Get The App

મોક્ષમાર્ગનો દીપક : આત્માના પરમ ગુણધર્મોની સમજ

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
મોક્ષમાર્ગનો દીપક : આત્માના પરમ ગુણધર્મોની સમજ 1 - image


શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશેલ છે કે, 'જગત આત્મા આત્મા કહે છે, પણ અમે આત્મારૂપ થઈને તમને કહીએ છીએ,' એ તેમની આત્મ-અનુભૂતિ અને પરમ જ્ઞાનનું પ્રતિક છે. તેઓ માત્ર શાબ્દિક જ્ઞાન નથી આપી રહ્યા, પરંતુ સ્વયં આત્મારૂપ બનીને આ ગહન સત્યનું પ્રકાશન કરી રહ્યા છે. આ વાક્ય તેમની અનુભૂતિની પ્રમાણિકતા અને તેમના જ્ઞાનની ઊંડાઈ દર્શાવે છે.

શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માના મૂળ સ્વભાવ અને તેના પરમ ગુણધર્મોનું અત્યંત સચોટ અને ગહન વર્ણન કરતુ આપેલ સૂત્ર:

''સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ;

વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.''

આ ગુણધર્મોનું આધ્યાત્મિક વિશ્લેષણ નીચે મુજબ છે:

૧. સમતા (Equanimity) - સમતા એટલે સમાનતા, નિલિપ્તતા અને રાગ-દ્વેષ રહિત દશા. આત્માનો મૂળ સ્વભાવ સમતા છે. સુખ-દુઃખ, માન-અપમાન, લાભ-હાનિ, જીવન-મરણ જેવી દ્વંદ્વાત્મક પરિસ્થિતિઓમાં પણ આત્મા અવિચળ અને સમાન રહે છે, તે દશા એટલે સમતા. જે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે, તે બાહ્ય જગતના ભાવોથી પ્રભાવિત થતો નથી. આ સમતા જ મોક્ષમાર્ગનો પાયો છે.

૨. રમતા (Abiding in Self) - રમતા એટલે આત્માનું પોતાનું સ્વરૂપમાં રમણ કરવું, પોતાના આત્મભાવમાં સ્થિર થવું. જ્યારે આત્મા પરભાવોથી વિરક્ત થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થાય છે, ત્યારે તે 'રમતા' અનુભવે છે. આ રમતા એ સાંસારિક વિષયોમાં નહીં, પરંતુ આત્માના આનંદમાં લીનતા છે. આ જ દશામાં પરમ શાંતિ અને નિર્ભયતાનો અનુભવ થાય છે.

૩. ઉરધતા (Upward Progression / Transendence) - ઉરધતા એટલે ઉર્ધ્વગતિ, ઉન્નતિ અથવા પરમ પદની પ્રાપ્તિ. આત્માનો સ્વભાવ હંમેશા ઉર્ધ્વગામી છે. અજ્ઞાન અને કર્મના બંધનોથી મુક્ત થઈને આત્મા પોતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવા તરફ ગતિ કરે છે. આ દશામાં આત્મા સંસારના નીચલા ભાવોથી ઉપર ઉઠીને પરમ જ્ઞાન અને આનંદની અનુભૂતિ કરે છે.

૪. જ્ઞાયકતા (Knower-ship) - જ્ઞાયકતા એટલે જાણવાનો ગુણ. આત્માનો મુખ્ય સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે, તે માત્ર જાણકાર છે. તે કોઈ ક્રિયા કરનાર નથી, પરંતુ સર્વ પદાર્થોને જાણકાર છે. આત્મા સર્વજ્ઞા છે અને સર્વજ્ઞાનનો આધાર છે. તે ત્રણેય કાળ અને ત્રણેય લોકના પદાર્થોને એકસાથે જાણી શકે છે, છતાં તેનાથી અલિપ્ત રહે છે.

૫. સુખભાસ (Manifestation of Happiness / Bliss) - સુખભાવ એટલે આત્મામાં રહેલા અનંત સુખનો અનુભવ. આત્માનો સ્વભાવ જ અનંત સુખમય છે. સાંસારિક સુખો ક્ષણિક અને દુઃખમિશ્રિત હોય છે, જ્યારે આત્મિક સુખ શાશ્વત, અબાધિત અને પરમ શાંતિ પ્રદાન કરનારું છે. જ્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે, ત્યારે આ અનંત સુખનો અનુભવ થાય છે.

૬. વેદકતા (Experiencer-ship) - વેદકતા એટલે ભોગવવાનો ગુણ, અનુભવ કરવાનો ગુણ. આત્મા જ્ઞાયક હોવા ઉપરાંત વેદક પણ છે. તે પોતાના સ્વરૂપનો, પોતાના ગુણધર્મોનો અને અનંત સુખનો અનુભવ કરે છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપનો, પોતાના ગુણધર્મોનો અને અનંત સુખનો અનુભવ કરે છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યારે તે પરમ શાંતિ અને સંતોષની દશા પ્રાપ્ત કરે છે.

૭. ચૈતન્યતા (Consciousness) - ચૈતન્યતા એટલે ચેતના, જાગૃતિ અથવા જીવંતતા. આત્મા એ જ ચૈતન્ય છે. તે સદાય જાગૃત અને જીવંત તત્વ છે. અચેતન પદાર્થોથી વિપરીત, આત્મામાં સદા જ્ઞાન અને દર્શનનો પ્રવાહ રહે છે. આ ચૈતન્યતા જ આત્માનું મૂળભૂત લક્ષણ છે, જે તેને અન્ય પદાર્થોથી ભિન્ન પાડે છે.

''એ સબ જીવ વિલાસ'' આ બધા જ ગુણધર્મો - સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા એ ચૈતન્યતા - એ જીવ (આત્મા) ના વિલાસ (અનુભૂતિઓ, સ્વાભાવિક પ્રવૃત્તિઓ) છે. આ ગુણધર્મો આત્માથી અભિન્ન છે અને આત્મા જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે, ત્યારે આ બધા જ ગુધર્મો સ્પષ્ટપણે અનુભવાય છે. આ સૂત્ર દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માની પરમ અને શાશ્વત સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. ગુણધર્મોને સમજવા અને પોતાના જીવનમા ંઉતારવા એ જ સાચી આધ્યાત્મિક સાધના છે. 

સંકલન: અરવિંદ પી. શાહ

Tags :