જેમનો સ્વભાવ વિનીત- ઉદાર અને સુશીલ છે એમના ચરણોને લોકપ્રિયતા સદા ય ચૂમતી રહે છે
- અમૃતની અંજલિ આચાર્ય વિજયરાજરત્નસૂરિ
જીવનને સદ્ગુણસુવાસથી મધમધાયમાન બનાવતાં માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણોની ચિંતનયાત્રામાં આજે આપણે એક મુકામ ઓર આગળ જઈશું. એ મુકામ એટલે ઓગણત્રીશમો ગુણ. એના માટે 'યોગશાસ્ત્ર'માં શબ્દપ્રયોગ છે ' લોકવલ્લભ :' મતલબ કે માર્ગાનુસારી પુણ્યાત્મા લોકપ્રિય હોય.
જીવનને સદ્ગુણસુવાસથી મધમધાયમાન બનાવતાં માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણોની ચિંતનયાત્રામાં આજે આપણે એક મુકામ ઓર આગળ જઈશું. એ મુકામ એટલે ઓગણત્રીશમો ગુણ. એના માટે 'યોગશાસ્ત્ર'માં શબ્દપ્રયોગ છે ' લોકવલ્લભ :' મતલબ કે માર્ગાનુસારી પુણ્યાત્મા લોકપ્રિય હોય.
પ્રથમ દૃષ્ટિએ અહીં એ વિચારો સંભવી શકે : ' માર્ગાનુસારિતાની ચોત્રીશ બાબતો એવી છે કે જે સ્પષ્ટપણે ગુણવત્તા સાથે સંલગ્ન હોય. જ્યારે આ લોકપ્રિયતા તો બાહ્ય બાબત છે. એને ગુણરૃપે કેમ ગણી શકાય ? ઉપલક દૃષ્ટિએ આ બાબત ગુણોની હારમાળામાં બંધબેસતી નથી. ઉપરાંત લોકપ્રિયતા તો ફુગ્ગા જેવી છે. ફુગ્ગાને ફૂલતા વાર ન લાગે અને ફૂલ્યા પછી ફૂટી જતા ય વાર ન લાગે, એમ લોકપ્રિયતાનો જુવાળ સર્જાતા વાર ન લાગે તેમજ જુવાળ સર્જાયાબાદ એને ગમે ત્યારે ઓસરી જતા ય વાર ન લાગે.
ભારતીય ક્રિકેટવિશ્વની વાત ઉદાહરણરૃપે લઈએ તો ઇ.સ.૧૯૭૧માં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની ધરખમ ટીમ સામે શ્રેણી વિજય મેળવીને આવી ત્યારે વિદેશની ભૂમિ પર સર્વપ્રથમ વિજેતા બનનાર ટીમરૃપે ક્રિકેટરસિયાઓએ એનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. એ ટીમના કેપ્ટન અજિત વાડેકર જાણે કે વિભૂતિ બની ગયા. ત્રણ વર્ષ બાદ એ જ ટીમ ઇંગ્લેન્ડની ભૂમિ પર ભૂંડો પરાજ્ય પામીને પરત આવી ત્યારે ટીમ પર જૂતાં વરસ્યા. ખાસડાની એ વર્ષાથી ખિન્ન થઈને અજિત વાડેકરે કાયમી ક્રિકેટસંન્યાસ લઈ લીધો !! તો, લોકપ્રિયતા આવી ક્ષણભંગુર બાબત છે. એને માર્ગાનુસારિતાના ગુણોમાં સ્થાન કેમ ?'
આ વિચારોનું સમાધાન આ જ ગુણની સ્વોયજ્ઞાટીકા દ્વારા કરીએ. ટીકામાં કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યે 'લોકવલ્લભ' શબ્દનું અર્થઘટન આવું કર્યું છે કે ' લોકાનાં વિશિષ્ટજનાનાં વિનયાદિગુણૈ વલ્લભ : પ્રિય : ' સાર આ વચનનો એ છે કે જેઓ રમત- અભિનય વગેરેની ઘેલછાથી વ્યકિતને માથે ચડાવી દે યા પછાડી દે એવા લોકોનો અર્થાત્ ટોળાંશાહીનો નિર્દેશ ' લોકવલ્લભ'માંના લોક ' શબ્દથી લેવાનો નથી. ત્યાં 'લોક' શબ્દથી વિશિષ્ટ વ્યકિતનો નિર્દેશ છે. વિશિષ્ટ એટલે એવી વ્યકિત કે જેનામાં ગુણોની પરખ કરવાની ક્ષમતા હોય.
લોક એટલે કે આવી વિશિષ્ટ વ્યકિતઓનાં હૈયે જે મહાનુભાવ પોતાના વિનયાદિ ગુણવૈભવથી સ્થાન જમાવી દે- પ્રિય બની જાય તેને કહેવાય લોકવલ્લભ.. મા લોકવલ્લભતાનો આધાર લાગણીનો ઊભરો નથી, બલ્કે વિનયાદિ ગુણો છે. એથી સાર એ જ આવે કે લોકપ્રિયતા નામનો આ ઓગણત્રીશમો ગુણ માર્ગાનુસારી પુણ્યાત્માના ગુણવૈભવનો જ નિર્દેશક છે. ટીકાકાર ભગવંત આ જ મુદ્દા પર ભાર આપતા આગળ જણાવે છે કે ' કો હિ ગુણવત : પ્રતિ પ્રીત ન ભવતિ ?' ભાવાર્થ કે ગુણવાન વ્યકિત પ્રત્યે કોણ પ્રસન્ન-ખુશ ન થાય ? સહુ વિશિષ્ટ જનોને એ પ્રિય બને.
આ રીતની લોકપ્રિય વ્યકિત પાસે લોકપ્રિયતાના કારણરૃપ જે ગુણવૈભવ હોય એમાંના કેટલાક ગુણોની ઝલક નિહાળીએ :
૧) વિનયશીલતા : આ એક એવો ગુણ છે કે જે વ્યકિતના સમર્થકોને તો ઠીક, વિરોધીઓને પણ એના પ્રત્યે આદર પ્રગટાવે. પોતાનાથી ઉચ્ચ સ્થાને રહેલ વ્યકિત પ્રત્યે આદર-બહુમાન અભિવ્યક્ત કરવાની શ્રેષ્ઢ પદ્ધતિ આ વિનયશીલતા છે. ક્યારે ક્યાં કઈ રીતે આ વિનયશીલતા અપનાવવી એની સુઝ-બુઝ જેનામાં હોય એ વ્યકિત બહુ આસાનીથી સમજદાર વ્યકિઓનાં હૈયે સ્થાન જમાવી શકે. આ સંદર્ભમાં અમને યાદ આવે છે વર્તમાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સરસ પ્રસંગ :
એ જ્યારે ગુજરાતના મુખ્યમન્ત્રી હતા ત્યારે દાઉદી વહોરા સમાજના ધર્મગુરુની એક ધર્મસભામાં એમની ઉપસ્થિતિ હતી. આયોજકોએ એમના માટે અલગ વ્યવસ્થા કરી હતી. પરંતુ મોદીએ એ રીતે બેસવાનું ટાળ્યું અને દાઊદી વહોરા સમાજની સેંકડો વ્યકિતઓ જ્યાં બેસી હતી ત્યાં સરેરાશ વ્યકિતની જેમ સ્થાન લઈને કાર્યક્રમ માણ્યો. અમે તો માત્ર અખબારોમાં સભાજનો વચ્ચે બેસેલ મોદીની તસવીર નિહાળી હતી. પરંતુ એનાથી એક આદર જાગ્યો કે ધર્મગુરુ પ્રત્યે આદર-અદબ વ્યક્ત કરવાની આ વ્યકિતની સુઝ-બુઝ કેવી સરસ છે.
અલબત્ત, કોઈ ટીકાકાર એમ પણ કહી શકે કે ' આ તો રાજકીય વ્યકિતનો પબ્લિસીટી સ્ટન્ટ' હશે. પરંતુ એવું માનવું યોગ્ય એટલે નથી લાગતું કે ત્યારે નજીકના સમયમાં કોઈ ચૂંટણી ન હતી. વળી એમની ઔચિત્યસભર વિનયશીલતાના ચાર-પાંચ પ્રસંગો અન્યાન્ય ક્ષેત્રની વ્યકિતઓ અંગે પણ સહજ સર્જાયાનું અમે અખબારોનાં માધ્યમે નિહાળી છે. આવી ઔચિત્યપૂર્ણ વિનયશીલતા લોકપ્રિયતા અપાવે જ અપાવે.
જે વ્યકિતમાં આવી ઔચિત્યભરી વિનયશીલતા નથી, બલ્કે ઉદ્દંડતા- તોછડાઈ છે એ વ્યકિત સમાજમાં તો શું, સ્વજનોમાં ય પ્રિય ન બને. એક રમૂજી પ્રસંગ આવો ય જોઈએ :
તેર- ચૌદ વર્ષનો દીકરો સ્વભાવનો ઉદ્દંડ- અવિનીત હતો. માતાને એ ખ્યાલ તો હતો જ. છતાં દીકરાને સ્કૂલમિત્રો સાથે દશેક દિવસના પ્રવાસે જવાનું આવ્યું ત્યારે જવાના સમયે મમતાવશ માતાએ સૂચના આપી : ' ચાલતી ગાડીએ ચડતો નહિ.' દીકરાએ જરા નારાજગીથી પૂછયું : ' કેમ ? એમાં શું વાંધો આવ્યો તને ?' માએ શાંતિથી કહ્યું : ' એવું છે બેટા કે પડી જઈએ તો ક્યાંક મરી જઈએ.' ઉદ્દંડ દીકરાએ તોછડો ઉત્તર દીધો : ' એમ તો ખાટલે પડયા પડયા ય કેટલાય મરી જ ગયા છે.
તો શું ખાટલે સૂવાનું બંધ કરી દેવાનું ?'' માનો જીવ બળી ગયો. નિસાસો નાંખતા એ બોલી : ' તને સાચી સલાહ આપવાનો ય કોઈ અર્થ નથી. જા, તારે જે કરવું હોય એ તું જાણે.' કહેવાની જરૃર નથી કે આ અવિનીત પુત્ર માતાનાં હૈયે ય સ્થાન ન જ પામે...
૨) દાનરુચિ : જે વ્યકિત દાનમાં- કોઈને કાંઈક આપવામાં રસ ધરાવે એ વ્યકિત બહુ આસાનીથી લોકપ્રિયતા વરે. 'લોક' શબ્દનો જે પૂર્વોક્ત અર્થ કર્યો એ વિશિષ્ટ જનો તો આ વ્યકિતના ઔદાર્યથી- સહાયકભાવથી પ્રભાવિત થાય જ. ઉપરાંત સરેરાશ સ્તરના માનવીઓ પણ દાનરુચિ ધરાવતી વ્યકિતથી પ્રભાવિત થાય.
દાન જો એ ગરીબ- અનાથ, દુ:ખી જીવોને આપશે તો એ બધાની અંતરની દૂઆ દાનરુચિ ધરાવતી વ્યકિતને મળશે, દાન જો એ કોઈ આર્થિક રીતે અક્ષમ દરિદ્ર રોગિષ્ઢને- દર્દીને આપશે તો એનાથી તે રોગીની આયુષ્યદોરી અણધારી કપાતી અટકશે, દાન જો એ કોઈ ધર્મસંસ્થાને આપશે તો એનાથી ધર્મકાર્યો સુવ્યવસ્થિત થવા સાથે સંસ્થાને સદ્વરતા મળશે અને દાન જો એ કોઈ સામાજિક ક્ષેત્રે આપશો તો એનાથી સમાજસેવાકાર્યોની ક્ષિતિજો વિસ્તરશે.
આ સર્વ અલગ અલગ લાભો ઉપરાંત એક સમાન લાભ એને એ થશે કે અનાથ- ગરીબથી લઈને સમાજ સુધીના સર્વ એકમોમાં એને અઢળક લોકપ્રિયતા આપોઆપ મળશે. ખબર છે ને પેલી તળપદી કહેવત ? એ કહે છે કે ' હાથ જેનો પોલો... જગત એનું ગોલો.' એટલે કે દાન કરવામાં જેનો હાથ પોલો છે- મુક્ત છે એનો ગોલો અર્થાત્ દાસ બનવા આ જગત તૈયાર થઈ જાય છે.
જરૃરી નથી કે સંપત્તિની રેલમછેલ હોય તો જ દાનરુચિ આત્મસાત્ કરી શકાય. સામાન્ય વ્યકિત પણ નાની નાની બાબતે ઉદાર બની દાનરુચિ અંકે કરી શકે છે. અને હા, પૂર્વપુણ્યોદયે જેની પાસે અઢળક સંપત્તિ છે એવી વ્યકિત જો ..... આત્મસાત્ કરી દે તો તો એની લોકપ્રિયતા અજબ-ગજબની બની જ જાય. ખબર છે દાનેશ્વરી જગડૂશાહનો જીવનપ્રસંગ ?
વિ.સં. ૧૩૧૩-૧૩૧૪-૧૩૧૫ ના ભીષણ દુષ્કાળ સમયે પોતાના અન્નભંડારો વિના મૂલ્યે પ્રજા માટે ખુલ્લા મૂકી દઈને જેમણે એકલપંડે સતત ત્રણ વર્ષ દુષ્કાળની અસરોને નાથવાનું પુણ્યકાર્ય કર્યું હતું એ દાનેશ્વરી હતા જગડૂશાહ. એમના માટે કવિઓઓએ મુક્ત કંઠે ગાયું કે ' જગડૂ ? તું દાતાર, દૂજો થાવો નથી.'' એ જ્યારે અવસાન પામ્યા ત્યારે એ સમયના મોટા મોટા પ્રદેશોના રાજવીઓ અને દીલ્હીના મુસ્લિમ બાદશાહ સુદ્ધા એમની અંતિમયાત્રામાં જોડાયા. કોઈ એમને માન આપવા ખુલ્લા પગે ચાલ્યા, કોઈ ખુલ્લા મસ્તકે ચાલ્યા, તો કોઈ ગુણાનુરાગવશ પોક મૂકીને રડયા. એ બોલતા હતા કે ' અમે ભલે અમારા દેશોના રાજા હોઈએ, પ્રજાના દિલના રાજા તો આ જગડૂશાહ જ હતા.'' દાનરુચિ વ્યકિતને કેવી ટોચની લોકપ્રિયતા બક્ષે એ જગડૂશાહની ઘટનામાં પ્રતિબિંબત થાય છે...
૩) સુશીલતા : જેનું શીલ સરસ છે. પ્રશસ્ય છે એ વ્યકિત વિચારક વ્યકિતઓમાં અને બહુજનવર્ગમાં આપોઆપ પ્રીતિ પામે છે. શીલ એટલે ? સુંદર આચાર- વિચાર- સંસ્કાર. સુશીલ વ્યકિતના સંસ્કાર એવા હોય કે જેનાથી સંપર્કમાં આવનાર લોકો એના પ્રત્યે આદર ધરાવતા થઈ જાય. તો એના પ્રશસ્ય- ઉમદા આચાર- વિચારોથી જનતા લહુમાન ધરાવતી થઈ જાય. એનું ચારિત્ર તો શંકાથી પર હોય જ, ઉપરાંત એની પ્રામાણિકતા પણ સલામ ભરાવી દે એવી હોય. આવી વ્યકિત ભલે ને સામાન્ય બાહ્ય કક્ષા ધરાવતી હોય તો ય એ સામી વ્યકિતનાં હૈયે આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કરી જ લે. આની પ્રતીતિ માટે વાંચો આ સત્ય ઘટના :
મુંબઈના એક જૈન શ્રીમંત. એકવાર એમણે વિદેશ દીર્ઘકાલીન રોકાણ માટે જવાનું હતું. સામાન સાથે ટેક્ષીમાં બેઠા અને ફલાઈટ ચૂકી ન જવાય તે માટે ટેક્ષી ઝડપથી એરપોર્ટ તરફ લેવાની સૂચના કરી. તેઓ ઉતાવળમાં હતા. ડ્રાયવરે સમયસર ટેક્ષી એરપોર્ટ સુધી પહોંચાડી. શ્રીમંત જલ્દીથી સામાન ઉતારાવી એરપોર્ટમાં પ્રવેશ્યા અને બધી વિધિ પૂર્ણ કરી પ્લેનમાં બેસી પણ ગયા.
પછી એમના ધ્યાનમાં આવ્યું કે રૃ. બે લાખનું એક પાકિટ ઉતાવળમાં ટેક્ષીમાં જ રહી ગયું છે. એ મુંઝાયા કે હવે શું કરવું ? ન ટેક્ષીડ્રાયવરનો કોઈ નંબર એમની પાસે હતો કે ન ટેક્ષીનો નંબર એમને યાદ હતો. હવે ચિંતા સિવાય કાંઈ થઈ શકે એમ ન હતું. એ જેટલા મહિનાઓ પરદેશ રહ્યા એટલો સમય રોજ પેલું રૃ. બે લાખનું પાકીટ યાદ કરીને અફસોસ કરતા.
બાર મહિના બાદ તેઓ પુન: મુંબઈ આવ્યા. હજુ પાકીટવાળી વાત એમનાં મનમાં બરાબર રમ્યા કરતી હતી. ખૂબ વિચાર બાદ એમણે અખબારમાં નાની જાહેરાત આપી કે 'બારમાસ પૂર્વે આ દિવસે મારી મોટી રકમ ટેક્ષીમાં રહી ગઈ. જે ટેક્ષી ચાલકને મળ્યુંં હોય એ નીચેના સરનામે અમારો સંપર્ક કરે.' અને... એમના આશ્ચર્ય વચ્ચે સાંજે એક ટેક્ષીડ્રાયવર એમનું ઘર શોધતો શોધતો આવ્યો. બન્ને પરસ્પરનો ચહેરો ઓળખી ગયા. કેમ કે એ ઘટના પછી બન્નેએ નિત્ય એકમેકને યાદ કર્યા હતા. ટેક્ષીડ્રાયવરે પાકિટ શ્રીમંતના હાથમાં આપ્યું.
શ્રીમંતે કુતૂહલથી પાકિટ ખોલ્યું તો એમાં એક નોટ પણ આઘી- પાછી થઈ ન હતી. શ્રીમંતના સુખદ આશ્ચર્યનો પાર ન રહ્યો. એક સામાન્ય ડ્રાયવરમાં એમને અસામાન્ય સુશીલતા મહોરી ઉઠેલી લાગી. છતાં ખાતરી કરવા એમણે ડ્રાયવરને પૂછયું : ' મારો કોઈ પત્તો લાગે એવી શક્યતા ન હતી. આટલો દીર્ઘ સમય તેં રકમ સાચવી રાખી એના કરતાં વાપરી નાંખી હોત તો ? તારેય આર્થિક વિડંબણાઓ ખૂબ હશેજ.'
ડ્રાયવરે પ્રશસ્ય આચાર-વિચારોની મહેંક ફેલાવતો ઉત્તર દીધો : ' સાહેબ ? વિંડબણા મારે ઘણી જ છે. પરંતુ તો ય આમાંથી એક નોટ લેવાનો મને વિચાર સુદ્ધા ન આવ્યો. કારણકે મારા પિતાએ મને સંસ્કાર આપ્યા છે કે મહેનતનું ખાજે, ચોરીનું કદી ન ખાજે. મને તો હવે શ્રીમંતનું હૈયું ઝાલ્યું ન રહ્યું. અદ્ભુત નીતિ- નિષ્ઠાથી ડ્રાયવર એમનાં હૈયે વસી ગયો.
એમણે પરાણે પરાણે ધરાર એ બે લાખ રૃ. ડ્રાયવરને આપીને કહ્યું : ' તારા જુવાન દીકરાના વ્યવસાય માટે ટેક્ષી જોઈશે. આ રૃપિયામાંથી તું એક નવી ટેક્ષી ખરીદી લેજે અને તારા પુત્રનો ધંધો શરૃ કરાવજે !!' જે બે લાખ રૃ. બાર માસથી સતત મનમાંથી ખસતા ન હતા એ આમ કાચી ક્ષણમાં આપી દેવાની આ કમાલ પ્રામાણિકતારૃપ સુશીલતાને આભારી હતી.
છેલ્લે આ ગુણ માટે ટીકામાં જણાવાયેલ વાત : જેઓ ઉપરોક્ત રીતે લોકપ્રિય થવાના બદલે લોકવિમુખ થવાય તેવી પ્રવૃત્તિઓ કરે છે તેઓ પોતાના ધર્માનુષ્ઠાન દૂષિત કરવા સાથે અન્યોને ધર્મથી વંચિત કરવામાં નિમિત્ત બને છે.