચલાવવી, સંસ્કારવાન સંતાન સમાજના ચરણે ધરવું. જે પોતે સુખી થશે અને આપણને સુખી કરશે. સમાજની ચિંતા કરશે. રાષ્ટ્ર માટે સમર્પિત થવાની કામના કરશે.
દીકરો હોય કે દીકરીનો ઉછેર એક સમાન સમજીને કરવો. યોગ્ય વિદ્યા અભ્યાસ કરવાની તક આપવી. તેઓ સ્વતંત્ર રીતે આગળ વધે તે રીતે સગવડ કરી આપવી. પોતાના વિચારો તેમની ઉપર થોપવાના નથી. બાળકને મનગમતા વિષયમાં આગળ વધવા દેવાં.
સંસ્કાર ઘડતરમાં અધ્યાત્મ :
સુયોગ્ય સંતાન તૈયાર કરવું તે સાધના છે. તે માટે આપણે સંયમી બનવું. જ્યારે નવા બાળકને યોગ્ય રીતે ઉછેરવાની માનસિકતા કેળવાય પછી જ શરીર સુખ માણવું. કારણકે આપણે જાણીએ છીએ સંતાન પ્રાપ્તિ થાય ત્યાર પછી આપણી જવાબદારી અનેક ગણી વધી જાય છે.
સંતાન કેવું જન્મશે. તેનામાં કઈ શક્તિનો તથા કેવો ગુણો હશે એ બધી બાબતોનો આધાર (બલ્યુ પિન્ટ) સંતાન ગર્ભમાં આવતાં પહેલાંની માતા-પિતાની મન:સ્થિતિ તથા શારીરિક સ્થિતિ સાથે જોડાયેલ છે. આપણા ઋષિઓએ આ વાત મહાભારતમાં ધ્રૃતરાષ્ટ્ર (અંધ), પાંડવ (પાંડુરોગથી પીડિત) અને મહાનજ્ઞાાની વિદુરજીના જન્મની સ્થિતિનું વર્ણન કર્યું છે.
આપણે ત્યાં જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ ૧૬ સંસ્કારો સમજાવ્યા છે. તેમાં ખાસ ત્રણ સંસ્કારો ગર્ભસ્થ શિશુની કાળજી લેવા માટે છે.
૧. ગર્ભધાન સંસ્કાર (ગર્ભ સ્થાપના પહેલાં-પવિત્રીકરણ, માનસિક સ્વસ્થતા )
૨. પુંસવન સંસ્કાર (ગર્ભધારણાના ત્રીજા મહિને)
૩. સીમન્ત સંસ્કાર (ગર્ભધારણના સાતમા મહિને)
સંસ્કારમાં સમાયેલું વિજ્ઞાાન : શરીરના વિભિન્ન અંગોનું જીન્સ (જનિનત્વ) એન્જાઈમો (પાચક દ્રવ્ય) આધારીત હોય છે. આધુનિક વિજ્ઞાાને પ્રયોગો કર્યા છે. ચુંબકત્વ શક્તિના ઉપચારો દ્વારા 'એન્જાઈમા'ને પ્રભાવિત કરીને 'જીન્સ' ના વિકાસમાં મદદ કરી શકાય છે. પ્રાચીન ભારતમાં સુસંતતિ માટે તપ સાધનાના વિજ્ઞાાનનું પ્રયોજન હતું. જેના આધારે સંસ્કારવાન નવી પેઢી તૈયાર કરી શકાતી હતી.
હજુ પણ આપણાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને બાળકોના જન્મ પહેલાંથી જન્મે અને વિકસીત થાય ત્યાં સુધી માતા-પિતા યોગ્ય કાળજી રાખે તો સંસ્કારવાન સમાજનું નિર્માણ શક્ય છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


